Abtak Media Google News
  • અનેક કેસોમાં કેન્સરની સારવાર બાદ પણ તેનો ફેલાવો થતો હોય છે, પણ ફળોમાંથી મળતા એન્ટીઑકિસડન્ટ અને કોપરની સંયુક્ત પ્રો-ઑક્સિડન્ટ ટેબ્લેટ આપવાથી કેન્સર ફેલાતું અટકાવવાનો પ્રયોગ સફળ

કેન્સરની સારવાર પછી પણ ઘણા દર્દીઓમાં કેન્સર પાછું આવે છે. આ પાછળનું કારણ શું છે? ટાટા હોસ્પિટલના ડોક્ટરોએ અભ્યાસ કરીને આ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે. અને તેનો ઈલાજ પણ શોધી કાઢ્યો છે. પ્રારંભિક અભ્યાસમાં પુરાવા મળ્યા છે કે ઘરેલું ઉપચાર કેન્સરની સારવારના પરિણામોને સુધારી શકે છે અને સારવાર દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘટાડી શકે છે. મુંબઈના ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડો. ઇન્દ્રનીલ મિત્રાના નેતૃત્વ હેઠળ તબીબોએ કેન્સરની સારવારને વધુ અસરકારક બનાવવા ગેમચેન્જર સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.

ડો.મિત્રાએ જણાવ્યું કે કેન્સરની સારવાર પૂરી થયા પછી પણ રોગ મટી જવાને બદલે શરીરના અન્ય ભાગોમાં કેવી રીતે ફેલાય છે?  આ પ્રશ્ન શોધવા માટે અમે ઉંદરો પર સંશોધન કર્યું.  માનવ કેન્સરના કોષો ઉંદરમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જે પછી કેન્સરના કોષોને કારણે ઉંદરોમાં ગાંઠની રચના થઈ. અમે રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને સર્જરી દ્વારા તેમની સારવાર કરી, પરંતુ અમને જાણવા મળ્યું કે રેડિયેશન અને કીમો આપ્યા પછી, કેન્સરના કોષો નાશ પામ્યા અને ખૂબ જ નાના ટુકડા થઈ ગયા.  આ મૃત્યુ પામતા કેન્સર કોષોમાંથી ક્રોમેટિન કણો (રંગસૂત્રોના ટુકડા) રક્તવાહિનીઓ દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે.

આ રંગસૂત્રના ટુકડા શરીરમાં હાજર સારા કોષો સાથે ભળી જાય છે અને તેને કેન્સરના કોષોમાં પરિવર્તિત કરે છે. આ સંશોધને સ્પષ્ટ કર્યું છે કે કેન્સરના કોષો નાશ પામ્યા હોવા છતાં આખરે કેમ પાછા આવે છે. હવે આ સમસ્યાનો ઉકેલ શું છે?  તેથી અમે કેટલાક ઉંદરોને રેઝવેરાટ્રોલ (ફળોમાં જોવા મળતું એન્ટીઑકિસડન્ટ) અને કોપરની સંયુક્ત પ્રો-ઑક્સિડન્ટ ટેબ્લેટ આપી.  ઉપરોક્ત ગોળીઓ એવા ક્રોમોજેન્સને તટસ્થ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે જે સારા કોષોને કેન્સરના કોષોમાં રૂપાંતરિત કરે છે.

ટાટા મેમોરિયલ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રાજેન્દ્ર બડવેએ જણાવ્યું હતું કે આપણે કેન્સરની સારવાર કેવી રીતે સુધારી શકીએ તે અંગે વિચારવાની અને સંશોધન કરવાની જરૂર છે. જો સારવારમાં 70 ટકા સુધારો છે તો તેને 80 કે 90 ટકા કેવી રીતે વધારી શકાય.  ડૉ. મિત્રાનું સંશોધન માત્ર આપણને જ નહીં પરંતુ વિશ્વમાં કેન્સરની સારવાર આપતા લોકોને પણ હાલની કેન્સરની સારવારને સુધારવામાં મદદ કરશે.

ફળ અને તાંબાનો ઘરગથ્થુ ઉપાય પણ કારગત

ડૉ. પંકજ ચતુર્વેદી, ડેપ્યુટી ડાયરેક્ટર, સેન્ટર ફોર કેન્સર એપિડેમિઓલોજી, ટાટા મેમોરિયલ સેન્ટરે જણાવ્યું હતું કે સમસ્યાનું મૂળ શોધવાની સાથે તેનું સમાધાન પણ એટલું જ મહત્વનું છે.  કોપર-રેઝવેરાટ્રોલ માટે ઘરેલું ઉપાય છે. તે કેન્સરની સારવારમાં સુધારો કરવામાં અને સારવાર દરમિયાન થતી આડઅસરોને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. રેસવેરાટ્રોલ દ્રાક્ષ અને બેરીની છાલ અને અન્ય પદાર્થોમાંથી મેળવવામાં આવે છે. કોપર ઘણા ખાદ્યપદાર્થોમાંથી પણ મળે છે.

આ પ્રયોગથી કેન્સરની આડઅસર ઓછી થતી જોવા મળી

ટાટાના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. નવીન ખત્રીના જણાવ્યા અનુસાર, સારવાર દરમિયાન દર્દીને મોઢામાં ચાંદા પડી જાય છે, કોપર-રેઝવેરાટ્રોલનું સેવન આ સમસ્યામાંથી ઘણી રાહત આપે છે.  એવું પણ સામે આવ્યું છે કે મોઢાના કેન્સરના કોષો હતા જે એકદમ આક્રમક જોવા મળતા હતા, પરંતુ કોપર-રેસવેરાટ્રોલની ગોળીઓ આપ્યા પછી, કેન્સરના કોષોની તીવ્રતા ઓછી થઈ ગઈ.  પેટના કેન્સરના દર્દીઓની સારવાર દરમિયાન, તેમના હાથ અને પગની ચામડી છાલવા લાગે છે.  તે ઉપરોક્ત આડઅસરોને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થયું છે.  કોપર-રેઝવેરાટ્રોલના સેવનથી મગજની ગાંઠના દર્દીઓમાં પણ સારા પરિણામો જોવા મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.