Abtak Media Google News

હાલના આધુનિક જમાનામાં સુખ સુવિધાઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. તેવામાં રેલવેએ આગામી 7 વર્ષનો એક્શન પ્લાન ઘડીને પર્યાવરણને નુકસાન પહોચાડ્યા વગર પોતાની ગાડીને દોડાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જેના માટે હાલ રેલવેએ કવાયત પણ શરૂ કરી દીધી છે. ભારતીય રેલ્વે જે વિશ્વની સૌથી મોટી પેસેન્જર-વહન સિસ્ટમ છે. તે 2030 સુધીમાં 300 કરોડ વૃક્ષો વાવવાથી તે કાર્બન-તટસ્થ બની શકે છે.

વાસ્તવમાં, ભારતીય રેલ્વે વૃક્ષારોપણ દ્વારા તેના ચોખ્ખા-શૂન્ય ઉત્સર્જનના 50% લક્ષ્યાંકને પૂર્ણ કરવા માંગે છે.આવું કરી રેલવે દર વર્ષે લગભગ 15 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડને દૂર કરશે.  એક ટન કાર્બન ઉત્સર્જનને સરભર કરવા માટે લગભગ 50 વૃક્ષો જોઈએ.  રેલ્વે એ દેશની લાઈફલાઈન છે જે પર્યાવરણને થતું નુકસાન ઓછું કરવા  તેમજ સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુતીકરણને આગળ ધપાવી કાર્બન ઉત્સર્જનમાં નેટ-ઝીરો હાંસલ કરવા પ્રયત્નો કરી રહ્યું છે. ભારતીય રેલ્વેના 68,000 રૂટ કિલોમીટરમાં ગ્રીન કવર વધારવા માટે એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે.

અધધધ 300 કરોડ વૃક્ષોનું વાવેતર કરી, ડીઝલનો વપરાશ નહિવત સુધી પહોંચાડી ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવી કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરોના સરકારના વિઝનને સાકાર કરવા રેલવેનો પ્રયાસ

રેલવે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે વ્યાપક વિદ્યુતીકરણ અને પાણી/કાગળ સંરક્ષણ, સૌર અને પવન ઉર્જા ઉત્પન્ન કરવા અને એલઇડી બલ્બનો ઉપયોગ કરવા જેવી અનેક વ્યૂહરચનાઓનો અમલ કરી રહી છે.

રેલ્વેએ 2009 અને 2014 ની વચ્ચે 21,395 કિમી બ્રોડ-ગેજ રૂટનું વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું અને 2014 અને 2020 ની વચ્ચે વધારાના 18,605 કિમી બ્રોડ-ગેજ રૂટનું વિદ્યુતીકરણ પૂર્ણ કર્યું. રેલ મંત્રાલય ડીસેમ્બર સુધીમાં 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કરવાની યોજના ધરાવે છે. એક વરિષ્ઠ અધિકારી કહે છે કે, “રેલવે નેટવર્કનું 100% વિદ્યુતીકરણ ડીઝલની જરૂરિયાતને દૂર કરશે. પરંતુ અમુક રોલિંગ સ્ટોક રહેશે જેને ઈમરજન્સી સેવાઓ અને લોકોમોટિવ શન્ટીંગ હેતુઓ માટે ડીઝલ અથવા વૈકલ્પિક બળતણનો ઉપયોગ કરવાની જરૂર પડશે.

ડીઝલ એન્જિનોને સંપૂર્ણપણે દૂર કરવા માટે, તેણે બેટરી સંચાલિત હાઇબ્રિડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ અને ઇથેનોલ-મિશ્રિત ઇંધણના  વપરાશની શરૂઆત કરી છે.  બાયો-ડીઝલની ઇન-હાઉસ વ્યવસ્થા કરવા માટે, તે ટોંડિયારપેટ, ચેન્નાઈ અને રાયપુર, છત્તીસગઢ ખાતે બે 30 ટન પ્રતિ દિવસ  ક્ષમતાના પ્લાન્ટ સ્થાપી રહી છે.

આ બંને પ્લાન્ટ રેલ્વે પર હાઈ-સ્પીડ ડીઝલના મિશ્રણની કુલ જરૂરિયાતના 15%-20% પૂરા કરશે.  પામ તેલ, જેટ્રોફા તેલ, કપાસના બીજનું તેલ, વપરાયેલ રસોઈ તેલ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ આ પ્લાન્ટમાં બાયો-ડીઝલ બનાવવા માટે કાચા માલ તરીકે કરી શકાય છે. ઊર્જા-કાર્યક્ષમ ત્રણ-તબક્કાના લોકોમોટિવ ટેક્નોલોજીની રજૂઆતથી વાર્ષિક 500 ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાની અપેક્ષા છે.

