- ભાજપનો કાર્યકર્તા છું, પહેલો સગો પાડોશી એટલે પાડોશી ધર્મ હમેંશા નિભાવીશ: રૂપાલાનું અભય વચન
- શહેર તથા જિલ્લા ભાજપ આયોજીત તમામ સંગઠાત્મક કાર્યક્રમમાં એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાઇશ: રૂપાલા
- 10-લોકસભાના ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયું શાનદાર સ્વાગત
ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે ગત શનિવારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા બેઠક માટે વર્તમાન કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવાર ઘોષિત થયા બાદ આજે તેઓ પ્રથમ વખત રાજકોટની ધરતી પર પધારતા તેઓનું ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જનાર્દન દ્વારા અદકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું. પારેવડી ચોકથી 150 ફૂટ રીંગ રોડ સ્થિત લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રણછોડદાસ બાપુ આશ્રમે તેઓએ શીશ ઝુકાવ્યું હતું. ભારત માતા કી જય, વંદે માતરમ્ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આતશબાજી અને ડી.જે.ના સંગાથે કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
![રાજકોટ બેઠક પર કોઇ જ પડકાર નથી, જનતા-કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: પરષોત્તમ રૂપાલા 1 No Challenge On Rajkot Seat, Unprecedented Enthusiasm Among Public-Activists: Parshottam Rupala](https://media.abtakmedia.com/2024/03/Screenshot_6.jpg)
પત્રકારો સાથેની વાતચિત દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે ભાજપના અડીખમ ગઢ સમી રાજકોટ બેઠક પરથી મને ટિકિટ આપવા બદલ હું ભાજપના શિર્ષ નેતૃત્વનો આભાર માનું છું. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા જે કોઇ કાર્યક્રમ આપવામાં આવશે. તેમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાઇશ. મારૂં મૂળ વતન અમરેલી જિલ્લો છે. પહેલો સગો પાડોશી તે કહેવતને હું સાર્થક કરતા હું પાડોશી ધર્મ નિભાવીશ. આજે રાજકોટનું ઔપચારિક મુલાકાતે આવ્યો છું.
![રાજકોટ બેઠક પર કોઇ જ પડકાર નથી, જનતા-કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: પરષોત્તમ રૂપાલા 2 No Challenge On Rajkot Seat, Unprecedented Enthusiasm Among Public-Activists: Parshottam Rupala](https://media.abtakmedia.com/2024/03/Screenshot_3.jpg)
ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કર્યા અને ત્યાંથી રૂટમાં સળંગ કાર્યકર્તાઓને મળતો આવ્યો છું. રાજકોટના કાર્યકર્તાઓએ મને ઉત્સાહભેર આવકાર્યો છે. હું જિલ્લા અને શહેર ભાજપના કાર્યકરો અને રાજકોટવાસીઓનો આભાર માનું છું અને તેઓને વંદન કરૂં છું. વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મને રાજકોટના સિમાડેથી ચૂંટણી કાર્યાલય સુધી દોરી લાવ્યા છે. જે મારા માટે ખુશીની વાત છે. એક રાજકીય આગેવાન તરીકે હું રાજકોટની ધરતી પર અનેક વખત ચૂંટણીલક્ષી કે સામાજીક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવ્યો છું. એક જ દિવસની ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તેઓએ રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને તેઓને વંદન કર્યા હતા.
