Abtak Media Google News

આરટીઇ હેઠળ શાળામાં બાળકોને પ્રવેશ સંપૂર્ણ પારદર્શી રીતે અપાયો: પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન  હેઠળ શાળામા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકો સાથે અન્યાય ન થાય તે માટે આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના 10 જિલ્લામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ હોય તેવા 621 બાળકોનો પ્રવેશ રદ કરાયો છે. તેમ રાજય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.

Advertisement

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, આરટીઇ એકટ હેઠળ પોતાના બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના કેટલાક વાલીઓ દ્વારા બાળકના નામ અને સરનામાં વગેરેમાં સામાન્ય ફેરફાર કરી ઓનલાઈન ફોર્મ ભરી ગેરરીતી આચરવામાં આવતી હોવાનું સરકારને ધ્યાને આવ્યું હતુ.

આવા પ્રવેશ ફાળવાયેલ બાળકોની એસ.એસ.એ. સંચાલિત ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિગતો મેળવી જિલ્લા કક્ષાએ પુન:ચકાસી તેમનો પ્રવેશ રદ કરવા રાજ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓને ધ્યાને લઇ ભરૂચ જિલ્લામાં 33, છોટા ઉદેપુરમાં 25, ગીર સોમનાથમાં 24, જામનગર શહેરમાં 159, ખેડામાં 92, રાજકોટમાં 161, સાબરકાંઠામાં 10, વલસાડમાં 14, સુરતમાં 33 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 70 મળી રાજ્યમાં કુલ 621 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

આ દરમિયાન ગત વર્ષે ધોરણ-1માં અભ્યાસ કર્યો હોવા છતા આ વર્ષે આરટીઇ હેઠળ વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવ્યાની બાબત જિલ્લા તથા રાજ્ય કક્ષાએ ધ્યાનમાં આવી હતી, જે આરટીઇની જોગવાઈઓની વિરુદ્ધ છે. વાલી દ્વારા આરટીઇ માટે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે અને પ્રવેશ ફાળવતા સમયે એડમિટ કાર્ડમાં વાલી પાસેથી બાહેંધરી લેવામાં આવે છે કે, મારૂ બાળક શૈક્ષણિક વર્ષ 2022-23માં ધો-1/ધો-2માં કોઇપણ શાળામાં અભ્યાસ કરતું નથી,  જેની હું મારી જાણ મુજબ ખાતરી આપું છું. જો માહિતી ખોટી ઠરશે તો આરટીઇ હેઠળનો પ્રવેશ રદ થવા પાત્ર રહેશે. આ બાહેંધરી અનુસાર ગેરરીતીથી પ્રવેશ મેળવેલ બાળકનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.