આ ઉપરાંત રેલવે એલઇડી લાઇટના સંપૂર્ણ ઇન્સ્ટોલેશનથી કુલ વપરાતી ઉર્જામાંથી લગભગ 10% ઘટાડો થવાનો અંદાજ છે, જેનાથી લગભગ 240 મિલિયન યુનિટ વીજળી અથવા વાર્ષિક રૂ.180 કરોડની બચત કરાશે.  કુલ 1,327 રેલ્વે સ્ટેશનોને હવે એલઇડી રોશની આપવામાં આવી છે.  ઉપરાંત, તમામ નવા ઉત્પાદિત કોચમાં એલઇડી લાઇટ લગાવવામાં આવી છે.  આનાથી પ્રતિ કોચ દીઠ વાર્ષિક આશરે રૂ.6,000 ની બચત થવાની સંભાવના છે.

ટ્રેકની બન્ને બાજુ લીમડો, પીલખાણ, જામુન જેવા વૃક્ષોનું વાવેતર

રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ કહે છે, અમે ટ્રેકની બંને બાજુએ લીમડો, પીલખાણ, જામુન જેવા વૃક્ષો વાવીએ છીએ, પરંતુ વૃક્ષની ડાળીઓ પાટા પર ન ઉતરે તેનું ધ્યાન રાખીએ છીએ. તેઓ એ પણ નિર્દેશ કરે છે કે વૃક્ષારોપણ ઘણા વિસ્તારોમાં રેલ્વેની જમીનના અતિક્રમણને રોકવામાં મદદ કરશે.

પાણી બચાવવા હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ

રેલ્વે ટ્રેનોની સફાઈ માટે પાણીનો ઉપયોગ ઓછો કરવા માટે તમામ રેલ ડેપો પર ઓટોમેટિક કોચ-વોશિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. ઘણા રાજ્યો દ્વારા પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેને ધ્યાને લઇ  રેલવે મંત્રાલય ઓટોમેટિક કોચ-વોશિંગ પ્લાન્ટ્સની મદદથી, માત્ર 10 મિનિટના સમયગાળામાં 90% ઓછા પાણીનો ઉપયોગ કરીને ટ્રેનના કોચની ઉચ્ચ ગુણવત્તાની સફાઈ કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશની 2 ટકા વીજળી એકલું રેલવે વાપરે છે!

હાલમાં, ભારતીય રેલ્વે દર વર્ષે લગભગ 2000 કિલો વોટ વીજળી વાપરે છે, જે દેશના કુલ વીજ વપરાશના લગભગ 2 ટકા થાય  છે.  આગામી વર્ષોમાં રેલ ટ્રાફિકમાં ઝડપી વૃદ્ધિ નોંધાવાનો અંદાજ છે, એવો અંદાજ છે કે આગામી દાયકામાં રેલવે દ્વારા વીજળીની માંગમાં વધારો થશે.

સૌર ઉર્જાનો મહત્વ ઉપયોગ કરવાનો રેલવેનો લક્ષ્યાંક

2030 સુધીમાં તમામ સ્ટેશનો ઉપર લાગશે સોલાર પેનલ

અધિકારીઓનું કહેવું છે કે તેઓએ 2030 ના અંત સુધીમાં દેશભરના તમામ સ્ટેશન સેટઅપ પર સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં કુલ 7,349 સ્ટેશનોમા સોલાર પેનલ્સ પર કામ કરી રહી છે.  આ પેનલ્સ સ્ટેશન બિલ્ડિંગની ઓછામાં ઓછી બે તૃતીયાંશ વીજળીની જરૂરિયાતો ઉત્પન્ન કરે છે. તમામ સ્ટેશનો રિન્યુએબલ પાવર પર ચલાવવાની યોજના છે. હાલમાં કુલ 1,743 રેલ્વે સ્ટેશનો અને સર્વિસ બિલ્ડીંગોને સોલાર રૂફટોપ પ્લાન્ટ આપવામાં આવ્યા છે.

રેલવે ખાલી પડેલી જમીનમાંથી 20 ગીગાવોટની સૌર ઊર્જા ઉત્પન્ન કરશે

ભારતીય રેલ્વેએ તેની બિનઉપયોગી ખાલી પડેલી જમીનનો સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે ઉપયોગ કરવાની યોજના બનાવી છે.  રેલ્વેની લગભગ 51,000 હેક્ટર જમીન છે જેમાં 20 ગીગાવોટ જમીન આધારિત સોલાર પ્લાન્ટ લગાવવાની ક્ષમતા છે.  આ રીતે ઉત્પન્ન થયેલ સૌર ઉર્જા ગ્રીડમાં અથવા સીધી 25 કેવી એસી ટ્રેક્શન સિસ્ટમમાં આપવામાં આવશે.

નવતર પ્રયોગ: ટ્રેનના ડબ્બા ઉપર સોલાર લગાવવાનું શરૂ

રેલવેએ ઉત્તર વિભાગમાં નવો પ્રયોગ શરૂ કર્યો છે. કાલકા-શિમલા અને કાંગડા ખીણમાં ટ્રેનોમાં 19 નેરો-ગેજ કોચની છત પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે. વધુમાં, માલસામાન ટ્રેનના 50 ગાર્ડ વાન કોચમાં સોલાર પેનલ પણ આપવામાં આવી છે. સૌર પેનલ્સ સૂર્યપ્રકાશ દરમિયાન કામ કરે છે અને લગભગ ચાર થી બેટરી બેકઅપ જનરેટ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.