Abtak Media Google News

 Pm Narendra Modi 1ભલે પધાર્યા મોદી જી… રંગીલા રાજકોટમાં આપનું સ્વાગત…

વડાપ્રધાન મોદીએ રૂ. 1405 કરોડના ખર્ચે તૈયાર થયેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી તેનું લોકાર્પણ કર્યું : રેસકોર્ષ ખાતે જાહેર સભા સંબોધી કેકેવી ફ્લાય ઓવર બ્રીજ, સૌની યોજના સહિતના કામોના લોકાર્પણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે પધાર્યા છે. જેને પગલે રંગીલું રાજકોટ આજે મોદીમય બન્યું છે. સૌરાષ્ટ્રને વિકાસની ઉડાન ભરાવવા આજે વડાપ્રધાન મોદીનું રાજકોટમાં લેન્ડિંગ થયું છે. સરકાર અત્યારે મોદી મંત્ર-1ના સૂત્ર હેઠળ અર્થતંત્રને મજબૂતાઈ આપવાનું કામ કરી રહી છે. ત્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આ મંત્રમાં સાક્ષી બનવાનું છે

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં રૂપિયા ૨૦૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-૩ના પેકેજ ૮ તથા ૯, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 3 વાગ્યાના અરસામાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. અહીં તેઓએ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કર્યું છે. આ સાથે વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધાર્યા હતા. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

Plane 2

રેસકોર્સ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કર્યું હતું.

આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધિત પણ કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જનતાને સંબોધિત કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રી ડૉ. વી.કે.સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરિયા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વે રમેશભાઈ ધડૂક, મોહનભાઈ કુંડારિયા,  રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્યો સર્વે ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા,  શામજીભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હીરાસર એરપોર્ટથી એર કાર્ગો અને મેડિકલ ટુરીઝમને મળશે વ્યાપ

રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થયું છે.  સમગ્ર એરપોર્ટ સંકુલ ૨૫૩૪ એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે ૧૪ વિમાનની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. એરપોર્ટમાં ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું છે. આ એરપોર્ટથી એરકાર્ગો અને મેડિકલ ટુરિઝમનો વ્યાપ વધવાનો છે. ઉપરાંત ઉદ્યોગોની નિકાસ પણ સરળ બની શકશે.

સૌરાષ્ટ્રના ૫૨,૩૦૦ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે

સૌની’ યોજના લિન્ક-૩ના પેકેજ-૮ તથા પેકેજ-૯નું કાર્ય રૂપિયા ૩૯૩.૬૭ કરોડના ખર્ચે સંપન્ન થયું છે. આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના ૫૨,૩૦૦ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે.  ઉપરાંત રાજકોટ જિલ્લાના ૯૫ ગામના ૯૮ હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. ‘સૌની’ યોજના લિન્ક-૩ના પેકેજ-૮ની કામગીરી રૂપિયા ર૬૪.૯૬ કરોડના ખર્ચે સંપન્ન.  પેકેજ-૮ દ્વારા ૪૨,૩૮૦ એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે ૧૦,૫૬૮ ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત ૫૭ ગામોના ૭૫ હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.  ‘સૌની’ યોજનાની લિન્ક-૩ના પેકેજ-૯ની કામગીરી રૂ.૧૨૮.૭૧ કરોડના ખર્ચે સંપન્ન.આ પેકેજ-૯ કાર્યાન્વિત થતાં ૩૮ ગામોના ૨૩ હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા ૧૦,૦૧૮ એકર જમીનને સિંચાઈની સુવિધાઓ  મળતાં ધરતી હરિયાળી બનશે.

મહાપાલિકાના રૂ.૨૩૪.૦૮ કરોડના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ મહાપાલિકાના રૂ. 234.08 કરોડના પાંચ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કે.કે.વી.ચોક મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજ – રૂ.૧૨૯.૫૩ કરોડનું લોકાર્પણ કરાયું છે. આ સાથેઆ ઉપરાંત  ન્યારી-૧ ડેમથી રૈયાધારમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટ સુધી રો વોટર પહોંચાડવા માટે, રૂ.૪૧.૭૧ કરોડના ખર્ચે, ૧૨૧૯ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઈન નંખાઈ, રાજકોટના વેસ્ટ ઝોનના વોર્ડ નંબર-૧માં, અમૃત-૧ યોજના અંતર્ગત, રૈયાધાર ખાતે રૂ. ૨૯.૭૩ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ નંબર-૧૮માં, અમૃત-૧ યોજના અંતર્ગત, કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાનો રૂ.૨૪.૭૨ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,વોર્ડ નંબર-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.