Abtak Media Google News

જામનગર શહેરની ભાગોળે નાગેશ્વર કોલોનીથી નાગના ગામના જોડતા માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર ગારા-કિચડના સામ્રાજયના કારણે સ્થાનિક રહીશો અને નાના વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. કથિત ખોદકામના કારણે આવી સ્થિતિ સર્જાય હોવાનુ જાણવા મળ્યુ છે.

જામનગરની ભાગોળે નાગેશ્વર કોલોનીથી નાગના ગામને જોડતા મોટી સંખ્યામાં રોજીંદી અવર જવર ધરાવતા રસ્તા પર ઠેર ઠેર વ્યાપક ગારા કિચડનુ સામ્રાજય જોવા મળી રહયુ છે.જેના કારણે પગપાળા જવુ રાહદારીઓ માટે દુષ્કર બન્યુ હોવાની બુમરાવ ઉઠી છે.

જયારે માર્ગ પર રબડી રાજના કારણે નાના વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ રહયા છે.આ માર્ગ પર આજુબાજુના ગામલોકો ઉપરાંત સીમ પંથકમાં વાડી ખેતરોમાં જતા લોકોની દરરોજ બહોળી અવર જવર રહે છે.ત્યારે માર્ગ પર અનેક સ્થળે આવા ગારા કિચડના સામ્રાજયથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

રબડીરાજને કારણે વાહનો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે લોકો પર અકસ્માતનો ખતરો ઝળુંબી રહ્યો છે. આટલું જ નહીં રાહદારીઓને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો નિહાળતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.