Abtak Media Google News

૮ વર્ષ સુધીના બાળકોને રંગ, આકારો, રમકડા, વાર્તા, બાળગીતો, સંગીત, રમત-ગમત બહુ જ ગમે છે, આ માધ્યમો દ્વારા શિક્ષણ અપાય તો તેનો વિકાસ ઝડપી થાય છે

ટીચીંગ લર્નીંગ મટીરીયલ અને એકટીવીટી બેઝ લર્નીંગ જ આનંદમય શિક્ષણનો પાયો છે, બાળકોમાં રહેલી છુપી કલા ઓળખે તેજ સાચો શિક્ષક

નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ આવી રહી છે. મહત્વના ફેરફારોમાં શરૂના પાંચ વર્ષમાં અલી ચાઈલ્ડ એજયુકેશનનાં ત્રણ વર્ષ અને ધો.૧-૨ બે વર્ષ મળી પ્રારંભે ફાઉન્ડેશન કોર્ષ આવી રહ્યો છે. નાનપણથી જ બાળકોનો પાયો પાકો કરવાની વાત છે. પહેલા પાંચ વર્ષ પૂર્ણ થયે ધો.૧માં આવતો બાળક એ પહેલા નર્સરી, એલકેજીને એચકેજી જેવા રૂપકડા નામથી ચાલતા કોર્ષ કે પ્લેહાઉસમાં જતો જે સરકારી દાયરામાં ન હોવાથી બધા પોતાની રીતે ચલાવતા, શેરી-ગલીઓમાં પણ આવા બાળહાટડા ખુલી ગયા છે. હવે નીતિ શિક્ષણનીતિમાં આ વસ્તુ સરકારી દાયરામાં આવતા ધો.૧ સુધીમાં તો બાળક વાંચન-ગણન અને લેખનમાં પાવરફુલ થશે. ભાવી નાગરીકોને પાયાથી જ મજબુતી મળશે.

નાનકડું બાળક હવે ૩ વર્ષે જ ભણવા લાગશે જોકે આ અગાઉની તેમની વયમાં ફરી આવા પ્લેહાઉસ શરૂ ન થાય તે માટે સમાજે જાગૃત થવુ પડશે. ૦ થી ૩ વર્ષ બાળક માતા પાસે જ કુટુંબમાં ઉછેરે તે ખુબ જરૂરી છે. વાલીઓ એમાં પણ પ્લે હાઉસમાં મુકવા માંડશે તો તેનો વિકાસ રૂંધાશે. ૫ વર્ષ સુધીના બાળકોને ચિત્ર દ્વારા તમે ઘણું શીખવી શકો છો. ૧૦ વર્ષ સુધીના બાળકોને રમવું બહુ જ ગમે છે ત્યારે શિક્ષણ રમતા રમતા શિક્ષણ આપે તે જરૂરી છે. આ વયના બાળકોને રંગો, આકારો, રમકડા, વાર્તા, બાળગીતો, સંગીત, રમત-ગમત બહુ જ ગમતા હોય છે. આ માધ્યમોમાં દ્વારા જ તેને શિક્ષણ સાથે સાંકળીને જો શિક્ષણ અપાય તો તેનો વિકાસ ખુબ જ ઝડપી થાય છે. મોટાભાગે નાના ધોરણમાં લેડી ટીચર હોવાથી તે બાળકોને વધુ સમજી શકે છે. અલી ચાઈલ્ડ એજયુકેશનમાં તેની લાગણી-માંગણી વિગેરેનું જતન શિક્ષકે કરવું જ પડે છે. ઘર છોડીને પ્રથમવાર શાળાએ આવનાર બાળકને પ્રેમ-હુંફ-લાગણી મળે તો તે નિશાળમાં બેસશે. અન્યથા રડવા લાગશે કે ઘરે જવાની જીદ પકડશે.

ફાઉન્ડેશનમાં શૈક્ષણિક રમકડાનું વિશેષ મહત્વ છે સાથે પ્રવૃતિ દ્વારા શિક્ષણ અપાય તો આનંદમય શિક્ષણ કે જોયફુલ લર્નીંગનો હેતુસર છે. વર્ગખંડના બાળકોના રસ-રૂચી-વલણો આધારીત સરળ શૈલીની શિક્ષણની પઘ્ધતિ શિક્ષકે અમલમાં મુકવી પડે છે. આ વયકક્ષાના બાળકોને દ્રશ્યશ્રાવ્ય સાધનોના ઉપયોગથી તમે ઘણું શીખવી શકો છો. તેમના માટેના પુસ્તકો પણ રંગ-બેરંગી હોવા જોઈએ. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય શકે છે. એકી સાથે વર્ગખંડનાં તમામ બાળકો શીખી જાય એ શકય જ નથી.

