Abtak Media Google News

પગાર અને જ‚રી ભથ્થા સહિતની પડતર માંગણીઓ મુદ્દે એસ.ટી.ના કર્મચારીઓ આકરા પાણીએ: આવતીકાલથી બે દિવસની હડતાલના પગલે મુસાફરો રઝળશે: એસ.ટી.ના યુનિયનોની મેનેજમેન્ટ સાથેની મંત્રણા ભાંગી પડી: બે દિવસની હડતાલ નિશ્ર્ચિત થતા રાજયની ૪ હજારથી વધુ બસોના પૈડા આજે મધરાતથી થંભી જશે: હજારો રૂટ રદ થશે.

એસ.ટી.નિગમ ડ્રાઈવર-કંડકટરોને પગાર અને જ‚રી ભથ્થા સહિતની અન્ય પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી સરકારે પુરી નહીં કરતા આજે મધરાતથી બે દિવસ સુધી એસ.ટી.ના કર્મચારીઓની હડતાલને પગલે રાજયના લાખો મુસાફરો રઝળી પડશે. જુદા-જુદા ડેપોની ૪ હજારથી વધુ બસોના હજારો ‚ટ રદ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એસ.ટી.ના યુનિયનોની મેનેજમેન્ટ સાથેની મંત્રણા પણ ભાંગી પડતા તા.૧૬ અને ૧૭ની બે દિવસની હડતાલ નિશ્ર્ચિત હોવાનું મનાઈ રહ્યું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓની મળવાપાત્ર લાભોથી વંચિત રાખીને રાજય સરકારના અન્યાય સામે એસ.ટી.નિગમના કર્મચારીઓ આકરા પાણીએ થતા કર્મચારી મંડળના સભ્યોએ સરકાર સામે બાયો ચડાવી છે. આજે મધરાતથી એસ.ટી.ના કર્મચારીઓ માસ સી.એલ ઉપર જઈને વિરોધ પ્રગટ કરશે. નિગમના કર્મચારીઓના જણાવ્યા મુજબ સરકારનું કર્મચારીઓ સાથે સતત ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે.

ત્યારે એસ.ટી. કર્મચારી મંડળની બનેલી સંકલન સમિતિ દ્વારા કર્મચારીઓને લગતા ૨૨ જેટલા પ્રશ્ર્નોને લઈને સરકાર સમક્ષ વારંવાર રજુઆતો કરવામાં આવતી હતી. જેમાં મુખ્યત્વે ૬ઠ્ઠા પગારપંચની વિસંગતતા દૂર કરવા અને જીપીએસ સિસ્ટમના પગલે ડ્રાઈવર અને કંડકટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જયારે બીજીબાજુ ડ્રાઈવર- કંડકટરની ભરતીમાં પણ અન્યાય થઈ રહ્યો હોવાનું રજુઆતમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત અન્ય કર્મચારીઓની જેમ નિગમના કર્મચારીઓને પણ એલટીસીનો લાભ આપવા, ઓવરટાઈમ આપવા સહિતના પ્રશ્ર્નો મુદે અનેક વખત કરેલી રજુઆતનું સુખ:દ નિરાકરણ નહીં આવતા આવતીકાલથી બે દિવસ રાજયવ્યાપી હડતાલનું એલાન કરાયું છે. તેના પગલે રાજયની ૪ હજારથી વધુ એસ.ટી.બસોના પૈડા આજે મધરાતથી જ થંભી જશે. જેના પગલે રાજયના હજારો ‚ટ રદ કરવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ એસ.ટી.બસની રાહ જોઈ રહેલા મુસાફરો પણ બે દિવસ રઝળી પડે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.

બોર્ડની પરીક્ષા ટાંણે જ એસ.ટી.ની હડતાલ: વિદ્યાર્થીઓ ચેતજો

એકબાજુ રાજયભરમાં આજથી વિદ્યાર્થીઓની કારકિર્દીની મહત્વની એવી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જયારે બીજીબાજુ આજે મધરાતથી બે દિવસ સુધી એસ.ટી.ની હડતાલના પગલે ૪ હજારથી વધુ એસ.ટી. બસોના પૈડા મધરાતથી થંભી જશે. એક સાથે ૧૫૦૦થી વધુ કર્મચારીઓ સામુહિક રજા રીપોર્ટ મુકી દેતા રાજયભરના મુસાફરો રઝળી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગામે ગામથી બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તે બાબત નિશ્ર્ચિત મનાઈ રહી છે.

એસ.ટી.ની હડતાલને પગલે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અનુરોધ કરાયો છે કે, પોતાના ગામથી જે-તે પરીક્ષા કેન્દ્ર પર અન્ય વાહન મારફતે સમયસર પહોંચી જાય. એસ.ટી.બસની હડતાલને પગલે નિગમનો વાહન વ્યવહાર બે દિવસ સુધી બંધ રહેતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સમયસર પરીક્ષા કેન્દ્રમાં પહોંચી શકાય તે માટે કોઈપણ ખાનગી વાહન મારફત બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષાખંડમાં પહોંચી જવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.