Abtak Media Google News

રાજય, રાજય બહારના કે અન્ય રાષ્ટ્રના કોઈપણ નાગરિકને

ગુજરાતમાં થયેલા અકસ્માત સમયે નજીકના સ્થળે સરકારી હોસ્પિટલો-ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર પુરી પડાશે: કોઈપણ જાતની આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય તમામ નાગરિકોને લાભ: અકસ્માતગ્રસ્ત પ્રત્યેક દર્દીને રૂ.૫૦,૦૦૦ સુધીની નિ:શુલ્ક સારવાર: નાયબ મુખ્યમંત્રી

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. રાજયમાં કોઈપણ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં ઈજા પામેલાને પ્રથમ ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવશે તેવી જાહેરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે. રાજય, રાજય બહારના કે અન્ય રાજયના કોઈપણ નાગરિકને ગુજરાતમાં થયેલા અકસ્માતમાં તાત્કાલિક સારવાર વિનામૂલ્યે અપાશે. જેમાં કોઈપણ જાતની આવક ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને અકસ્માતમાં પ્રત્યેક દર્દીને રૂ.૫૦ હજાર સુધીની નિ:શુલ્ક સારવાર અપાશે.

ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં વધતી જતી વાહનોની સંખ્યાને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અંદાજે સરેરાશ દર વર્ષે ૨૯,૩૦૯ રોડ અકસ્માત થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ ૬,૪૮૩ લોકો મૃત્યુ પામે છે. આવા અકસ્માતોમાં ઈજા પામનાર કે મૃત્યુ પામનાર કે કાયમી અપંગ થયેલા વ્યકિત અને તેમના પરિવારજનોને ઘણી મોટી તકલીફ અને દુ:ખ સહન કરવુ પડતુ હોય છે. અનુભવે જણાવ્યું છે કે માર્ગ અકસ્માતમાં ઈજા પામેલ વ્યકિતઓને જો તાત્કાલિક, સમયસર, યોગ્ય સારવાર પ્રાપ્ત થાય તો તેવા વ્યકિતઓના જીવન બચાવી શકાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજય સરકારના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે, ગુજરાતની હદમાં થયેલ અકસ્માત પછીના ૪૮ કલાક દરમ્યાન દર્દીઓને રૂ.૫૦,૦૦૦ સુધીની તાત્કાલિક સારવાર વિનામૂલ્યે અપાશે. જેમાં ગુજરાત, ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઈપણ નાગરિક હોય, પરંતુ અકસ્માત ગુજરાતના કોઈપણ છેડે થયો હોય તો પણ નજીકના સ્થળે દર્દીને રાજયની તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર પુરી પડાશે.

તેમણે ઉમેર્યું કે, અકસ્માતના પ્રથમ કલાક (ગોલ્ડન અવર)માં ઈજાગ્રસ્તોને ઈમરજન્સી મેડીકલ સારવાર તાત્કાલિક મળી રહે તો ૫૦% દર્દીઓનું અમૂલ્ય જીવન બચાવી શકાય છે. અકસ્માત દરમ્યાન કોઈપણ વ્યકિત વહેલામાં વહેલી તકે યોગ્ય સારવાર પ્રાપ્ત કરાવા માટે અકસ્માતના સ્થળથી સૌથી વધુ નજીક આવેલ ઉચ્ચ પ્રકારની સારવાર-સુવિધા અને ડોકટર ધરાવતી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો વ્યકિતઓને બચાવી શકાય છે. અકસ્માત દરમ્યાન ઈજાગ્રસ્ત લોકો ઝડપથી કોઈપણ ખાનગી સહિતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ ૪૮ કલાક દરમ્યાન ઈજાગ્રસ્તનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફેકચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એકસ-રે ઈજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમ.આર.આઈ., અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફયુઝન, માથાની ઈજાની સારવાર અને ઓપરેશન, ધનિષ્ઠ સારવાર એકમમાં સારવાર (આઈસીયુ), પેટ અને પેઢુની ઈજાઓ જેવી તમામ પ્રકારની સારવાર માટેનો તમામ ખર્ચ જે તે હોસ્પિટલોને સીધે-સીધો રાજય સરકાર દ્વારા ચુકવાશે. જેથી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો ઈજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવન ન ગુમાવે તેવો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

અકસ્માતનો ભોગ બનનાર દર્દીને નજીકની કોઈપણ ખાનગી હોસ્પિટલ, જિલ્લા-તાલુકા હોસ્પિટલો, મેડીકલ કોલેજ-હોસ્પિટલો અથવા કોઈપણ અન્ય જાહેર કે ખાનગી હોસ્પિટલોમાં આ સેવાઓ પુરી પડાશે. અસરગ્રસ્ત દર્દીઓએ પ્રાથમિક સારવાર પેટે કોઈ નાણા ચુકવવાના રહેશે નહીં. ખાનગી હોસ્પિટલોએ પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે દર્દી પાસેથી કોઈ નાણા લેવાના રહેશે નહીં. ખાનગી હોસ્પિટલોએ કરેલી સારવાર અંગેના ખર્ચનું બીલ સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે. તેમજ ખાનગી હોસ્પિટલને બિલની ખરેખર રકમ અથવા રૂ.૫૦,૦૦૦/- બંનેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે. તેમણે ઉમેર્યું કે, આ યોજનાનું સંપૂર્ણ મોનીટરીંગ રાજયકક્ષાએથી કરાશે. જે માટે રાજય સરકારે ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૩૦ કરોડની ફાળવણી પણ કરી છે. રાજય સરકારના આ નવતર અભિગમને કારણે અકસ્માત સમયે ત્વરીત સારવાર મળતા અનેક નાગરિકોના જીવ બચાવી શકાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.