Abtak Media Google News

65 ગામડાઓમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા સતત મહેનત

બિપર જોય વાવાઝોડાની અસરના કારણે ફુંકાય રહેલા ભારે પવન અને વરસાદના કારણે ગઇકાલે સૌરાષ્ટ્રના 563 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો દરમિયાન પીજીવીસીએલની ટેકનીકલ ટીમ દ્વારા રાત ઉજાગરા કરી આજે સવારે 498 ગામડાઓમાં અંધારા ઉલેચી ફરી ઉજાશ પાથરી દેવામાં આવ્યાં છે. જયારે બાકીના 65 ગામડાઓમાં ફરી વીજ પુરવઠો શરુ કરવા વીજ કર્મચારીઓ મહામહેનત કરી રહ્યા છે.

ભારે પવન અને વરસાદના કારણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં 563 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. પીજીવીસીએલ નો ટેકનીકલ સ્ટાફ ગઇકાલ સાંજે 7 વાગ્યાથી કામગીરીમાં જોતરાય ગયો હતો. આખી રાત ઉજાગરા કરી 563 પૈકી 498 ગામડાઓમાં આજે સવારે ફરી અંજવાળા પાથરી દેવામાં

આવ્યા હતા. દરમિયાન પોરબંદર જિલ્લાના ર1, જામનગર જિલ્લાના 15, ભુજના 28 અને અમરેલી જિલ્લાના 1 સહિત કુલ 65 ગામડાઓમાં હજી અંઘર પટ છવાયેલો છે. જે દુર કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગઇકાલે સાંજે જયોતિગ્રામ યોજનાના 129 ફીડરો ફોલ્ટમાં હતા જે પૈકી 113 ફીડરો શરુ કરી દેવામાં આવ્યા છે. બાકી રહેતા 16 ફીડરો ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે.

સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને વીજ થાંભલાને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો, તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે પી.જી.વી.સી.એલ.નાં મેનેજીંગ ડાયરેકટર એમ. જે. દવેનાં માર્ગદર્શન હેઠળ સજ્જ વીજતંત્ર દ્વારા વીજ માળખાને થનારી સંભવિત ખુવારીને પહોંચી વળવા મેન પાવર, મટીરીયલ તથા વાહનની આગોતરી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પી.જી.વી.સી.એલ.નાં મુખ્ય ઈજનેર ડી.વી.લાખાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે સુચારૂ આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી, કોર્પોરેટ લેવલ કંટ્રોલ રૂમ અને 24ડ7 રિપોર્ટિંગ ટીમની રચના કરવામાં આવી છે, જે સતત કામગીરીનું નિરીક્ષણ કરશે. કોર્પોરેટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત રહી ફરજ બજાવશે. વાવાઝોડા બાદ શહેર – નગરોમાં વીજ પુરવઠો ખોરવાયે તાબડતોબ કાર્યરત કરવા માટે પી.જી.વી.સી.એલ. ની 562 કોન્ટ્રાક્ટર ટીમ 3304 વીજકર્મીઓ સાથે તથા 268 જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમનાં 1085 સહીત કુલ 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન વીજ થાંભલાઓનું થતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં 84,150 વીજથાંભલા તથા 44,253 જેટલા અલગ-અલગ વોટ પ્રમાણેનાં વીજ ટ્રાન્સફોર્મરના સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પાડવા જરૂરી તમામ મટિરિયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા 782 વાહનો તથા 36 જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.