Abtak Media Google News

રાજકોટમાં ચોકે-ચોકે અને ગલ્લીએ-ગલ્લીએ ફટાકડાના સ્ટોલ ખડકાવા માંડ્યા છે. શહેરીજનો માટે આ સ્ટોલ જીવંતા બોમ્બથી રતિભાર પણ કમ નથી. કારણ કે હજ્જારોની સંખ્યામાં ફટાકડાના સ્ટોલ ધમધમતા હોય છે. જેની સામે આંગણીના વેઢે ગણી શકાય તેટલા લોકો જ લાયસન્સ મેળવતાં હોય છે. કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા સમક્ષ ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે મંજૂરી માંગતી માત્ર 116 જ અરજીઓ આવી છે. જે પૈકી ત્રણ અરજીઓને મંજૂરી મળી છે અને બાકીની તમામ અરજીઓ હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. દિવાળી દરમિયાન અલગ-અલગ પાંચ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશન બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાના મવા સર્કલ અને યુનિવર્સિટી રોડ પર ફાયર સ્ટેશન ઉભા કરવાની વિચારણાં: ફટાકડાના સ્ટોલ માટે આવતા સપ્તાહથી અરજીઓનું પ્રમાણ વધશે

ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના જણાવ્યાનુસાર ફાયર બ્રિગેડ શાખા દ્વારા ફટાકડાના સ્ટોલ માટે લાયસન્સ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં પોલીસમાં કરવામાં આવેલી અરજીની નકલ માંગવામાં આવે છે. અન્ય કોઇ ચીજવસ્તુ માંગવામાં આવતી નથી. અત્યાર સુધીમાં માત્ર 116 અરજીઓ આવી છે. જે પૈકી તમામ ડોક્યુમેન્ટ પુરા હોય ત્રણ અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. જેને ફટાકડાના સ્ટોલ માટે મંજૂરી આપવામાં આવી છે. તેઓએ સ્ટોલમાં ફાયર સેફ્ટીના સાધનો, પાણી ભરેલી ડોલ કે કેરબા અને રેતી ભરેલી ડોલો રાખવી પડશે. જો ફાયર સેફ્ટીના નિયમનો ઉલાળીયો કરતા હશે તો ગમે ત્યારે લાયસન્સ રદ્ કરી દેવામાં આવશે. દિવાળીના અંતિમ દિવસો સુધી અરજીઓ સ્વિકારવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દર વર્ષે દિવાળીના તહેવારમાં આગ લાગવાના બનાવો વધુ બનતા હોય છે. હાલ આઠ ફાયર સ્ટેશન છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં હંગામી ધોરણે વધુ પાંચ ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવશે. જ્યાંથી સરળતાથી આગ લાગે તે ઘટના પહોંચી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાના મવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ખાતે ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવશે. દિવાળીના દિવસે ફાયર બ્રિગેડનો સ્ટાફ સતત એલર્ટ રહેશે. જેથી કોઇ અનિચ્છનીય ઘટના બને નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.