Abtak Media Google News

દેશદાઝ અને સ્વદેશીને બેસાડી દેવા મીડિયાના ખંભે બંદૂક?

કોરોનાની કપરી વેળાએ માનવ જિંદગીને બચાવવા માટે ૮૬૬ વેન્ટીલેટર પરાક્રમસિંહ જાડેજાએ નિ:શૂલ્ક આપ્યા છે ત્યારે સેવાભાવીની કદર થવાના બદલે નફા નુકસાનીની વાતો ક્યાંથી આવી?

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જયારથી ગુજરાત રાજયનો પદભાર સંભાળ્યો છે અને જયારે પણ કોઈ વિકટ પરિસ્થિતિની સામનો રાજયએ કરવો પડયો છે ત્યારે હરહંમેશ ગુજરાત સરકારનાં નંબર વન અને નંબર ટુ વચ્ચે અનેકવિધ રીતે મતભેદ અને મનભેદ થયા હોવાનું પણ સામે આવ્યું છે અને અનેકવિધ વખત સામ-સામે ખેંચાઈ હોવાનું પણ સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાની આફતમાં પણ અનેકવિધ એવા ઉદાહરણો પુરવાર કર્યા છે જેની માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં હકારાત્મક છાપ પણ ઉભી થઈ રહી છે. કોરોનાનાં કહેર વચ્ચે દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે છે ત્યારે રાજયને આફતમાંથી બહાર કાઢવા માટે પોતાની લીટી લાંબી કરવાના મુદ્દે માનવતાવાદી વલણ અપનાવનાર રાજકોટની જયોતી સીએનસી કંપની દ્વારા પ્રારંભિક એટલે કે આપાતકાલીન સમયમાં ઉપયોગમાં લઈ શકાય તે વેન્ટીલેટર બનાવ્યા છે જે સરકારને નિ:શુલ્ક પણ આપ્યા છે પરંતુ કયાંકને કયાંક ગંદા રાજકારણને લઈ ધમણ-૧ ઉપર અનેકવિધ રીતે આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

ધમણ-૧ને લઈ હાલ આ મુદ્દો જાણી જોઈને કોણ ઉઠાવી રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. મુખ્યમંત્રીનું હોમટાઉન રાજકોટ હોવાથી કયાંકને કયાંક અન્ય લોકો એટલે કે રાજકીય લોકોને ખટતુ હોય અથવા તો ખુંચતું હોય તેવું પણ લાગે છે. હાલ રાજયમાં નંબર વન અને નંબર ટુ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં કયાંકને કયાંક મલ્ટી નેશનલ કંપનીને સાથે રાખી આક્ષેપ લગાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. એક તરફ વડાપ્રધાન મોદી સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ કાર્ય કરી રહ્યા છે પરંતુ જે કંપની દેશનાં હિત માટે અને લોકોનાં સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે નિ:શુલ્ક સેવા આપે છે તેનાથી કોના પેટમાં તેલ રેડાય છે તે સમજાતું નથી. જયોતી સીએનસીનાં માલિક પરાક્રમસિંહ જાડેજા કોરોનાનાં કહેરમાંથી લોકોને ઉગારવા અને સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે સ્વદેશી ધમણ-૧ નામક વેન્ટીલેટર બનાવ્યું છે જેની પૂર્ણત: ટેસ્ટ થઈ ગયા બાદ ૮૬૬ જેટલા વેન્ટીલેટરો સરકારને નિ:શૂલ્ક આપવામાં આવ્યા હતા ત્યારે કોઈ પ્રશ્ર્ન ઉદભવિત થયો ન હતો તો હવે શું કામ ? આ મુદ્દે જયોતી સીએનસીનાં માલિકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ધમણ-૧ બનાવવા પાછળ કોઈપણ પ્રકારનો પ્રોફીટ મોટીવ રાખવામાં આવ્યો ન હતો.

