Abtak Media Google News

વર્ષ 2026માં ‘મત્સ્ય’ 6 હજાર મીટરની ઊંડાઈ કિંમતી ખનીજો શોધશે : 500 મીટર ઊંડાઈનું પરીક્ષણ 2024માં હાથ ધરાશે.

ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ‘સમુદ્રયાન’ મિશનનો વારો છે. ભારતીય વૈજ્ઞાનિકોની નજર હવે સમુદ્રની ઊંડાઈ પર છે અને તેના માટે ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. તેનો હેતુ કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી કિંમતી ધાતુઓ અને ખનિજોની શોધ કરવાનો છે. આ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સબમરીનમાં 6000 મીટર પાણીની અંદર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સબમરીનનું નામ ‘મત્સ્ય 6000’ હશે. સબમરીન બનાવવામાં લગભગ બે વર્ષ લાગ્યા છે. તેનું પ્રથમ પરીક્ષણ 2024 ની શરૂઆતમાં ચેન્નાઈના કિનારે બંગાળની ખાડીમાં કરવામાં આવશે. પ્રવાસીઓને લઈ જતી વખતે તાજેતરમાં ટાઈટન વિસ્ફોટ થયા પછી, વૈજ્ઞાનિકો તેની ડિઝાઇન પર નજીકથી નજર રાખી રહ્યા છે.

મત્સ્ય 6000 સબમરીનના નિર્માણમાં રોકાયેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો તેની અંતિમ સમીક્ષા કરી રહ્યા છે. ડીપ ઓશન મિશનના ભાગરૂપે સમુદ્રયાન મિશન ચાલી રહ્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે, 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 500 મીટરની ઊંડાઈએ સમુદ્રી પરીક્ષણો હાથ ધરીશું. આ મિશન 2026 સુધીમાં સાકાર થવાની અપેક્ષા છે. માત્ર યુએસ, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીને માનવસહિત સબમર્સિબલ લોન્ચ કરી છે.

કોબાલ્ટ, મેંગેનીઝ અને નિકલ ઉપરાંત રાસાયણિક જૈવવિવિધતા, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અને નીચા-તાપમાન મિથેનનું સંશોધન કરવામાં આવશે. આ મિશનમાં ભારત ‘મત્સ્ય’ સબમર્સિબલમાં ત્રણ લોકોને મોકલશે. આ સબમર્સિબલ 6000 મીટરની ઊંડાઈ સુધીના દબાણને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સબમર્સિબલ પાણીની અંદર 12 થી 16 કલાક સુધી સતત કામ કરી શકે છે. તેમાં 96 કલાક માટે પૂરતી ઓક્સિજન સિસ્ટમ હશે. ‘મત્સ્ય’ 6000 સબમર્સિબલ્સ દરિયામાં જહાજના સંપર્કમાં રહેશે. મત્સ્ય 6000નું વજન 25 ટન છે અને તે 9 મીટર લાંબુ અને 4 મીટર પહોળું છે.

શું છે સમુદ્રયાન ડીપ ઓશન મિશન?

ભારતના અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, ભારતના બ્લૂ ઈકોનોમિ પોલીસીના ભાગરૂપે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 2026માં સમુદ્રયાન લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ આ મિશનમાં ત્રણ સભ્યોની ટીમ સમુદ્રના પેટાળમાં 6 હજાર મીટરના ઊંડાણમાં જઈને મહત્તવના સંશોધનો કરશે, જેમાં સમુદ્રી જીવસૃષ્ટિ, બાયોડાયવર્સિટી, સમુદ્રી રિસોર્સિસ, ઈકોોસિસ્ટમ તેમજ સમુદ્રના ખનીજનો અભ્યાસ કરવામાં આવશે.

સમુદ્રી મિશન મોકલનાર ભારત છઠ્ઠો દેશ બનશે

ભારત સમુદ્રમાં સંશોધન માટે જનારો છઠ્ઠો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન આ પ્રકારના મિશનનો અભ્યાસ હાથ ધરેલો છે. ભારત પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આ બંને મિશનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, સંરક્ષણ વિકાસ અને સંશોધન સંસ્થા , અણુ ઊર્જા વિભાગ , સાયન્ટિફિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, ઔદ્યોગિક સંશોધન , બાયોટેકનોલોજી વિભાગ અને ભારતીય નૌકાદળનો પણ સહયોગ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.