Abtak Media Google News
વિપક્ષની વિખવાદ-વિવાદની ચાલ નિષ્ફળ જશે, ભાજપના સૌના સાથ સૌનો વિકાસમંત્ર એટલે કે વિકાસવાદનો વિજય થશે

ભાજપ અગ્રણી નેતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, લોકશાહીના મહાપર્વ વિધાનસભા ચૂંટણીઓ લઈ રાજકીય પક્ષના કાર્યકરોથી લઈ આગેવાનોમાં જીત મેળવવાનો તો ઉત્સાહ હોય જ છે, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને પ્રચંડ બહુમતી સાથે જીતાડવાનો જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનતા પોતાના પ્રિય જનપ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે ઉત્સુક છે. ભાજપના મોવડીમંડળ દ્વારા જાહેર કરેલા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પોતાના પ્રચાર-પ્રસારમાં લાગી ચૂક્યા છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા હંમેશા ભાજપને મત આપતી આવી છે અને ભાજપે હંમેશા ગુજરાતને માંગ્યા કરતા વધુ આપતું આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોવાના ફાયદાઓ પણ ગુજરાતની જનતા જાણી ચૂકી છે એ સમયે આ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકાર વિક્રમજનક જીત મેળવશે. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ગુજરાતીઓ પોતાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને પ્રજાપ્રિય રાજકીય પક્ષ ભાજપને મત આપતા આવ્યા છે અને આગામી ચૂંટણીમાં પણ કમળના નિશાનને ચૂંટી મતદારો ખોબલે-ખોબલે મત આપશે. કમળના નિશાન પર ભાજપને એક-એક વ્યક્તિનો મત એટલે ગુજરાતના વિકાસને અવિરત રાખવામાં સૌની જનભાગીદારી.

હાલ વિપક્ષ દ્વારા મફતની રેવડી વહેંચી મતદારોને લલચાવવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ ગુજરાતના મતદારો શાણા-સમજુ છે. આ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની વિખવાદ-વિવાદની ચાલ નિષ્ફળ જશે, ભાજપના ગુજરાતની ગતિ-પ્રગતિ-ઉન્નતિના વિકાસમંત્ર એટલે કે  વિકાસવાદ-રાષ્ટ્રવાદનો ભવ્ય વિક્રમ સર્જક વિજય થશે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.