Abtak Media Google News
માથામાં કુહાડાના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી: પતિએ એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ

અબતક-રાજકોટ

દ્વારકામાં ટીવી સ્ટેશન રોડ પર રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીના ચારિત્ર પર શંકા કરી કુહાડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. તો પત્નીની હત્યા બાદ પતિએ પ. એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા લખમણભા કરમણભા સુમણીયા (ઉ.વ.50) એ પોતાની પત્ની સંતોકબેન લખમણભા સુમણીયાના ચારિત્ર પર શંકા કરી બોલાચાલી થતા માથાના ભાગે કુહાડીના ઘા માર્યો હતો. જેમા સંતોકબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તથા પત્નિને કુહાડાનો ઘા માર્યા બાદ પોતાનું જીવતર ટૂંકાવી નાખવા ઘરમાં રહેલ એસિડ પી લેતાં દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે લખમણભાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. આ બાબતની જાણ દ્વારકા પોલીસને થતાં દ્વારકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સંતોકબેનની લાશને પોસ્ટમોર્ટમ કરવા દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હત્યારો પતિ કઈ કામ ન કરતો હોવાથી પત્ની સંતોકબેનને કામ કરવાની ફરજ પડી હતી. પરંતુ કામ કરવા જતાં સંતોકબેનને કેરેકટર પર શંકા કરી બોલાચાલી બાદ પત્નીનું ઢીમ ઢાળી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.