Abtak Media Google News

Table of Contents

નાણાના જોરે રાજકીય પક્ષોના નેતા કે કાર્યકરોને ખરીદે ત્યાં સુધી ઠીક છે પણ મીડિયા જગતને ખરીદવાની ગુસ્તાખી ક્યારેય ન કરે

ઈન્દ્રનીલના સહારે ઉછળકુદ કરતા વશરામ સાગઠીયા અને મીતુલ દોંગા પણ “માપ” રહે

પૈસાના જોરે માત્ર સુખ-સુવિધા ખરીદી શકાય છે. પ્રજાનો પ્રેમ અને લોકપ્રિયતા જીતવા માટે સ્વચ્છ દિલ હોવું જરૂરી છે. મીરાજીપૂરી લોટાની માફક કોઈ જ પ્રકારનું સામાજીક કે રાજકીય અસ્તિત્વ ન ધરાવતા ઈન્દ્રનીલ રાજયગુરૂ પૈસાના જોરે ફરી નેતા થવા નિકળ્યા છે. નાણાની કોથળીઓ ખૂલ્લી મૂકી રાજકીય નેતાઓ કે કાર્યકરો ખરીદી શકાય છે. મીડિયા જગતની તાકાત નહીં એ વાત ઈન્દ્રનીલભાઈએ ખાસ યાદ રાખવાની આવશ્યકતા છે કાચના ઘરમાં રહેતા લોકોએ બીજાના ઘર પર પથ્થર ફેંકતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ.

રાજકોટના પોલીસ કમિશ્નર સામે થઈ રહેલા કથીત તોડકાંડના આક્ષેપોમાં કોઈ જાણ્યા જોયા વિના કુદેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ પીડિતોને મદદરૂપ થવા નહી પરંતુ પોતાના મલીન ઈરાદા પાર પાડવા ગઈકાલે લોક દરબાર કર્યો હતો. જેમાં તેઓએ એવો દાવો કર્યો હતો કે તેને પોલીસ વિરૂધ્ધની 50 ફરિયાદો મળી છે. જોકે કોને ફરિયાદ કરી તેનું નામ જાહેર કર્યું નહતુ. આ કહેવાતા લાકદરબારમાં ઈન્દ્રનીલભાઈ ‘નશા’માં એટલા ચકનાચૂર થઈ ગયા હતા કે તેઓએ મીડિયા જગત પર તદ્ન ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. જો તેઓને ખરેખર લોક દરબાર હીટ બનાવવો હતો તો મીડિયા સામે કરેલા આક્ષેપો પૂરાવા સાથે રજૂ કરવાની આવશ્યકતા હતી.

તેઓએ એવું પણ કહ્યું હતુ કે ‘અબતક’ મીડિયા હાઉસના સતિષભાઈ મહેતા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અંગત સંબંધ ધરાવતા હોવાનો દાવો કરી રહ્યા છે અમે દાવો નથી કરતા વાસ્તવમાં અમે વિજયભાઈ સાથે પારિવારિક સંબંધો ધરાવીએ છીએ જયારે વિજયભાઈ પાસે કોઈ પણ પ્રકારનો હોદો ન હતો ત્યારે પણ તેઓ અવાર નવાર ‘અબતક’ની મૂલાકાતે આવતા હતા અને ખાસ્સો સમય રોકાણ કરતા હતા અરે વિજયભાઈની વાત છોડો અમારે તો ઈન્દ્રનીલના પિતાશ્રી સંજયરાજભાઈ સાથે પણ ભૂતકાળમાં સારા સંબંધો હતા.

