પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજો દિવસ
પર્વાધિરાજ પર્યુષણ પર્વનો બીજો દિવસ સમજાવે છે કે સમય અને સરિતા કોઇની પ્રતિક્ષા કરતાં નથી. જીવનમાં પર્યુષણ પર્વ આવ્યા અને ચાલ્યા ગયા પુણ્યના યોગે પર્વ મળ્યા પણ ફળ્યા ખરાં ?
પર્વમાં દિવસોમાં સાધનાના ત્રણ સૂત્રને આત્મસાત કરવા પુરૂષાર્થ જગાડવો જરુરી છે તેમ પૂ. ધીરજમૂનિ મ.સા.એ જણાવયું હતું.
પૂ. ધિરજમુનિ મ.સા.એ વધુમાં જણાવ્યું કે પ્રથમ સૂત્ર છે ‘નો ઓવર સ્પીક’સ્વયંની શાંતિ માટે વધુ પડતું બોલવું નહીં. આજના કાળમાં ઝઘડા ચીજના નહિ જીદના હોય છે. દ્રોપદીના છ અક્ષરમાં સિકસર લાગી ગઇ અંધે જાયા અંધા, મહાભારતનું ૧૮ દિવસ યુઘ્ધ સર્જાર્યુ. માટે બોલવામાં બુઘ્ધ બનવું જરુરી છે.
બીજું સૂત્ર છે ‘નો ઓવર ઇટ’જૈન ધર્મ ત્યાગપ્રદાન ધર્મ છે. અનુભવીઓ કહે છે કે લોકોની બીમારીનું કારણ તપ નથી. અતિ આહાર છે ઠાંસી ઠાંસીને પેટ ભરનારા રોગોથી ધેરાય છે. ભૂખ કરતાં જરાક ઓછું ખાનારા સુખનો અનુભવ કરી શકે છે. કમ સે કમ રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા અનેક રોગોથી બચી શકે છે. જૈન સંતો જીવનભર રાત્રિભોજનનો ત્યાગ કરનારા હોય છે.
તો તેના ઉ૫ાસકો શું આઠ દિવસ ન છોડી શકે ! જરૂર છે માત્ર સંકલ્પની જમવા માટે નહિ માત્ર જીવવા માટે જમતા શીખવું જરૂરી છે.
ત્રીજું સૂત્ર છે ‘નો ઓવર વાઇઝ’ હંમેશા બીજાને વધુ પડતી સલાહ આપવી નહી ઘણીવાર આપણે આપણા જ ગાણા ગાતા રહીએ છીએ. સામે વાળાની ક્ષમતાનો વિચાર કરતા નથી દોઢ ડાહ્યા થવામાં ઘણીવાર જોખમ વધી જાય છે માટે સમજીને બોલવામાં મજા છે.
છેલ્લે…. છેલ્લે…. જીવનને મધુર બનાવવા અને પ્રસન્નતાને ટકાવવા નાની નાની વાતોમાં લેટ ગો કરતાં શીખવું તેમજ જયાં ઇગોહઠ થાય ત્યાં લેટ ગોડ કરતાં શીખવું મન ન માને તો પણ હરિ જે કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહી આમ ભગવાન પર ભરોસો વિશ્વાસ રાખીને અહમને નમાવનાર અહમ (ભગવાન) બન્યા વિના રહેશે નહી સમય માનવીને મોટા બનાવે છે. સમજ માનવીને મહાન બનાવે છે.