![રાજકોટ બેઠક પર કોઇ જ પડકાર નથી, જનતા-કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: પરષોત્તમ રૂપાલા 3 No Challenge On Rajkot Seat, Unprecedented Enthusiasm Among Public-Activists: Parshottam Rupala](https://media.abtakmedia.com/2024/03/Screenshot_2.jpg)
પારેવડી ચોકથી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સુધી વિશાળ રેલી: ભારત માતા કી જય, વંદે માતરમ્ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકીય કારકિર્દી રાજકોટથી શરૂ થઇ હતી આ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવી મારા માટે સદ્ભાગ્યની વાત
રાજકોટના મતદારો નરેન્દ્રભાઇના વિકાસ યજ્ઞમાં મતરૂપી આહુતિ આપશે તેવો મને અડિખમ વિશ્વાસ: કેન્દ્રીય મંત્રી
![રાજકોટ બેઠક પર કોઇ જ પડકાર નથી, જનતા-કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: પરષોત્તમ રૂપાલા 4 No Challenge On Rajkot Seat, Unprecedented Enthusiasm Among Public-Activists: Parshottam Rupala](https://media.abtakmedia.com/2024/03/Screenshot_5.jpg)
તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત ગુજરાતની લોકસભાની એકપણ બેઠક પર ભાજપ માટે કોઇ પડકાર નથી. પડકાર તો વિપક્ષ માટે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યાંથી ચૂંટણી લડી પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો તેવા રાજકોટ શહેરમાંથી ચૂંટણી લડવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. જે મારા માટે સૌથી મોટી વાત છે. રાજકોટની જનતા વડાપ્રધાન નરેન્દ્રભાઇના વિકસિત ભારતના યજ્ઞમાં આહુતિ આપશે. તેઓ વિશ્ર્વાસ પરષોત્તમભાઇએ વ્યક્ત કર્યો હતો.
![રાજકોટ બેઠક પર કોઇ જ પડકાર નથી, જનતા-કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: પરષોત્તમ રૂપાલા 5 No Challenge On Rajkot Seat, Unprecedented Enthusiasm Among Public-Activists: Parshottam Rupala](https://media.abtakmedia.com/2024/03/Screenshot_1-2.jpg)
રાજકોટ-લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પરષોત્તમભાઈ રૂપાલા સૌ પ્રથમવાર રાજકોટ પધારી રહ્યા છે અને તેમની શરૂઆત રણછોડદાસજી આશ્રમે રણછોડદાસજીના આર્શીવાદ લઈને રાજકોટના પારેવડી ચોક આવ્યા ત્યારે શહેર ભાજપ દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ દરમિયાન શહેર ભાજપ દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરતી વેળાએ આતશબાજી અને ડી.જે.ના સંગાથે ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયના તાલ સાથે મહિલા મોરચા દ્વારા રાસની રમઝટ બોલાવી ડી.જે. ઢોલ નગારાના નાદ વગાડી, શરણાઈના સુર સાથે સ્વાગત કરાયું.
![રાજકોટ બેઠક પર કોઇ જ પડકાર નથી, જનતા-કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: પરષોત્તમ રૂપાલા 6 No Challenge On Rajkot Seat, Unprecedented Enthusiasm Among Public-Activists: Parshottam Rupala](https://media.abtakmedia.com/2024/03/Screenshot_4.jpg)
આ તકે મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મુકેશભાઈ દોશી, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, બીનાબેન આચાર્ય, અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, નયનાબેન પેઢડીયા, દુલર્ભજીભાઈ દેથરીયા, સુરેશભાઈ ગોધાણી સહિતનાએ પરષોત્તમભાઈ રૂપાલાજીને પુષ્પગુચ્છ આપી ફુલહાર કરવામાં આવેલ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પરષોત્તમભાઈ રૂપાલાએ કહ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા છું, પરંતુ પહેલો સગો પાડોશી એટલે પાડોશીધર્મ પહેલા બજાવીશ તેવો સુર બજાવ્યો હતો.
આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જાહેર આભાર વ્યકત કર્યો હતો.
સાંજે રામનાથ મહાદેવ મંદિરે શીશ ઝૂકાવશે: સંતો-મહંતોના આશિર્વાદ લેશે
પરષોત્તમભાઈ રૂપાલાએ લોકસભાના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને મળ્યા હતા અને આજ રોજ સાંજે રામનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવશે અને ત્યારબાદ વિવિધ મંદિરોના સંતો-મહંતોને મળી આર્શીવાદ ગ્રહણ કરશે અને રાત્રે પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ જુના આગેવાનો સાથે મેયર બંગલા ખાતે બેઠક યોજવામાં આવશે.