Abtak Media Google News

ગુજરાતની આઈ ક્રિયેટને રાજ્ય-કેન્દ્રના સહયોગી વર્લ્ડ કલાસ ઈન્સ્ટિટયુટ બનાવાશે

ગુજરાતમાં પોરબંદર નજીક માધવપૂર ઘેડ ખાતે યોજાતા મેળાનો આંતરરાષ્ટ્રિય  રાષ્ટ્રિય સ્તરે પ્રચાર  પ્રસાર કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી પાંચ દિવસ માટે યોજાતા આ મેળાને વ્યાપક રૂપ આપવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટેના ભારત સરકારના મંત્રાલયના રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એવું પણ નિયત કરવામાં આવ્યું કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થાનોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે.

Advertisement

આના પરિણામે, બેઉ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થવાથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થઇ શકશે. મુખ્યમંત્રીએ કૃષ્ણ-રૂકમણિજીના કથાનક તેમજ પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવા પેઢી માહિતગાર થાય, તેને માણે અને સમજે તેવા ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ ઘડવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશો આપેલા છે.

આ મેળાના વ્યાપકસ્તરે પ્રચાર-પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઊદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત-ઉત્તરપૂર્વીય રાજ્યની કલા-સંસ્કૃતિનો વૈભવ વારસો માણવા-નિહાળવાની તક મળશે એમ પણ આ બેઠકની ચર્ચા-વિમર્શમાં જણાવાયું હતું. મુખ્ય સચિવ અનિલ મૂકીમ, ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ભારત સરકારના તેમજ ગુજરાતના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

7537D2F3 22

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડો. જિતેન્દ્રસિંઘે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી.  ડો. જિતેન્દ્રસિંઘના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ ગુજરાતના આઇ-ક્રિયેટની ગતિવિધિઓ અને પ્રગતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે.

આ મુલાકાત દરમિયાન તેમણે આઇ-ક્રીયેટની પ્રવૃત્તિઓ નિહાળીને સવલતોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. એટલું જ નહિ, સેન્ટરના ઇન્કયુબેટીઝ સાથે પણ સંવાદ કરી માહિતી મેળવી હતી.  આ સેન્ટરમાં સફળતાપૂર્વક હાથ ધરાયેલા પ્રોજેકટસ નિહાળીને કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રભાવિત થયા હતા અને સંતોષ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ આઇ-ક્રિયેટને વર્લ્ડ કલાસ ઇન્સ્ટીટયૂટ બનાવવા માટેના જુદા જુદા પાસાંઓ, બાબતો અંગે ગહન પરામર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતમાં આ આઇ-ક્રિયેટ એકમાત્ર સંસ્થા છે અને તેને આવનારા સમયમાં વિશ્વકક્ષાનું સંસ્થાન બનાવવા કેન્દ્ર-રાજ્ય સરકાર સાથે મળીને આગળ વધે તે આવકાર્ય છે. મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનની નયા ભારતના નિર્માણની સંકલ્પના સાકાર કરવા આ સંસ્થાનને શ્રેષ્ઠ સંસ્થાન બનાવવામાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

આ મુલાકાત બેઠક વેળાએ મુખ્ય સચિવ અનિલ મૂકિમ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, વહિવટી સુધારણા પ્રભાગ સચિવ રાકેશ શંકર, ભારત સરકારના વરિષ્ઠ અધિકારી રાજેન્દ્રકુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.