‘અબતક’ કાર્યાલય ખાતે લગાવવામાં આવેલી વિજયભાઈ રૂપાણીની તસ્વીરોથી ઈન્દ્રનીલના પેટમાં ચૂંક ઉપડે છે. તમે પ્રજાલક્ષી કાર્યો કરો તો અમે અમારા કાર્યાલયે આપની તસ્વીરો રાખવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. આપ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી માત્રને માત્ર પૈસાના જોરે જ જીત્યા હતા તે વાત જગ જાહેર છે. ધારાસભ્ય બન્યા બાદ આપના સ્વભાવમાં પૈસાના અભિમાન સાથે રાજકીય નશો ભળ્યો અને પ્રજાનો પ્રેમ વિસરાઈ ગયો પરિણામ એ આવ્યું કે 2017 વિધાનસભાની ચૂંટણીમાં વિજયભાઈ રૂપાણી સામે રેકોર્ડ બ્રેક મતોથી ભૂંડો પરાજય થયો.

મીડિયા હંમેશા તટસ્થ હોય છે કોઈ રાજકીય પક્ષ કે ધનાઢય વ્યકિત તેને કયારેય ખરીદી શકયું નથી અને ખરીદી પણ નહી શકે તે વાત ઈન્દ્રનીલભાઈએ ખાસ યાદ રાખવી જોઈએ. દશ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ‘અબતક’ મીડિયાએ તમામ રાજકીય પક્ષોના નેતા અને કાર્યકરોને એક સમાન જ માન આપ્યું છે. ભાજપના નેતાઓ હોયકે કોંગ્રેસના નેતા મીડિયા તરીકે અમારી નજરમાં તમામ સમાન છે. પરંતુ અમારે કોઈ વ્યકિત સાથે વધુ સંબંધ હોય તે તમને પસંદ ન હોય તે પ્રશ્ર્ન આપનો છે અમારો નથી.

ભૂતકાળમાં એક ધારાસભ્ય તરીકે આપને પણ ‘અબતક’ મીડિયા હાઉસમાં પૂરતુ માન આપવામાં આવતું હતુ વિજયભાઈ સામે આપની કારમી હાર બાદ જાણે વિજયભાઈના તમામ સંબંધીઓ આપને દુશ્મનો લાગતા હોય તેવું લાગી રહ્યું છે. તમે સમાજના એક જવાબદાર વ્યકિત છો. રાજકીય રીતે હવે હાંસિયામાં ધકેલાય ગયા બાદ મીડિયાને ટાર્ગેટ કરી રહ્યા છો તે વાત બીલકુલ વ્યાજબી નથી. એક વાત ગાંઠવાળી રાખજો કે પૈસાની મદદથી રાજકારણીઓને ખરીદી શકાય મીડિયા જગતને કયારેય નહી. તમે ધારાસભ્ય તરીકે માત્ર પાંચ વર્ષમાં જ લોકપ્રિયતા ગુમાવી ચૂકયા હતા અને બીજી ટર્મમાં પ્રજાએ જાકારો આપ્યો. જયારે એક મીડિયા તરીકે પ્રજા છેલ્લા એક દશકાથી અમારા પર અપાર પ્રેમ વરસાવી રહી છે.

તમારા બદ ઈરાદા સંતોષવા મીડિયા કયારેય તમને સાથ આપશે નહીં તે વાત ખાસ યાદ રાખજો મીડિયા કયારેય કોઈનું પીઠુ બન્યું નથી. અને બનશે પણ નહી, તમારૂ રાજકીય અસ્તીત્વ ફરી ઉભૂ કરવા મીડિયા જગતને છંછેડવાનો હિન પ્રયાસ કરશો તો તે કયારેય ચલાવી લેવાશે નહી. હવે આપ જયારે રાજકીય રીતે ફાવતા નથી એટલે મીડિયાના માધ્યમથી પ્રોપોગેન્ડા ઉભા કરો છો. મીડિયા જગત એક ચોથી જાગીર છે અને રહેશે. તેની ગરીમા જાળવવી જોઈએ. જો લક્ષ્મણ રેખા ઓળંગવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે.

