Abtak Media Google News

૧પ દિવસથી ઉ૫વાસ પર બેઠેલા કિશન સોંદરવાએ હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી.

જુનાગઢ (૧૩૮૦) તેરસો એંસી  ગૌવંશના મૃત્યુનો હિસાબ માંગતો દલીતનો દીકરો, મહિનાઓ પછી કોઇ નકકર કામગીરી ન થતાં આવનારા દિવસોમાં ગૌ ભકતોની હાઇકોર્ટના શરણે જવા સહીત આત્મવિલોપનની ચીમકી ગૌ માતા જુનાગઢ મહાનગરપાલિકામાં કહેવાતા હિંદુત્વવાદી ભાજપના શાસનમાં તેરસોને એંસી ગાયોના મોત બાદ અમુક દિવસોની ગરમા ગરમીને બાદ કરતા મામલો થાળે પડી જેટલો સામાન્ય પ્રજાજનને દેખાઇ આવતો હોવાનું બહાર આવતા ગોભકત અને કડીયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ કિશન સોંદરવા સહીત અનેક ગૌ ભકતોએ છેલ્લા ૧પ દિવસથી કાળવા ચોક આંબેડકર પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસ આંદોલન  શરુ કરતાં સાધુ સંતો અને સમાજ શ્રેષ્ઠીઓએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ગૌ ભકતોએ ગુજરાતના મુખ્યમંત્રીને તાજેતરમાં લેખીત રજુઆત કરી આ અંગે યોગ્ય તપાસની માંગ કરી હતી. અને જો ગણતરીના દિવસોમાં આ અંગે કોઇ કાર્યવાહી નહી થાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ મુદ્દાને લઇ હાલ શહેરભરમાં ચર્ચાનો માહોલ ઉભો થવા પામ્યો છે.

આ અંગે વધુ વિગત અનુસાર તાજેતરમાં રખડતા ભટકતા ગૌવંશને પકડીને મહાનગરપાલિકાએ જુનાગઢ સહીત આસપાસની ગૌશાળાઓને આ ગૌવંશ સોપ્યા હતા જેના નિભાવનો ખર્ચ પણ મનપાએ જે તે ગૌશાળાને ત્વરીત ચૂકવી આપ્યો હતો. આ સોંપાયેલી ગાયોમાં તેસો એંસી ગાયોનો મોતનો મામલો બહાર આવતા ગુજરાતભરમાં આ મામલે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. શરુઆતના તબકકે અધિકારીઓ અને કહેવાતા હિંદુવાદી ભાજપના સત્તાધીશોએ કાર્યવાહી થવાની સંપૂર્ણ ખાતરી અને તૈયારી બતાવી હતી. પરંતુ દિવસો પછી આ મામલે કોઇ કાર્યવાહી ન થતા બુઘ્ધિજીવી નાગરીકોને રીતસર આ પ્રકરણ પર ઠંડુ પાણી રેડાઇ રહ્યું હોય તેવી પ્રતિતિ થઇ હતી. બાદમાં અમુક ગૌભકતો કડિયાવાડ વેપારી એસો.ના પ્રમુખ કિશન સોંદરવાની આગેવાનીમાં અડધો દિવસ બંધ પાડી મનપાના કમિશનર સહીત લાગતા વળગતાઓને આવેદન પાઠવ્યું હતું.

તે બાદનાં દિવસો પછી પણ કોઇ કાર્યવાહી ન થતાં ગૌભકતોએ કાળવા ચોક ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન શરુ કરી ગુજરાતનાં મુખ્યમંત્રી ને આ અંગે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમજ આ અંગે કોઇ કાર્યવાહી નહી થાય તો આગામી સમયમાં આત્મવિલોપન તેમજ હાઇકોર્ટના શરણે જવાની ચીમકી પણ આ ગૌભકતોએ ઉચ્ચારી હતી.આ બાબતે મુખ્યમંત્રીએ ગત તારીખ છના જુનાગઢ જીલ્લા પોલીસ વડા તેમજ મનપાના કમિશનરશ્રીને આ બાબતની ગંભીર નોંધ લેવા તત્વરે કાર્યવાહી કરવા તેમજ કરેલ કાર્યવાહીની વિગતો મોકલવા આદેશો જારી કર્યા હતા. તેરસોને એસી ગાયોના મોતનો મામલો હાલ ગૌભકતોએ છંછેડતા સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓએ આ ગૌભકતો ને ટેકો જાહેર કર્યો છે. આખોય મામલો આવનાર સમયમાં જુનાગઢ મનપાના સતાવાળાઓ માટે લિટમસ ટેસ્ટ જેવો સાબીત થશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.