માત્ર જયોતી સીએનસી જ નહીં પરંતુ ધમણ-૧ વેન્ટીલેટર બનાવવા માટે અનેકવિધ કંપનીઓએ તેમનો ફાળો આપ્યો છે ત્યારે આ આલોચના અને આક્ષેપો થતા કોઈ સેવા કરવા તૈયાર નહીં થાય. હરહંમેશ ભારત દેશમાં લોકલ એટલે સ્થાનિક ટેકનોલોજીને વિકસિત કરવા માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવતા હોય છે. વેન્ટીલેટરનો ઉપયોગ તે જ સમયે કરવામાં આવે જયારે દર્દીને તેના અંત સમય પહેલાનો બફર ટાઈમ મળી રહે અને તે દરમિયાન જો દવા અસર કરે તો તે દર્દીનો જીવ પણ બચી શકે છે. વેન્ટીલેટર માટે ડ્રગ કંટ્રોલરનાં લાયસન્સની સહેજ પણ જરૂર નથી તેવી જાહેરાત આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા કરવામાં આવી છે. આ મુદ્દે પરાક્રમસિંહ જાડેજાએ અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધમણ-૧ વેન્ટીલેટર માટે અનેકવિધ પ્રકારનાં લાયસન્સ લેવા માટે મહેનત કરી છે ત્યારે આ આક્ષેપ જે લગાવવામાં આવે છે તે યોગ્ય નથી. હાલ નંબર વન અને નંબર ટુની ગેમ માટે વેન્ટીલેટરને લઈ જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં મીડિયાનાં ખંભાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેટલાઅંશે વ્યાજબી?

આખા દેશમાં કોરોનાનાં દર્દીની સંખ્યામાં ગુજરાત ત્રીજા ક્રમે છે ત્યારે ગુજરાત મોડલની પ્રતિષ્ઠા પણ દાવ પર મુકાઈ છે જેને લઈ ગુજરાત સરકારની પ્રતિભા પણ ખરડાઈ છે. લોકોની સેવા અર્થે બનાવવામાં આવેલા સ્વદેશી વેન્ટીલેટરનો વિવાદ કેન્દ્રનું સ્થાન બન્યું છે અને તેના પડઘા રાજધાની દિલ્હી સુધી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષકે એક પત્ર લખી કોરોના દર્દીની સારવારમાં વેન્ટીલેટર ધાર્યા પરીણામ આપતું ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો અને તાત્કાલિક ૧૦૦ હાઈએન્ડ વેન્ટીલેન્ટર પુરા પાડવા પણ જણાવ્યું હતું. તબીબી અધિક્ષક દ્વારા જે વેન્ટીલેટરમાં જરૂરીયાત મુજબનું પરીણામ ન આપ્યા હોવાનું જણાવ્યું છે તેમાં એકમાત્ર ધમણ-૧ જ નહીં પરંતુ મારૂતી કંપનીની સંલગ્ન આગવા કંપનીનાં હાઈએન્ડ વેન્ટીલેટરનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે માત્ર ધમણ-૧ને જ શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આની પાછળ વિદેશી કંપનીને શું કામ સાથે રાખી આ મુદ્દાને ચગાવવામાં આવે છે તે પ્રશ્ર્નનું નિરાકરણ હજુ સુધી થઈ શકયું નથી. કયાંકને કયાંક પોતાનું નાણાકિય હિત જોતાં વિઘ્નસંતોષી લોકો મીડિયાનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

દેશદાઝના “પરાક્રમથી કોનો ગરાસ લૂંટાયો?

કોરોનાના કપરા કાળમાં કોઈ વ્યક્તિએ અપુરતા મેડીકલ સાધનોના કારણે પોતાનો જીવ ન ગુમાવવો પડે તે માટે રાજકોટના ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ ક્ષત્રિયધર્મ નિભાવતા પુરતી માનવતા સાથે માત્ર ગણતરીના દિવસોમાં સ્વદેશી વેન્ટિલેટર બનાવ્યું. આટલું જ નહીં ૮૬૬ વેન્ટિલેટર તદ્દન નિ:શુલ્ક ગુજરાત સરકારને આપ્યા. તેઓના આ પરાક્રમને સહર્ષ વધાવવાના બદલે કોંગ્રેસે જાણ્યા કે જોયા વીના બદનામ કરવાનો ખેલ પાડ્યો છે. ભારતમાં વિદેશી કંપનીઓ વેન્ટિલેટર પુરા પાડે છે અને તે પણ મન પડે તેવા ભાવે. આવામાં જો સ્વદેશી વેન્ટિલેટર માત્ર નજીવી કિંમતે ભારતમાં જ ઉપલબ્ધ થવા લાગે તો વિદેશી કંપનીઓનો ગરાસ જાય તે વાત સમજી શકાય તેમ છે. આવામાં પોતાનું સામ્રાજ્ય બચાવવા વિદેશી કંપનીઓએ અમદાવાદના તબીબોને હાથ બનાવ્યો જેનો રાજકીય લાભ ખાટવા કોંગ્રેસ પણ કુદી પડી જેના કારણે જે પરાક્રમથી જ્યોતી સીએનસીને “જશના ફૂલહાર મળવા જોઈએ તેના બદલે કંપનીની હાલત ધર્મ કરતા ધાડ પડી જેમ થઈ જવા પામી છે તે પણ એકાદ-બે એવા વ્યક્તિ કે જેના દીલમાં દેશ દાઝ નહીં પરંતુ પોતાની લીટી લાંબી કરવાની અતિ મહત્વકાંક્ષા છે.

