Abtak Media Google News

ગંભીરતાથી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ લેવા મેડિકલ ઓફિસરોને કડક તાકીદ

શહેરમાં હાલ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પ્રસરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાપૂર્વક પુરા પ્રયાસો થાય તે સુનિશ્ચિત કરવાના આશય સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે આજે આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને તમામ આરોગ્ય કેન્દ્રોનાં મેડિકલ ઓફિસરોની એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં કમિશનરે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પ્રસરે નહીં તે બાબત પર વિશેષ ભાર મૂકી ગંભીરતાથી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ લેવા તમામ સંબંધિત અધિકારીઓ અને મેડિકલ ઓફિસરોને ખાસ સૂચના આપી હતી.

Advertisement

કમિશનરે એમ કહ્યું હતું કે, ચોમાસામાં પાણીજન્ય રોગ થવાની સંભાવના વધુ રહેતી હોય છે ત્યારે ફિલ્ડ વર્ક અને આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારવા પર વધુ ધ્યાન આપવું જરૂરી બને છે. ગત વરસોના અનુભવના આધાર પર મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો નોધાયા હોય તેવા વિસ્તારો આઇડેન્ટિફાય કરી તેના પર વધુ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ લેવા પણ પણ જરૂરી બની જાય છે. જે તે આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારોમાં થતી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ પર મેડિકલ ઓફિસરે સતત મોનીટરિંગ કરવાનું રહેશે અને આ કવાયત પરિણામલક્ષી બની રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

વર્તમાન સમય સંજોગોને નજર સમક્ષ રાખી તમામ આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યકતા મુજબની દવાઓનો પર્યાપ્ત માત્રામાં જથ્થો જળવાઈ રહે અને જરૂરિયાત જણાય તેવા સંજોગોમાં સરકાર પાસે દવાઓના સ્ટોક માટે સમયસર ડીમાંડ પણ મૂકી દેવા મ્યુનિ. કમિશનરે આરોગ્ય શાખાને સૂચના આપી હતી.

વિશેષમાં, ક્વોલીટી ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રોના સર્ટિફિકેશન માટે પ્રક્રિયા હાથ ધરવા, બાળકોના રસીકરણ, પ્રસુતિ સમયે માતા અને બાળકના મૃત્યુ અટકાવવા સંબંધી કામગીરી ખુબ જ ગંભીરતાથી હાથ ધરવા કમિશનરે સૂચના આપી હતી.

આ મીટીંગમાં નાયબ કમિશનર અનિલ ધામેલિયા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડો.લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારીઓ ડો. ભૂમિ કામાણી અને ડો.મિલન પંડ્યા તેમજ ડો.જયદીપ જોશી, મેલેરિયા શાખાના વૈશાલી રાઠોડ, મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.