Abtak Media Google News

રાજ્યના 77 આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં રાજકોટના પણ 6 અધિકારીઓની બદલી થઈ છે. સામે 6 નવા અધિકારીઓને અહીં મુકવામાં આવ્યા છે. આમ આજરોજ રાજકોટના વહીવટી તંત્રમાં ભારેખમ ફેરફારો થયા છે.

રાજકોટ જિલ્લા તથા શહેરના છ મુખ્ય આઈએએસ અધિકારીઓની આજરોજ બદલી થઈ છે જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનની પણ બદલી થઈ છે. તેમને નેશનલ હેલ્થ કમિશનમાં મુકવામાં આવ્યા છે.  સામે નવા કલેકટર તરીકે અરૂણ મહેશ બાબુને મુકવામાં આવ્યા છે. જો કે અરૂણ મહેશ બાબુ અગાઉ પણ રાજકોટ ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટના મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને મહેસાણા કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે તેની જગ્યાએ પંચમહાલના કલેકટર અમિત અરોરાને મુકવામાં આવ્યા છે.

આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાની પણ અમદાવાદ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે બદલી કરવામાં આવી છે. જેથી નવા ડીડીઓ તરીકે સ્વચ્છ ભારત મિશનના સ્પે. કમિશનર દેવ ચૌધરીને મુકવામાં આવ્યા છે. આ સાથે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીને છોટાઉદેપુર કલકેટર તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી તરીકે ભાવનગરના ડીડીઓ વરૂણકુમાર બરાનવલને મુકવામાં આવ્યા છે.  પીજીવીસીએલના એમડી શ્ર્વેતા ટીઓટીઆને અરવલ્લીના ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા એમડી તરીકે ગાંધીનગરના અધિક કલેકટર ધીમંત વ્યાસને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ડે.મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિને આણંદના ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે તેની જગ્યાએ નવા ડે.મ્યુનિ.કમિશનર તરીકે આશિષકુમાર મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.