Abtak Media Google News

ભાભીની બહેન સાથે સગાઇ ન થતા કામાંધ દિયરે દુષ્કર્મ આચરી સળગાવી દેતા પરિણીતાના મોતથી ઘટના હત્યમામાં પરિણમી

જૂનાગઢ જિલ્લાના બીલખાના ગૌતમનગરની પરિણીતા પર દિયરે બળાત્કાર ગુજારી જીવતી સળગાવી દેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે કામાંધ દિયર સામે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બીલખાના ગૌતમનગરમાં રહેતી નયનાબેન અમૃતભાઇ પરમાર નામની પરિણીતાએ પોતાના દિયર મનસુખ વલ્લભ પરમારે બળાત્કાર ગુજારી કેરોસીન છાંટી જીવતી સળગાવતા ગંભીર રીતે દાઝી જતા તેણીનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસે નયનાબેનના દિયર મનસુખ વલ્લભ પરમાર સામે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

નયનાબેન મુળ અમરેલીના સણસરા ગામની વતની છે તેણીના પાંચેક વર્ષ પહેલાં બીલખાના ગૌતમનગરના અમૃત વલ્લભભાઇ પરમાર સાથે લગ્ન થયા છે. તેણીને ત્રણ વર્ષનો પુત્ર છે.

એકાદ માસ પહેલાં દિયર મનસુખ વલ્લભ પરમારે પોતાની ભાભી નયનાબેનને તેણીની નાની બહેન સરોજ સાથે સગાઇ કરાવી દેવા અંગે વાત ચીત કરવા જણાવ્યું હતું. ભાભી નયનાબેન પોતાના પિતાને વાત કરશે તેમ કહ્યું હતું ત્યારે વિકૃત માનસના દિયર મનસુખ પરમારે ‘તારી બહેન નહી તો તુ’ કહી એકાદ માસ પહેલાં માતા સમાન ભાભીને હવસનો શિકાર બનાવી બળજબરીથી બળાત્કાર ગુજારી વાસના સંતોષી હતી. જેના કારણે દિયર અને ભાભી વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાથી ગઇકાલે રોષે ભરાયેલા મનસુખ પરમારે પોતાની ભાભી નયનાબેનના શરીરે કેરોસીન છાંટી લાઇટરથી આગ ચાપી દેતા નયનાબેન ગંભીર રીતે દાઝી જતા અહીની હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.

ગંભીર રીતે દાઝેલા નયનાબેનને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ તેણીએ પોતાના દિયર મનસુખ પરમારે બળાત્કાર ગુજાર્યા બાદ જીવતી સળગાવ્યાના ચોકાવનારા કરેલા આક્ષેપ અંગે પી.એસ.આઇ. આર.આર.ચૌહાણ સહિતના સ્ટાફે મનસુખ સામે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી મનસુખ પરમારની ધરપકડ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.