Abtak Media Google News

વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની રહેશે ખાસ ઉપસ્થિતિ

રાજકોટ શહેરમાં એક અલગ માહોલ બને , મનોરંજનની સાથોસાથ લોકોને મનોમંથન પણ કરવા મળે અને ફેમીલી સાથે મળીને માણી શકે તેવા કાર્યક્રમો આપવા માટે શરૂ કરવામાં આવેલી નવધા કલ્ચરલ ક્લબની ક્લબ લોન્ચિંગ ઈવેન્ટ આગામી શનિવાર તા . 8 ઓક્ટોબર  ના રોજ આયોજિત કરવામાં આવી છે.આ લોન્ચિંગ ઈવેન્ટમાં પ્રસિદ્ધ લેખક, વક્તા અને નવધા કલ્ચરલ ક્લબ સાથે માર્ગદર્શક તરીકે જોડાયેલા  જય વસાવડા દ્વારા એક અલગ જ વિષય પર નવા કાર્યક્રમની પ્રસ્તુતિ થવાની છે . આ કાર્યક્રમમાં જય વસાવડા સાથે ઉમદા તત્ત્વચિંતક   સુભાષ ભટ્ટ તથા વક્તા – અભિનેત્રી  તુષારિકા રાજગુરૂ ‘આર્ટ એન્ડ હાર્ટ’  વિષય પર ચર્ચા કરશે. આપણા જીવનમાં કલાનું એક અનેરું સ્થાન છે . કલા કોઈપણ સ્વરૂપે માનવ જીવન સાથે સંકળાયેલી રહે છે . માનવ જીવનને રસપૂર્ણ અને અર્થપૂર્ણ બનાવવામાં કલાનો સિંહફાળો છે .

ઉપરોક્ત ત્રણેય વક્તાઓ જીવન અને કલા એકબીજા સાથે કેવી રીતે વણાયેલા છે અને કલાના વિવિધ સ્વરૂપો માનવ જીવનને ધબકતું રાખવામાં કેવા મદદરૂપ બની શકે છે તે વિશે રજૂઆત કરશે . જીવનને સાંકળતા વિવિધ વિષયો પર અદ્ભૂત અને સરળ શૈલીમાં પોતાના વિચારો રજૂ કરતા   સુભાષ ભટ્ટ તથા ટૂંકાગાળામાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર વક્તા અને અભિનેત્રી   તુષારિકા રાજગુરુ સાથે મળી ગુજરાતનું ગૌરવ એવા  જય વસાવડા જીવનમાં કલા અને કલામાં જીવન એ વિચાર મંત્રને આ કાર્યક્રમમાં એક અલગ જ અંદાજમાં રજૂ કરશે . વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. 108 વ્રજરાજકુમારજીની  પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમ જીવન અને કલાના સંયોજન થકી કેવું રંગબેરંગી મેઘધનુષ્ય બની શકે જે માનવ જીવનને નયનરમ્ય બનાવી શકે એ વિચારબીજ રોપવામાં મદદરૂપ બની રહેશે.  કાર્યક્રમ માણવા ઈચ્છતા શહેરીજનોએ નવધા કલ્ચરલ ક્લબ ( 9081244441, 90812 44442 ) પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.