Abtak Media Google News

મોટાભાગના જિલ્લામાં સવારથી વરાપ: ખેતરો પાણી-પાણી: છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 194 તાલુકામાં વરસાદ, સવારથી 4ર તાલુકામાં હળવા ઝાપટા

સૌરાષ્ટ્ર-કચ્છને બે દિવસ ધમરોવ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આજે સવારથી મોટાભાગના વિસ્તારોમાં મેધ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૂર્યનારાયણે દર્શન દીધા છે. જો કે હજી ખેતરોમાં પાણી ભરેલા હોવાના કારણે ખેડૂતો ખેતરોમાં જઇ શકતા નથી. અનેક વિસ્તારોમાં વાવણી નિષ્ફળ ગઇ છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 194 તાલુકામાં વરસાદ પડયો હતો.  સવારથી 4ર તાલુકામાં હળવા ઝાપટડા પડયા હતા.

શનિવાર બપોરથી રવિવાર બપોર સુધી મેધરાજાએ સૌરાષ્ટ્રને રિતસર ધમરોળી નાખ્યું હતું. જુનાગઢ અને રાજકોટ જીલ્લામાં જાણે જળ હોનારત જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. મોટાભાગના જળાશયોન મેઘરાજાએ ઓવર ફલો કરી દીધા છે. દરમિયાન ગઇકાલ બપોરથી મેધરાજાનું જોર ઘટયું હતું. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરાપ નિળક્યો હતો. સુર્યનારાયણો દર્શન દીધા હતા. હજી ખેતરોમાં પાણી ભરેલા છે. ખેડૂતો ખેતરોમાં જવું મુશ્કેલ બની ગયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે. હજી બે દિવસ રાજયમાં અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં શુક્રવારથી મેઘરાજા  અનરાધાર વરસી રહ્યા છે. શુક્રવારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો દરમિયાન શનિવારે મેઘરાજાએ જુનાગઢ જિલ્લાને ધર્મરોળી નાખ્યું હતું. દરમિયાન ગઇકાલે રવિવારે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ સપાટો બોલાવી દીધો હતો. જો કે રવિવારે બપોરે મેઘરાજાએ અચાનક વિરામ લઇ લેતા લોકોની સાથે વહિવટી તંત્રએ  પણ હાશકારો અનુભવ્યો હતો. શનિવારે જુનાગઢમાં માત્ર ત્રણ કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. બીજી તરફ ગીરના જંગલ વિસ્તારમાં તમામ નાના-મોટા જળાશયો છલકાય ગયા હોવાના કારણે વરસાદનું પાણી જુનાગઢ શહેરમાં ધુસી ગયું હતું. જુનાગઢવાસીઓના જીવ રિતસર તાળવે ચોંટી ગયા હતા. જો કે મેઘરાજાએ સમય રહેતા વિરામ લઇ લેતા જુનાગઢના લોકોના જીવમાં જીવ આવ્યો હતો. જો એક કલાક વધુ વરસાદ પડયો હોત તો જુનાગઢમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું હોત.

દરમિયાન ગઇકાલે સવારથી રાજકોટ જીલ્લામાં મેઘરાજાનું રોફ સ્વરુપ જોવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 1ર ઇંચ જેટલો વરસાદ વરસદી જવાના કારણે એનડીઆરેએફની ટીમોનો સહારો લેવો પડયો હતો. જિલ્લાના મોટાભાગના ડેમ ઓવર ફલો થઇ ગયા હતા. જો કે બપોરે મેઘરાજાએ વિરામ લેતા સ્થિતિ વધુ વણસતા અટકી હતી. આજે સવારે પુરા  થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 197 તાલુકામાં વરસાદ પડયો હતો. ભાવનગરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત કોટડા સાંગાણીમાં ચાર ઇંચ, લાલપુર, બાબરા, લોધિકા, ખંભાળીયામાં સાડા ત્રણ ઇંચ, ગાંધીધામ, સુરત, કલ્યાણપુર, શિહોરમાં ત્રણ ઇંચ, વેરાવળ, ગઢડા, અંજારમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. રાજયમાં આજ સુધીમાં ચોમાસાની સીઝનમાં 70 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેધરાજાએ વિરામ લેતા લોકોની સાથે વહિવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. ચોમાસાની સીઝનને હજી એક માસ પણ થયો નથી ત્યાં 70 ટકાથી વધુ વરસાદ  વરસી ગયો છે જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.

જો હવે મેધરાજા એકાદ પખવાડીયું જો વિરામ લેશે તો પાક પ0 થી 60 ટકા બચી જશે અન્યથા વાવણી નિષ્ફળ જશે. વરસાદના કારણે છેલ્લા એક મહિનામાં 130 વ્યકિતના કરુણ મોત નિપજયા છે. રોડ-રસ્તાનું પણ ભારે ઘોવાણ થઇ ગયું છે. અબોલ જીવોના પણ મોત નિપજયા છે.

બે નેશનલ હાઇવે સહિત 302 રોડ બંધ થયા હતા, હાલ મોટાભાગના રોડ ચાલુ કરી દેવાયા

રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રાજ્ય સરકારે ભારે  વરસાદને કારણે સર્જાયેલ  વિનાશને કારણે પોરબંદર અને કચ્છમાંથી પસાર થતા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 10 રાજ્ય ધોરીમાર્ગો બંધ કરી દીધા હતા. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જો કે હાલ મોટાભાગના રસ્તાઓ ચાલુ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.