કોંગ્રેસની આખી પાર્ટી જ વિદેશી નેતૃત્વના વેન્ટીલેટર પર છે: ભરત પંડ્યા

ધમણ-૧ વેન્ટીલેટર સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસના જુઠા આક્ષેપોને ભાજપનો વળતો પ્રહાર

ધમણ-૧ વેન્ટીલેટર સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપો સામેનો જવાબ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ આપ્યો છે અને સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિગતવાર મિડીયા સમક્ષ સત્ય હક્કિતો રજૂ કરી છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે. કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપોને ભાજપ સખ્ત શબ્દોમાંવખોડી કાઢે છે. વધુમાં પંડયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટરની તીવ્ર અછત છે. હમણાં જ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૦ વેન્ટીલેટર્સ ભારતને આપવાની વાત કરી છે. ગુજરાતની એક જયોતિ કંપનીએ કોરોનાના દર્દી માટે ૮૬૬ વેન્ટીલેટર વિના મુલ્યે આપીને જનસેવા અને દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યાં હોય ત્યારે તેમાં વિવાદ ન હોવો જોઈએ. આ કંપનીને તેના વેન્ટીલેટરને ભારત સરકારની ત્રણ અધિકૃત કંપનીઓ નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ, ઇલેક્ટ્રોનિક

એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન દ્વારા ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણીત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે. ત્યારે કોંગ્રેસના આરોપો પાયા વિહોણા છે. પોંડીચેરીની સરકાર દ્વારા પણ ૨૫ વેન્ટીલેટર્સના ઓર્ડર આપ્યાં છે, મહારાષ્ટ્ર સરકાર માટે પણ એક ખાનગી દાતાએ ૨૫ વેન્ટીલેટર્સ માટે ઓર્ડર આપ્યાં છે. ભારત સરકારના ઇંઅક હશરય ભફયિ લી. દ્વારા આ કંપનીને ૫૦૦૦ વેન્ટીલેટરનો ઓર્ડર મળ્યો છે. કોંગ્રેસને આમાં શું વિવાદ લાગે છે ? કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમોમાં હંમેશા જનહિત અને દેશહિત વિરોધી હોય છે. કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે.

આયુષ્યમાન ભારત યોજનાનો લાભાર્થીઓએ લીધો લાભ: ૧ કરોડથી વધુ લોકોને અપાઈ સારવાર

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું જાહેર આરોગ્ય જળવાય રહે તે માટે આરોગ્ય સુવિધા આપવા માટે સરકાર અનેકવિધ પ્રકારનાં કાર્યો હાથધરી રહી છે. ૨૦૧૮માં શરૂ થયેલી આયુષ્યમાન ભારત આરોગ્ય વિમા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધેલો છે જે કુલ ૧૩,૪૧૨ કરોડ રૂપિયાનાં મુલ્યોની આરોગ્ય સેવાનું પ્રદાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે કટોકટી અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં એપ્રિલ અને મે માસ દરમિયાન આ યોજના અંતર્ગત દવાખાનાઓને સારવાર સહિતની વ્યવસ્થા માટે આ યોજના અત્યંત અસરકારક સાબિત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિમાચિન્હરૂપ કામગીરી અંગે અનેકવિધ લોકો માટે આ યોજના લાભાર્થી નિવડી છે. આયુષ્યમાન ભારત યોજનામાં ૫ લાખ સુધીની આરોગ્ય સેવાનો લાભ ૧૦.૭૪ કરોડ પરીવારોને આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ધમણ-૧નાં વિવાદ વચ્ચે પુડુચેરીએ વેન્ટીલેટર ધમણનાં ઓર્ડર રદ કર્યા: કેટલા અંશે વ્યાજબી?

સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવેલા ધમણ-૧નો વિવાદ પુરજોશમાં વઘ્યો છે ત્યારે આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા પણ ધમણ-૧ વેન્ટીલેટરને કોઈપણ પ્રકારનાં ડ્રગ કંટ્રોલરનાં લાયસન્સ ન લેવાનું પણ જણાવ્યું હતું અને તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે, હાલ જે આક્ષેપો થઈ રહ્યા છે તે સહેજ પણ યોગ્ય નથી આ વિવાદ વચ્ચે પુડુચેરીએ જે ધમણ-૧ વેન્ટીલેટરનાં ઓર્ડર આપ્યા હતા તેને પણ રદ કરવામાં આવતા પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે આ મુદ્દો કેટલાઅંશે વ્યાજબી છે. આ અંગે પુડુચેરીનાં મુખ્યમંત્રી વી.નારાયણ સ્વામીએ ટવીટર કરી વેન્ટીલેટરનો ઓર્ડર રદ કર્યો હોવાનું જણાવ્યું હતું જેને લઈ ઘણોખરો વિવાદ વકર્યો છે. કયાંકને કયાંક જે ગુણવતાને લઈ પ્રશ્ર્ન ઉદભવિત થયા છે ત્યારે ધમણ-૧ વેન્ટીલેટરની ગુણવતા અંગે પ્રશ્ર્ન ઉદભવિત થતા પુડુચેરી સરકારે ૨૫ ધમણ-૧ વેન્ટીલેટરનાં ઓર્ડર રદ કર્યો હોવાનું સામે આવ્યું છે. ધમણ-૧ની કાર્યક્ષમતા અને તેની ઉપયોગીતા અંગે ભાજપ પાર્ટી અને રાજય સરકાર માટે જે દાવા દલીલો વેન્ટીલેટરની ગુણવતાને લઈ થઈ રહી છે તેને લઈ રાજકોટની ઉત્પાદક કંપનીનાં બચાવમાં મેદાનમાં ઉતારવાની નોબત આવી પડી હતી. કોંગ્રેસે ધમણ-૧નાં મુદ્દે વિરોધ દર્શાવવા મામલે આ મુદ્દો ચર્ચારૂપ બન્યો છે સાથો સાથ પ્રદેશ ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા પણ ધમણની ગુણવતા પર પ્રશ્ર્નો ઉઠાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટને અનેકવિધ રીતે પ્રોત્સાહન આપવા માટે નવા અભિયાનો શરૂ કરી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં લોકલ ટેકનોલોજીને પ્રોત્સાહન મળી રહે તે માટેનાં સરકાર દ્વારા પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. વિદેશથી મંગાવવામાં આવતા સાધનો દેશ ઉપર આર્થિક બોજો ઉભો કરે છે ત્યારે જો લોકલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવે તો નાણાની પણ બચત થઈ શકે છે અને સ્થાનિક ઉધોગોને પણ પ્રોત્સાહન મળી શકશે. હાલ કોરોનાનાં કહેર વચ્ચે રાજકોટની સ્થાનિક જયોતી સીએનસી કંપનીએ પ્રારંભિક ધોરણનું વેન્ટીલેટર ધમણ-૧ બનાવ્યું છે જે તેણે નિ:શુલ્ક સરકારને સોંપ્યું છે પરંતુ વેન્ટીલેટર પર વિવાદ વધતા સ્થાનિક કંપનીઓ પર તેની માઠી અસર પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આજરોજ ૧૫મી ફાયનાન્સ કમિશનની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં પ્રાઈવેટ કંપનીઓને હેલ્થ ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે તે માટે તેઓને કયાં પ્રકારનાં પગલાઓ લેવા જોઈએ તે અંગે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવશે. સરકારની સાથોસાથ કોરોનાનાં કહેરમાં સ્થાનિક કંપનીઓ અને સ્થાનિક હોસ્પિટલોએ ખુબ જ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે પણ તેની સાથોસાથ કંપનીઓને પુરતુ પ્રોત્સાહન મળી રહે તે પણ એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.