Abtak Media Google News

નરેન્દ્રભાઈ મોદીએ પ્રવીણકાકાને યાદ કર્યા, કાકા પરનું પુસ્તક અને ફોટોગ્રાફ પોતાની સાથે યાદગીરી માટે લઈ ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી   જામકંડોરણા પધારેલા હતા. જામકંડોરણાની સભાથી પરત ફર્યા બાદ રાજકોટ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મણીઆર પરિવારે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ એરપોર્ટ ખાતે મણીઆર પરિવારની શુભેચ્છા મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ અપૂર્વભાઈ મણીઆર અને તેમના તમામ પરિવારજનોના વ્યક્તિગત હાલચાલ પૂછ્યા હતા. અપૂર્વભાઈ મણીઆરે પોતાના પિતા પ્રવીણકાકાની જીવની પર સંપાદિત-લિખિત પ્રવીણકાકા વ્યક્તિત્વ અને કર્તૃત્વ પુસ્તક ભેટસ્વરૂપે આપ્યું હતું.

Img 20221011 Wa0032 1

આ પુસ્તકની પ્રસ્તાવના પણ નરેન્દ્રભાઈ મોદીએ લખી હોય તેમજ પ્રવીણકાકા સાથે તેમનો આત્મીય સંબંધ હોય તેઓ આ પુસ્તક તેમજ પ્રવીણકાકાના અન્ય ફોટોગ્રાફ પોતાની સાથે યાદગીરી સ્વરૂપે લઈ ગયા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મણીઆર પરિવારે કરેલી શુભેચ્છા મુલાકાત અંગે અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સંઘના કાર્યકર હતા ત્યારથી તેમને મણીઆર પરિવાર સાથે પારિવારિક સંબંધ છે. તેઓ રાજકોટ આવે ત્યારે અચૂક મારા પિતા પ્રવીણભાઈ મણીઆરના ઘરે પધારતા હતા.

પ્રવીણકાકા અને નરેન્દ્રભાઈ વચ્ચે ગાઢ સંબંધો હતા જે પ્રવીણકાકાના અવસાન બાદ આજેપણ અમારા સાથે અકબંધ છે. અમારો પરિવાર અને નરેન્દ્રભાઈ મોદી એકબીજાના ખબરઅંતર પૂછવાનો કે મળવાનો એકપણ મોકો ચૂકતા નથી. તેઓ રાજકોટ પધારેલા હોય તેમને મળીને મારી દીકરીના લગ્નમાં પધારવાનું આમંત્રણ આપેલું તેમજ મારા પિતા પ્રવીણકાકા પરનું પુસ્તક તથા પરિવાર સાથેના જુના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા તે ફોટોગ્રાફ નરેન્દ્રભાઈ મોદી પોતાની સાથે યાદગીરી સ્વરૂપે લઈ ગયા હતા. તેમણે પ્રવીણકાકા સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત હંમેશની માફક પરિવારના એક વડીલ દ્વારા હૂંફ આપનારી બની રહી હતી એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.