Abtak Media Google News

દંપતી વચ્ચે થયેલા ઝઘડાના કારણે એકાદ સપ્તાહ પૂર્વે હત્યા કરી પતિ ભાગી ગયો

પડધરી તાલુકાના ખોખરી ગામે ખેત મજુર દંપતી વચ્ચે થયેલા ઝઘડાના કારણે પત્નીની હત્યા કરી લાશને દાટી પતિ ભાગી ગયાનું પોલીસમાં જાહેર થતા હત્યાના ગુનામાં સંડોવાયેલા મનાતા પતિની પોલીસે શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોખરી ગામના કનકસિંહ જાડેજાની વાડીએ મજુરી કામ કરતી કેશરબેન નામની 35 વર્ષની આદિવાસી મહિલાની હત્યા કરી દાટી દેવાયેલી લાશ હોવાની વાડી માલીક કનકસિંહ જાડેજાએ પડધરી પોલીસમાં જાણ કરતા પી.એસ.આઇ. જે.જી.જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.

છેલ્લા બે વર્ષથી ખોખરીના કનકસિંહ જાડેજાની વાડીએ મજુરી કામ કરતા મુળ મધ્ય પ્રદેશના વતની સંતોષ અને તેની પત્ની કેશરબેન વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે સંતોષે પોતાની પત્નીની હત્યા કરી લાશને વાડીમાં જ દાટી ભાગી ગયાની શંકા સાથે પોલીસે સંતોષ આદિવાસીની શોધખોળ હાથધરી છે. પોલીસે સંતોષના કાકાની અટકાયત કરી પૂછપરછ કરતા સંતોષ છેલ્લા આઠેક દિવસથી લાપતા હોવાથી હત્યા આઠ દિવસ પહેલા થઇ હોવાની શંકા સાથે પોલીસે કેશરબેન આદિવાસીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં લાશ મોકલી છે. ગુમ થયેલા સંતોષની ભાળ મળ્યા બાદ હત્યા શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.