Abtak Media Google News

અબતક, દર્શન જોશી
જુનાગઢ

જૂનાગઢના મંગલધામ બે વિસ્તારમાં રહેતા વકીલ નિલેશભાઈ દાફડા (ઉં.વ. ૩૦) નો રવિવાર રાત્રિના સમયમાં તેમના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના હત્યાનું હોવાનું અનુમાન થઈ રહ્યું હતું, અને ઝીણવટ ભરી તપાસમાં વકીલની હત્યા કોઈ નજીકની વ્યક્તિ કે ઘરનો જ કોઈ ઘાતકી હોય તેવું જણાતા પોલીસે તે દિશામાં તપાસ આદરી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાાસમ શેટી એ આપેલી વિગતો અનુસાર આ ઘટનાના પગલે તેમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. ભાટી, પી.એસ.આઈ. બડવા, એસ.ઓ.જી. પી.એસ.આઈ. વાળા, સી ડિવિઝન પીીએસ.આઈ. ગઢવી તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, હત્યાનો ભેદ ઉકેલવા કાર્યરત બનેલ હતી.

વકીલની પત્ની, વકીલના નજીકના મિત્રો તથા પરિવારજનોની ઝીણવટ ભરી તપાસ અને પૂછપરછ હાથ ધરાય હતી, અને આ બાબતે વકીલની પત્ની અને અન્ય બે શખ્સોને ગઈકાલે જ રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. ત્યારે વકીલની પત્ની કાજલબેન શંકાના દાયરામાં આવી હતી. અને પોલીસે કાજલબેનની અટકાયત કરેલ હતી.

જો કે, પોલીસ પૂછપરછમાં કાજલબેન પ્રથમ તો તેના પતિએ આત્મહત્યા કરી હોવાનું જણાવી રહી હતી. પરંતુ બાદમાં પોલીસની યુક્તિ, પ્રયુક્તિથી સઘન અને આકરી પૂછપરછ કરતાં કાજલ ભાંગી પડી હતી અને તેણીનો પતિ દારૂ પીવાની ટેવ વાળો હોય તથા રોજ માથાકૂટ કરી, ઝગડા કરવાની સાથે મારકૂટ પણ કરતો હોય જેથી, તેનો પતિ દારૂના નશામાં રાત્રીના સૂતો હતો ત્યારે ધારદાર છરા વડે પતિના ગળા પર ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. અને ધોરણસરની કાર્યવાહી કરી, આજે કોર્ટમાં રીમાઈન્ડનીની માંગણી સાથે રજૂ કરવામાં આવશે.

આ બનાવ અંગે પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર દારૂની પિવાની ટેવવાળા પતિથી કંટાળી આરોપી પત્ની કાજલબેન અગાઉ પાંચ તારીખના સાંજના સમયે તેમનો પતિ ઘરે હતો ત્યારે લીલું ઘાસ બાળવા માટેની ઝેરી દવા કોફીની અંદર નાખી મારી નાખવાનો પ્રયાસ કરેલ હતો, પરંતુ આ દવાની મરણ જનાર નિલેશભાઈ  ઉપર કોઇ અસર ન થતાં તેણીએ તા. ૬/૯/૨૧ ના રાત્રિના બે થી અઢી વાગ્યાની વચ્ચે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જયારે પત્નીએ મર્ડરના આગલે દિવસે પણ કોફીમાં ઝેર નાખી વકીલને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની પણ પત્નીએ કબુલાત આપી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.