નાના બાળકોને કોઈપણ ચિત્ર બતાવો તો તે વિશે તે નાના વાકયો બોલે છે. આવી એકટીવીટી નિયમિત કરાવવાથી તેનો મૌખિક અભિવ્યકિત ખીલી છે. ઘણીવાર તો બાળકને લખતા-વાંચતા કશુ જ ન આવડતું હોય છતાં તે ઘણા બધા વાકયો ફકત ચિત્ર જોઈને બોલે છે. આમા બાળક જોવે છે, વિચારે છે ને પછી ગોઠવીને વાકયો બોલતો થાય છે. આમ જોઈએ તો બાળક તેના આસપાસના પર્યાવરણમાંથી ઘણું શીખીને આવે છે. તમે પ્રવૃતિ કરાવો ત્યારે તે પણ તમને પ્રશ્ર્ન પણ કરે છે. બાળક રમતા રમતા ઘણુ શીખે છે.

બાળકોને જુથ પઘ્ધતિમાં કાર્ય કરાવવાથી તે ઝડપથી ગ્રહણ કરી લે છે. ફલેશકાર્ડ, મણકા ઘોડી, ટપકા જોડી ચિત્રો બનાવવા, રંગપુરણી, કાગળ કટીંગ, મુર્ત વસ્તુની ગણતરી કે અલગ અલગ કરીને જુદા પાડવા જેવી વિવિધ રમતોથી ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષક કે મા-બાપ શીખવી શકે છે. વિવિધ તહેવારો વખતે તેની વાત સાથે તેના દ્વારા જ ઉજવણી કરવાથી તે શિક્ષણ લાંબો સમય ટકી રહે છે. પતંગ, હોડી, ફળો, પ્રાણીઓ, સંતો દેશ નેતા વિગેરેના ચાર્ટ દ્વારા બાળક જાતે શીખતો થઈ જાય છે. બાળકને જુદા જુદા અવાજોથી પરિચિત કરવોને પ્રાણીઓના અવાજો સંભળાવો બાદમાં તે પણ એવા અવાજ દઢિકરણથી સતત સાંભળતા કે બોલતા શીખી જાય છે. ગાયના ચિત્ર ઉપરથી તે ગાયની ઘણીવાત શીખે છે, બોલે છે.

હવે ધોરણ પાંચ સુધી માતૃભાષામાં શિક્ષણ થવાનું છે જે ખુબ જ સારી બાબત છે. અત્યાર સુધી પ્રારંભથી અંગ્રેજી માધ્યમમાં ભણતો બાળક દુકાનનું ગુજરાતી બોર્ડ પણ વાંચી શકતો ન હતો. મા-બાપ ગુજરાતી લોકોને છોકરો ખાલી અંગ્રેજી એવું પણ પરિવારોમાં જોવા મળતું. સરવાળા, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર મુર્ત વસ્તુના માધ્યમથી બહુ જ સરસ શીખડાવી શકાય છે. કાઢવા અને ઉમેરવા કે ઓછા કરવા તે વસ્તુના માધ્યમથી શીખવી શકાય છે. ફાઉન્ડેશનમાં શ્રવણ, કથન, લેખનનું મહત્વ છે તો વાંચન, ગણન, લેખનનું મહત્વ છે. બાળક સાંભળે, સમજે, વિચારેને લખે તે આદાન પ્રદાનક્રિયા વર્ગખંડની હોવી જોઈએ. પુનરાવર્તન-સતત મહાવરો અને દઢિકરણ સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન હોવુ જરૂરી છે. આ વય જુથના બાળકો રમતમાં ઘણું બધુ ભુલી જતા હોવાથી સતત મહાવરો આપવો જરૂરી છે.

અલી ચાઈલ્ડ એજયુકેશન અને ધો.૧-૨ના ગાળામાં બાળકમાં સમજનું મહત્વ અને તે દરેક પ્રવૃતિમાં ભાગ લે તેવું અસરકારક વર્ગખંડનું વાતાવરણ હોવું જોઈએ. શિક્ષકની સજજતા જ બાળકને પ્રેરણા આપે છે ને તે સ્વઅઘ્યયન કરતો થાય છે. તેનામાં રહેલી વિવિધ કલાને શિક્ષક જાણીને સતત પ્રોત્સાહન આપે તે જરૂરી છે. વિવિધ આકારોના માધ્યમથી ચિત્રો કે રમતો દ્વારા શીખવી શકાય છે. સારું અને ખરાબ આ બે વસ્તુ બાળકોને શિખવવી જરૂરી છે. જીવન મુલ્યનાં પાઠ વિવિધ પ્રસંગો, વાર્તા, ગીતો દ્વારા કરાવીને તેને સતત શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડી રાખે તેજ સાચો શિક્ષક, બાળમનોવિજ્ઞાનનો શિક્ષક અભ્યાસી હોવો જોઈએ. વર્ગખંડના દરેક બાળક વિશે તે તમામ બાબત જાણતો હોવો જોઈએ. બાળકો પક્ષીઓ-પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ કેળવે એ માટે વિવિધ પ્રવૃતિઓ વર્ગખંડમાં યોજવી જોઈએ. બાળક જોઈને ૮૦ ટકાથી વધુ શીખે છે તેથી આવા બાળકોને પર્યાવરણનો સતત મહાવરો કરાવવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.