Abtak Media Google News

પોરબંદરમાં એક સપ્તાહમાં હત્યાનો ત્રીજો બનાવ

ભોજન કર્યા બાદ  બોલાચાલી થતા બનાવ હત્યામાં પલટાયો: હત્યારો પોલીસ હાથવેતમા

પોરબંદર જિલ્લામાં છેલ્લા  એક સપ્તાહમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. જેમાં છાંયા વિસ્તારમાં રહેતા એક મહિલાને તેમના જેઠે જ છરીના ઘા ઝીંકી દેતા આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

પોરબંદરમાં  પૂર્વે છાંયા વિસ્તારમાં એક પરીણિતાની તેના પતિએ હત્યા કરી દીધી હતી, તો ત્રણ દિવસ પૂર્વે એક ખેડૂતની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. જ્યારે આજે છાંયા વિસ્તારમાં જ એક હત્યા થઈ છે, જેમાં છાંયા ભીમરાવ ચોક વિસ્તારમાં રહેતા મોહનભાઈ ડોડીયા આજે બપોરે જમવા બેઠા હતા. તેવા સમયે તેનો મોટો ભાઈ માધવ ઘરે આવ્યો હતો, ત્યારે મોહનભાઈએ તેને પણ જમવાનું પૂછ્યું હતું પરંતુ માધવે ના પાડી હતી. ત્યારબાદ મોહનભાઈ જમીને બહાર જતા કોઈપણ કારણોસર ઉશ્કેરાયેલા માધવે અચાનક જ મોહનભાઈના પત્ની શાંતિબેન પર છરી વડે હુમલો કરી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

આ ઘટના બાદ તેમના પતિએ પોતાના ભાઈ માધવ ડોડીયા પાસેથી છરી ઝુંટવી લેતા તેને પણ ઈજા પહોંચી હતી. આ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ શાંતિબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જે ઘટનાની જાણ થતા સીટી ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને શાંતિબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પી.એમ. ખસેડ્યો હતો. હત્યા કરનાર આરોપી પોલીસના હાથવેંતમાં  આવી ગયો હોવાનું જાણવા મળે છે, જેથી આરોપીની ધરપકડ બાદ હત્યા અંગેનું કારણ સહિત વધુ વિગતો પ્રકાશમાં આવશે. મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળે છે. આ મહિલાની હત્યા થતા બન્ને પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.