Abtak Media Google News

હાથ સળગાવી છરી ઝીંકવાનો પ્રયાસ કર્યો, યુવક ભાગી જતા બચી ગયો

 

અબતક,રાજકોટ

જેતપુરમાં અંધશ્રદ્ધાની હદ પાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અજાણ્યા શખસે પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકાના આધારે મહિલા સહિત અન્ય બે શખસો સાથે મળી જેતપુરના વિક્રમ ભગવાનજીભાઈ જાદવ નામના યુવાનનું અપહરણ કર્યું હતું. બાદમાં યુવાનને માતાજીના મઢમાં લઇ જઈ  “જો તારે મારી પત્ની સાથે સંબંધ ન હોય અને તું સાચો હોય તો ધગધગતા તેલના તાવડામાં હાથ નાખ” તેવું કહ્યું હતું. પરંતુ યુવાને હાથ ન નાખતા મહિલાએ વાળ પકડ્યા અને ત્રણ શખસોએ યુવાનનો હાથ તાવડામાં નાખ્યો હતો. હાથ બળી જતા ત્રણેય શખસોએ છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાન લાત મારી ભાગી ગયો હતો.અને હોસ્પિટલમાં દાખલ થયો હતો.

આ અંગે ભોગબનનાર વિક્રમ જાદવે જણાવ્યું હતું કે, ચાર વ્યક્તિ આવ્યા અને મારા ગળે છરી રાખી અપહરણ કરીને લઇ ગયા હતા. આગળ-પાછળ ગાડી ચલાવતા હતા અને મને કહેતા કે આગળ ગાડી ચલાવ નહીંતર છરીનો ઘા ઝીંકી દઇશ. આ ચારેય શખસો તેના ઘરે લઇ ગયા હતા. બાદમાં માતાજીના મઢે લઇ ગયા હતા અને મને કહ્યું કે ધગધગતા તેલના તાવડામાં હાથ નાખ સાચો હોય તો. ત્રણ જણાએ મારો હાથ તાવડામાં નાખ્યો અને એની બહેને મારા વાળ પકડી રાખ્યા હતા. મારો હાથ બળી ગયો તો ત્રણેય શખસો કહેવા લાગ્યા કે હવે એને લઇ લ્યો બહાર જઇને મારી નાખો.બાદમાં બહાર લાવ્યા ત્યારે છરીનો ઘા ઝીંકે એ પહેલા મેં લાત મારી ભાગી નીકળ્યો હતો. મારો જીવ બચાવી જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.બનાવની જાણ પોલીસને થતા પોલીસે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.