Abtak Media Google News

ગુજરાતે હવે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા-સ્ટેજ કેળવ્યા છે: ભાવિ પેઢીને એ માટેના  ગુણવત્તાયુકત શિક્ષણથી સજ્જ કરવા શાળા પ્રવેશોત્સવથી ફોકસ કરવું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શાળા પ્રવેશોત્સવને રાજ્ય સરકારના બધા જ વિભાગો-સમગ્ર ગુજરાતનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતાં જણાવ્યું છે કે, ગુજરાતે હવે સમગ્ર વિશ્વ સાથે હરિફાઇ સ્પર્ધા કરવાની ક્ષમતા-સ્ટેજ કેળવ્યા છે ત્યારે ભાવિ પેઢીને શિક્ષણ-ગુણવત્તાયુકત શિક્ષણથી સજ્જ કરવા આ પ્રવેશોત્સવથી ફોકસ કરવું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની હરણફાળમાં શિક્ષણને મહત્વ આપીને ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન ર૦૦૩ થી શરૂ કરાવેલો આ શાળા પ્રવેશોત્સવ સાતત્યપૂર્ણ રીતે ચાલતો રહ્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં આગામી ૧૩ અને ૧૪ જૂને ગ્રામીણ ક્ષેત્ર અને ૧૫ જૂને શહેરી ક્ષેત્રમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, સચિવો અને શિક્ષણ કર્મયોગીઓની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ આ પ્રવેશોત્સવ સરકારી શાળાઓમાં બાળકોના માત્ર પ્રવેશનો સરકારી કાર્યક્રમ ન બની રહેતાં, સરકારી શાળાઓની શ્રેષ્ઠતા આવનારા દિવસોમાં પૂરવાર કરવાનો શિક્ષણ સેવાયજ્ઞ બને તેવું આહવાન અધિકારીઓને કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં ર૦રર સુધીમાં બધા જ વર્ગખંડો વર્ચ્યુઅલ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીયે. ઇન્ફ્રાસ્ટ્રકચર વૃધ્ધિ સાથે રપ હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે સરકારે ફાળવ્યું છે ત્યારે શાળા પ્રવેશત્સવ-ગુણોત્સવ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રક્રિયારૂપે નિરંતર ચાલે તે પણ જરૂરી છે.

મુખ્યમંત્રીએ શિક્ષણને પ્રાયોરિટી  પ્રાથમિકતા આપીને તક્ષશીલા  નાલંદા જેવી પ્રાચીન જ્ઞાન વિદ્યાપીઠ સમકક્ષ બનાવવાની સ્થિતી તેમજ સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લોકોને આકર્ષણ થાય તેવી સ્થિતી નિર્માણ કરવા પ્રેરણા આપી હતી.

તેમણે શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેઇટ શૂન્યે પહોચાડયા બાદ ૧૦૦ ટકા એનરોલમેન્ટથી સૌના સાથ સૌના વિકાસ સાથે હવે સૌના વિશ્વાસને પણ બર લાવવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવના પ્રારંભિક તબક્કાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો કરવા થયેલા પ્રયાસોને આજે સફળતા મળી છે ત્યારે હવે શાળા પ્રવેશોત્સવ બાદ બાળકોના ગુણાત્મક શિક્ષણ પર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે મિશન વિદ્યા અને ધોરણ-ર માં નિદાન કસોટીના પરિણામો પણ સારા આવ્યા છે. તે પરિણામ હજી પણ વધુ સારા આવે તે દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.