Abtak Media Google News

વૈવાહિક બળાત્કાર મુકિત દૂર કરવાના મુદ્દા પર ‘ગંભીરતાથી વિચારણા’ કરવાની જરૂર: દિલ્લી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે સોમવારે કહ્યું કે જયારે મહિલાઓના જાતીય સ્વાયત્તતાના અધિકાર સાથે ચેડા કરી શકાય નહીં અને બળાત્કારના કોઈપણ કૃત્યને સજા થવી જોઈએ. તે જ સમયે, વૈવાહિક અને બિન-વૈવાહિક સંબંધો વચ્ચે ‘ગુણાત્મક તફાવત’ છે, કારણ કે વૈવાહિક સંબંધ જીવનસાથી પાસેથી યોગ્ય શારીરિક સંબંધની અપેક્ષા રાખવાનો કાનૂની અધિકાર સૂચવે છે અને ફોજદારી કાયદામાં વૈવાહિક બળાત્કારના ગુનામાંથી મુકિત આપવામાં આવે છે. જસ્ટિસ સી. હરિશંકરે વૈવાહિક બળાત્કારને અપરાધ બનાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે, મૌખિક રીતે અવલોકન કર્યું કે બિન-વૈવાહિક સંબંધો અને વૈવાહિક સંબંધો ‘સમાંતર’ હોઈ શકતા નથી. જસ્ટિસ હરિશંકર જસ્ટિસ રાજીવ શકધરની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચનો ભાગ હતા.

જસ્ટિસ હરિશંકરે કહ્યું, ‘છોકરો અને છોકરી ગમે તેટલા નજીક હોય, કોઈને પણ શારીરિક સંબંધની અપેક્ષા રાખવાનો અધિકાર નથી. દરેક વ્યકિતને એ કહેવાનો પૂરો અધિકાર છે કે હું તમારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધુ. લગ્નમાં ગુણાત્મક તફાવત છે.’

જસ્ટિસ શંકરે એ વાત પર પણ ભાર મૂકયો હતો કે બળાત્કારનો ગુનો સજાપાત્ર છે અને તેમાં ૧૦ વર્ષની સજા છે. વૈવાહિક બળાત્કાર મુકિત દૂર કરવાના મુદ્દા પર ગંભીરતાથી વિચારણા’ કરવાની જરૂર છે.

સ્ત્રીના જાતીય અને શારીરિક અખંડિતતાના અધિકાર સાથે કોઈ સમાધાન નથી. પતિ તેની પત્ની પર દબાણ કરી શકે નહીં. (પરંતુ) કોર્ટ તેને (વૈવાહિક બળાત્કાર અપવાદ) નાબૂદ કરવાનું શું પરિણામ આવશે તે અવગણી શકે નહીં.

ન્યાયાધીશે ‘વૈવાહિક બળાત્કાર’ શબ્દના ઉપયોગ સામે પણ પોતાનો વાંધો વ્યકત કરતા કહ્યું કે બળાત્કારના દરેક કૃત્યને સજા મળવી જોઈએ, પરંતુ પતિ-પત્ની વચ્ચેના કોઈપણ પ્રકારના અનિચ્છનીય સેકસને ‘વૈવાહિક બળાત્કાર’ તરીકે ગણવામાં આવે તો તેને ‘પૂર્વ નિર્ણય’ કહી શકાય.

જસ્ટિસ હરિશંકરે કહ્યું, ‘ભારતમાં વૈવાહિક બળાત્કારની કોઈ (સંકલ્પના) નથી. જો તે બળાત્કાર હોય – પછી તે વૈવાહિક, બિન-લગ્ન કે કોઈપણ પ્રકારનો બળાત્કાર હોય, તો તેને સજા થવી જોઈએ. મારા મતે, આ શબ્દનો વારંવાર ઉપયોગ વાસ્તવિક મુદ્દાને જટિલ બનાવે છે.

બેંચ એનજીઓ – આરઆઈટી ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વુમન્સ એસોસિએશનની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ સંસ્થાઓ વતી એડવોકેટ કરુણા નંદી હાજર રહ્યા હતા.

એનજીઓ એ આઈપીસીની કલમ ૩૭૫ ની બંધારણીયતાને આ આધાર પર પડકારી છે કે તે તેમના પતિ દ્વારા કરવામાં આવતી જાતીય સતામણીના સંદર્ભમાં પરિણીત મહિલાઓ સાથે ભેદભાવ કરે છે. આ મામલે સુનાવણી ૧૧ જાન્યુઆરીએ પણ ચાલુ રહેશે.

લગ્નનો વાયદો આપીને શરીર સંબંધ પણ ગેરકાયદે !!!

હાલના પ્રવર્તમાન સમયમાં લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્નની ના પાડી દેવામાં આવતી હોય છે તેવી અનેકવિધ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. આ પ્રકારના જ એક મામલામાં બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ છે કે, લગ્નની વાયદો આપીને શરીર સંબંધ બાંધવો અને ત્યારબાદ લગ્નની ના પાડી દેવી એ ગુન્હાહિત પ્રવૃત્તિ જ ગણવામાં આવશે.

કોઈ પણ ભોગે નારી ગૌરવત્વને હણી શકાતી નથી. કોર્ટે એક યુવક દ્વારા તેના વિરુદ્ધ નોંધાયેલી આ પ્રકારની ફરિયાદ રદ્દ કરવા અંગે કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે યુવકની અરજીને નકારી દીધી હતી અને સ્ત્રીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

સાસરિયા પક્ષ દ્વારા કરાતી કોઈ પણ આર્થિક માંગણી દહેજ જ ગણાય !!!

સુપ્રિમ કોર્ટે એક અરજીની સુનવણીમાં કહ્યું છે કે, સાસરિયા પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની કરાતી માંગણીને દહેજ જ ગણાય. મામલાની જો વાત કરવામાં આવે તો સુપ્રીમે કહ્યું છે કે, સાસરિયા પક્ષ દ્વારા ઘરના બાંધકામ માટે પૈસાની માંગણીને દહેજ ગણાવીને ગુનો ગણાવ્યો છે.  ચીફ જસ્ટિસ એન.વી. રમના, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે જણાવ્યું હતું કે, દહેજ શબ્દને વ્યાપક અર્થમાં વર્ણવવો જોઈએ, જેથી સ્ત્રી પાસે કોઈપણ માંગ, પછી તે મિલકતના સંબંધમાં હોય કે અન્ય કોઈ કિંમતી વસ્તુનો સમાવેશ થાય.

ટ્રાયલ કોર્ટે મૃતકના પતિ અને સસરાને આઈપીસીની કલમ ૩૦૪-બી (દહેજ માટે હત્યા), આત્મહત્યા માટે ઉશ્કેરવા અને દહેજ માટે ઉત્પીડન માટે દોષિત ઠેરવ્યા હતા.  એવું જાણવા મળ્યું હતું કે આરોપી ઘર બનાવવા માટે મૃતક મહિલા પાસેથી પૈસાની માંગ કરી રહ્યો હતો, જે તેના પરિવારના સભ્યો આપી શક્યા ન હતા. આ અંગે મહિલાને સતત હેરાન કરવામાં આવતી હતી જેના કારણે મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.