Abtak Media Google News

ગાંધીનગર જતી વેળાએ પ્રધાનમંત્રીએ મિની રોડ શો યોજયો: નરેન્દ્ર મોદીને નિહાળવા લોકો ઉમટયા

ગાંધીનગર ખાતેના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત ભાજપના નેતાઓએ વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી ત્યાંથી નાનો રોડ-શો યોજી ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતે શપથવિધિ સમારોહમાં પહોંચ્યા હતા.

ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રીપદે વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીપદે નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળનો આજે શપથગ્રહણનો સમારોહ યોજાનાર છે. સચિવાલય ખાતે આયોજીત શપથવિધિ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગેથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદથી ગાંધીનગર જતી વેળાએ વડાપ્રધાન મોદીએ મિની રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં વડાપ્રધાનને નિહાળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. ઠેર-ઠેર ઢોલ નગારા અને પુષ્પવર્ષાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામગીરી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપની જીત બાદ પ્રથમ રોડ શો કર્યો હતો. તેઓ શપથવિધિમાં ટૂકું રોકાણ કરીને હવાઈ માર્ગેથી દિલ્હી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.