વશરામ સાગઠીયા અને મીતુલ દોંગા હવે પોતાનું અસ્તિત્વ ગુમાવવાની આરે છે ત્યારે ઈન્દ્રનીલના સહારે ધમપછાડા કરતા આ બંને કહેવાતા નેતાઓએ પણ ‘માપ’માં રહેવા ઈશારો કરવામાં આવે છે. અન્યતા ભવિષ્યમાં માઠા પરિણામો ભોગવવા પડશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ફરી રાજકીય અસ્તિત્વ ઉભી કરવા ઈન્દ્રનીલ રાજયગુરૂ ધમપછાડા કરે છે. વાત નાનુ બાળક પણ જાણે કે કોંગ્રેસ કોઈ કાળે તેઓને સ્વિકારવા તૈયાર નથી ત્યારે હવે મીડિયા જગત પર સાચા ખોટા આક્ષેપો કરી તે લાઈમ લાઈટમાં આવવા માંગે છે પરંતુ તેનો આ ઈરાદો કયારેય પૂરો નહી થાય. મીડિયાની ભૂમિકા હંમેશા સમાજમાં સારો સંદેશો આપવાનો હોય છે. નહીં કે આપની માફક કોઈ પણ આધાર-પૂરાવા વિના ગમે તેની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનો.

ઇન્દ્રનીલે યોજેલા લોક દરબારની કાયદેસરતા કેટલી?

કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી ને લોક દરબારમાં  કરેલી અરજીથી પોલીસને બ્લેક મેઇલીંગ કરાશે?

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા રાજકોટ પોલીસ સામે તોડના કરેલા કથિત આક્ષેપની ડીજી લેવલથી તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસનું મોરલ તોડી પોલીસને દબાવવાના હેતુસર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ લોક દરબાર યોજયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ઇન્દ્રનીલ અત્યારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી ત્યારે તેને કયાં આધારે લોક દરબાર યોજયો અને એકઠાં કરેલાઓ પાસેથી પોલીસ વિરૂધ્ધ કરેલા આક્ષેપોની અરજી મેળવી તમામને ન્યાય અપાવવાની વ્યર્થ ખાતરી આપી એકઠાં થયેલાઓ મુર્ખ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇન્દ્રનીલ રાજયગુરૂએ એકઠી કરેલી અરજીઓ માત્ર પોલીસ પર દબાણ કરવા અને પોતાના અંગત કામ કરાવવા પોલીસને બ્લેક મેઇલીંગ કરવા અરજીનો ઉપયોગ કરવામાં આવશે તેમ જાણકારો કહી રહ્યા છે.

ઇન્દ્રનીલ 72 કલાકમાં જાહેરમાં માફી ન માગે તો કાનૂની કાર્યવાહી

ઇન્દ્રનીલ રાજયગુરૂ દ્વારા ગઇકાલે લોક દરબાર યોજી ‘અબતક’ સામે બીન જરૂરી અને અયોગ્ય રીતે આંગળી ચિન્ધી પાયા વિહોણા કરેલા આક્ષેપના કારણે પ્રથમ દ્રષ્ટીએ રૂા.200 કરોડનું આર્થિક નુકસાન થાય તેમ હોવાથી તેના વળતર માટે કાયદાકીય રીતે પગલા ભરવા રાજયની હાઇકોર્ટના અમદાવાદ ખાતેના સિનિયર એડવોકેટ સેજપાલ એસોસિએટ દ્વારા દિવાની અને ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ છે.

પાયા વિહોણા આક્ષેપ કરનાર ઇન્દ્રનીલ રાજયગુરૂ આગામી 72 કલાકમાં મિડીયા સમક્ષ જાહેરમાં માફી નહી માગે તો તેની સામે માનહાની સહિતની કાર્યવાહી કરવામાં આવશે આ અંગે જરૂરી કાર્યવાહી માટે અમદાવાદના સિનિયર એડવોકેટ સેજપાલ એસોસિએટ દ્વારા કરવામાં આવી રહી છે. ઇ-મેલના માધ્યથી ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિતનાને નોટિસ મોકલવામાં આવી છે. અને ટૂંક સમયમાં તેને એડીરજીસ્ટરથી મોકલવામાં આવી છે. ઇન્દ્રનીલ રાજયગુરૂ સામે ફોજદારી અને દિવાની રાહે કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર છે.

