Abtak Media Google News

જય વિરાણી,કેશોદ

કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન પાસે ટીલોળી નદીનાં કાંઠે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરવામાં આવેલ હતું ત્યારે ફરિયાદ થતાં કેશોદ નગરપાલિકા દ્વારા સ્થળ રોજકામ કરી નોટીસ ફટકારી હતી ત્યારબાદ આખરી નોટિસ આપી હતી આમછતાં દબાણ બાંધકામ દુર કરવામાં ન આવતાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલું છે. છેલ્લાં આઠેક માસથી કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઇ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદના હિન્દુ સંગઠનો દ્વારા કેશોદ નગરપાલિકા કચેરીમાં આજે સાંજે પાંચ વાગ્યે સત્તાધિશોને સદ્બુદ્ધિ આપવાનાં હેતુસર રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.2

કેશોદનાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા હિન્દુ સ્મશાન પાસેનું ગેરકાયદેસર દબાણ બાંધકામ દુર કરવામાં ન આવતાં હિન્દુ સંગઠનો માં રોષ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં રામમંદિર નિર્માણ નો મુદ્દો લઈને સતા નાં સુત્રો સંભાળનાર સત્તાધિશો વામણાં સાબિત થયાં છે. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ નાં પ્રમુખ વિશાલભાઈ, મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર,અશ્ર્વિનસિહ રાયજાદા, રજનીભાઈ બામરોલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કેશોદના સત્તાધિશો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં હિન્દુ સંગઠનો દ્વારા રાજીનામું માંગવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકામાં રામધૂન બોલાવવામાં આવતાં ચીફ ઓફિસર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે દિવસ દશમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર કેમેરા સામે બોલવાને બદલે નાશી છુટેલા હતાં. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે કેશોદ નગરપાલિકા કચેરીએ અચોક્કસ મુદતની ભુખ હડતાલ અને પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.