દુકાનના તાળા તોડી ઘૂસણખોરી કરી ચાનો વેપલો શરૂ કરી દેતા પોલીસ ફરિયાદ : ખોડીયારનગરના શખ્સની શોધખોળ
રાજકોટમાં કલેકટર અને પોલીસની બેઠક થયા બાદ દસ જેટલી લેન્ડ ગ્રેબિંગ ની અરજીઓ પર ગુનો નોંધવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે એક પછી એક ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહી છે જેમાં ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગોંડલ રોડ પર આવેલી લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની દુકાનમાં ખોડીયાર નગર ના શખ્સે દુકાનના તાળા તોડી ઘૂસણખોરી કરી તેમાં ચાનો વેપલો શરૂ કરી દેતા પોલીસ દ્વારા ગુનો નોંધી શોધ ખોળ શરૂ કરી છે
વિગતો મુજબ રજપૂતપરા-૮માં રાજકોટ લોહાણા હાઉસ ખાતે રહેતા હીરાલાલ ચુનીલાલા માણેક (ઉ.વ.૮૩)એ પોતાની ફરિયાદ આરોપીમાં વિપુલ મનાભાઈ શિયાળ (ઉ.વ.૩૧, રહે. ખોડીયારનગર શેરી નં. ૧૮નો ખૂણો, ગોંડલ રોડ)નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે , તે રાજકોટ લુહાણા બોર્ડિંગ ટ્રસ્ટના પ્રમુખ છે. ટ્રસ્ટની માલિકીની ગોંડલ રોડ પર બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં સીતારામ બિલ્ડિંગમાં દુકાન નં. ૪ આવેલી છે.
આ મિલ્કત ૧૯૧૧ની સાલમાં રાજકોટ સ્ટેટે તેમની સંસ્થાને દસ્તાવેજથી આપી હતી. ત્યારથી આ મિલ્કતની માલિકી તેમની સંસ્થાની છે. મિલ્કતમાં આવેલી દુકાન ગૌતમભાઈ અંતાણીને ૧૯૭૩ની સાલમાં ભાડા કરારથી આપી હતી. ત્યારબાદ અંતાણીનું ગઇ તા. ૭-૯- ૨૦૨૧ના રોજ અવસાન થયું હતું. જેમનું કોઇ વારસદાર હતું નહીં જેથી બનેવી ચેતનભાઈ ઠાકર સાથે રહેતા હતા.તેના અવસાન બાદ ચેતનભાઈએ ગઇ તા. ૧૬-૧૦-૨૦૨૧ના રોજ દુકાન ખાલી કરી સંસ્થાને તેનો કબ્જો સોંપી આપ્યો હતો.
સંસ્થાએ આ દુકાનના તાળું મારી કબ્જો સંભાળી લીધો હતો.ત્યારબાદ ગત તા. ૨૦-૧૦- ૨૦૨૧ના રોજ આરોપી વિપુલે આ દુકાનના તાળા તોડી તેમાં ઘૂસણખોરી કરી હતી. એટલું જ નહીં દુકાનમાં ચાનો ધંધો પણ શરૂ કરી દીધો હતો. તેને અવારનવાર દુકાન પરત સોંપવા માટે કહ્યું હતું પરંતુ સમજ્યો ન હતો. જેથી કલેક્ટર તંત્રમાં લેન્ડ ગ્રેજિંગ હેઠળ અરજી કરી હતી. ચકાસણીના અંતે ગુનો નોંધવાની સૂચના મળતાં આજે એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદ નોંધાતા આરોપી ભાગી ગયો હોવાથી તેની શોધખોળ હાથધરી છે.