ઇન્દ્રનીલભાઇ આપના કરતૂતોના પાપે અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છો

સામાજીક અને રાજકીય અસ્તિત્ત્વ પૈસાના જોરે ક્યારેય ઉભું કરી શકાતું નથી તે વાત ઈન્દ્રનીલ યાદ રાખે

જેના હૈયામાં પ્રજાનું હિત સમાયેલું હોય તે વ્યક્તિ ક્યારેય લોકપ્રિયતા ગૂમાવતો નથી. માત્રને માત્ર પૈસના જોરે એક વખત ધારાસભ્ય તરીકે શું ચૂંટાઇ આવ્યા કે આપે તમામ ગરીમાઓને નેવે મુકી દીધી હતી. ક્યારેય પ્રજાના હિતની ચિંતા પણ કરી ન હતી. આપના કાળા કરતૂતોના કારણે કોંગ્રેસને પણ પારાવાર નુકશાની થવા પામી છે. જમીન સાથે જોડાયેલો નેતા વર્ષો સુધી લોકોના દિલમાં રાજ કરતો હોય છે.

પરંતુ આપ તો માત્ર પૈસાના અભિમાનમાં જ કાયમી ધોરણે રાંચતા હતા જેનું પરિણામ એ આવ્યું કે જે જનતાએ તમને નેતા સમજીને ધારાસભ્ય બનાવ્યા હતા તેજ જનતાએ પાંચ વર્ષ સુધી તમારા કરતૂતોને જોઇ જાકારો આપી દીધો. હવે જ્યારે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી રાજકીય અસ્તિત્વ ઉભું કરવા માટે આપ ખેલ પાડી રહ્યા છો. તમારા કરતૂતો છૂપાવવા માટે મિડીયા જગતને હાથો બનાવી રહ્યા છો તે વાત જનતા સારી રીતે જાણે છે.

આપનો અભિમાની સ્વભાવના કારણે હવે માતૃ સંસ્થા કોંગ્રેસ પણ તમને કોઇ કાળે સ્વિકારવા તૈયાર નથી. જૂથબંધી આપના મૂળ સ્વભાવમાં રહેલી છે. જેના કારણે કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તમારા કાળા કરતૂતોના કારણે સામાજીક અને રાજકીય અસ્તિત્વ તો સાવ ભૂંસાઇ જ ગયું છે. હવે માત્ર આર્થિક તાકાતના આધારે તમે ફરી નેતા બનવા ધમપછાડા કરી રહ્યા છો પરંતુ તમારી આ મુરાદ ક્યારેય પરીપૂર્ણ થવાની નથી.

મીડિયા જગત કયારેય કોઈનું પીઠું બન્યું નથી બનશે પણ નહીં તે વાત રાજકીય અને સામાજીક આબરૂ ગુમાવી ચૂકેલા ઈન્દ્રનીલભાઈએ ખાસ યાદ રાખવી જોઈએ

મીડિયાના માલિકોને કોઈ સાથે વ્યકિતગત સંબંધ હોય તે કોઈ ગુનો છે??

