Abtak Media Google News
  • રાજ્યની 9831 સ્કૂલોમાં 43 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી સત્તાવાર રીતે પ્રારંભ થયા બાદ મંગળવારના રોજ પ્રવેશ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન રજાઓના કારણો વાલીઓને ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં વિલંબ થયો હોવાથી હવે આરટીઇના ફોર્મ ભરવાની મુદત 30 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ વર્ષે રાજ્યની 9831 સ્કૂલોમાં 43 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જોકે, અત્યાર સુધી આરટીઈમા 2.08 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. જોકે, હવે મુદતમાં વધારો કરવામાં આવ્યા બાદ આંકડો વધુ ઉપર જશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આરટીઇ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.

રાજ્યમાં 2024-25ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્વારા આરટીઇની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પણ રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય તે પહેલા જ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવાનું આયોજન અંતર્ગત પ્રવેશ માટે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 13 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 માર્ચથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.14 માર્ચથી શરૂ થયેલી ફોર્મ ભરવાની કાર્યવાહીમાં મંગળવારના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. મંગળવારના રોજ રાતે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જેથી છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે વેબસાઈટ પર ધસારો જોવા મળ્યો હતો. જોકે, આમ છતાં હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા ન હોવાનું જણાયું હતું.

ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન અનેક રજા આવવાના લીધે વાલીઓને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં વિલંબ થયો હતો. જેના પગલે તેઓ ફોર્મ ભરી શક્યા ન હોવાની રજૂઆતો શિક્ષણ વિભાગને મળી હતી. જેથી હવે આરટીઇના ફોર્મ ભરવાની મુદત 30 માર્ચના રોજ રાતના 12 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.આરટીઇની પ્રવેશ કાર્યવાહીમાં 43 હજાર જેટલી બેઠકો માટે અત્યાર સુધી 208158 ફોર્મ ભરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.