મીડિયા જગતના અનેક લોકો સાથે આપના પિતાશ્રી સંજયરાજ રાજ્યગુરૂ પણ સંંબંધો ધરાવતા હતાં

મુખ્યમંત્રી તરીકે વિજયભાઈના પાંચ વર્ષના કાર્યાકાળમાં “અબતક” પરિવારનો કોઈ સભ્ય તેમની પાસે એક પણ ફાઈલ લઈ ગાંધીનગર ગયો નથી

રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે “અબતક” પરિવારના મોભી સતિષભાઈ મહેતા પારિવારિક સંબંધો ધરાવે છે. વિજયભાઈ જયારે કોઈ હોદા પર ન હતા ત્યારે પણ “અબતક” મીડિયા હાઉસની મૂલાકાતે આવતા હતા. અને ‘ચાય પે ચર્ચા’ સહિતના કાર્યક્રમોમાં સામેલ થતા હતા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વષ સુધી સત્તારૂઢ રહ્યા આ પાંચ વર્ષના કાર્યકાળમાં એક પણ વખત “અબતક” મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતા કે “અબતક” પરિવારનો કોઈ સભ્ય કોઈ ફાઈલ લઈ કયારેય ગાંધીનગર ગયો નથી અમે વિજયભાઈ રૂપાણી પાસે એક પણ કામ કરાવ્યું નથી.

તેઓ અમે છાતી ઠોકીને દાવો કરીએ છીએ છતા ઈન્દ્રનીલ રાજયગુરૂને રેકોર્ડ તપાસી લેવાનો અમે પડકાર આપીએ છીએ. ઈન્દ્રનીલભાઈ તમને એ વાત યાદ હશે કે ભૂતકાળમાં અમે આપના પિતાશ્રી સંજયરાજભાઈ સાથે પણ સંબંધો ધરાવતા હતા. કોઈ સાથે સારા સંબંધ હોવા તે ગુનો નથી. તમારે જેની સાથે અણ બનાવ હોય તેની સાથે મીડિયા જગતના માંધાતાઓ પણ સંબંધ રાખવાનું બંધ કરીદે તેવી આપની ઈચ્છા કયારેય પરિપૂર્ણ થશે નહી.

રાજકારણ રમો પણ મીડિયા જગતને છેડવાનો પ્રયાસ ક્યારેય ન કરતાં

પોતાનું રાજકીય અને સામાજીક અસ્તિત્વ સંપૂર્ણ પણે ધૂળધાણી થઈ ગયા બાદ હવે ઈન્દ્રનીલ રાજયગુરૂ મીડિયા જગતને છંછેડવાનો હિન પ્રયાસ કરી રહ્યો છે. જો ભવિષ્યમાં આવી વૃત્તી ચાલુ રાખશે તો માઠા પરિણામો ભોગવવા પડશે. કારણ કે પૈસાના જોરે ઉછળતા ઈન્દ્રનીલભાઈ એવું માની રહ્યા છે કે તેઓ પૈસાથી મીડિયાને ખરીદી શકશે પણ આ વાતમા માલ નથી. કારણ કે લોકશાહીમાં મીડિયાને ચોથી જાગીરનો દરજજો આપવામાં આવ્યો છે. અને મીડિયા હંમેશા પોતાની ગરીમાથી જ કામ કરતું રહેશે. જો તેને છંછેડવાનો પ્રયાસ કરાશે તો કયારેય સાંખી નહી લેવાય.

જો ટીમ ઈન્દ્રનીલ માફી નહીં માંગે તો 200 કરોડનો માનહાનિનો દાવો ઠોંકાશે

ઈન્દ્રનીલ રાજ્યગુરુ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ જવાબદાર વ્યક્તિ ગણી શકાય. તેમ છતાં તેઓએ કોઈ બીજા જ આશયથી લોકદરબાર યોજ્યો હતો. બાદમાં તેઓએ વશરામ સાગઠિયા અને મિતુલ દોગા સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કોઈ આધાર પુરાવા વગર અબતક અને અબતકના મેનેજીંગ એડિટર ઉપર જમીનના મુદાને લઈને આક્ષેપ કર્યા હતા. આ બદલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને મિતુલ દોગા સામે રૂ. 200 કરોડનો માનહાનીનો દાવો કરવામાં આવશે. તેઓ દ્વારા જાહેરમાં કોઈ બીજા આશયથી છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માટે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.