Abtak Media Google News

ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા રવિવારે તેમના વિશેષ કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધન કરતાં જળ સંચય માટે જન આંદોલનમાં જોડાવા ભારતવાસીઓને અપીલ કરી હતી. આજે, રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરતાં ધીરૂભાઇને મન પાણીનું મૂલ્ય શું હતું તે જાણીએ તો વડા પ્રધાનની જેમ જ તેમની સૂઝબૂઝ માટે પણ અનેકગણું માન ઉપજે છે.

ધીરૂભાઈ અંબાણીએ પોતાની વિશ્વ વિખ્યાત રિફાઇનરીની સ્થાપના કરવા માટે ગુજરાતના જામનગર પાસેના દરિયા કિનારાની નજીક જગ્યા પસંદગી કરી. જોવાની ખૂબી એ છે કે રિલાયન્સ રિફાઇનરી દેશની પહેલી એવી રિફાઇનરી છે જે દરિયા કિનારે સ્થપાઇ. દેશમાં અગાઉની રિફાઇનરીઓ વડોદરા, મથુરા, ન્યુમલીગઢ જેવાં ભૂમિબદ્ધ(Land-Locked) સ્થળોએ સ્થપાયેલી.  સ્વાભાવિક રીતે જ મોટા પ્રમાણમાં બાંધકામ કરવા અને આટલી મોટી રિફાઇનરી સંકુલના પ્લાન્ટોમાં પ્રક્રિયાઓ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ચોખ્ખા પાણીની જરૂરિયાત રહે. દરેક જગ્યાએ મહી કે યમુના જેવી બાર માસી નદીઓ કે ૩૦ થી ૪૦ ફૂટે વિપુલ ભૂગર્ભ જળ રાશિ ન પણ મળે. જામનગરમાં તો તે પ્રશ્ન જ નહોતો. રોજનું સરેરાશ ૨૦ મિલિયન ગેલન પાણી એ કાંઇ નાની સૂની વાત છે? પણ ધીરૂભાઇ જેમનું નામ !

કુદરતનો ક્રમ છે કે સૂર્યનાં કિરણો દરિયાના પાણી ઉપર પડે અને તેની ગરમીથી પાણી વરાળ બને;જે ઉપર આકાશમાં જઇ વાદળ સ્વરૂપે એકઠી થાય અને વરસાદ સ્વરૂપે આપણને ચોખ્ખું પાણી મળે! આ સિદ્ધાંત ઉપર ઇઝરાયલની મલ્ટીપલ ઇફેક્ટ ડિસ્ટીલેશન ટેકનોલોજીના આધારે ધીરૂભાઇએ જામનગર રિફાઇનરી સંકુલમાં દરિયાના પાણીને શુદ્ધ કરવાનો ડિસેલીનેશન પ્લાન્ટ લગાવ્યો. ધીરૂભાઇ માનતા કે ક્રૂડનું છેલ્લું ટીપું જેટલું કિંમતી છે અને તેનું મૂલ્ય સંવર્ધન (Value addition)થવું જોઇએ તેટલું જ મૂલ્યવાન પાણી પણ છે.તેનો ઉપયોગ નહિ પણ સદ્ઉપયોગ થવો જોઇએ. દુરૂપયોગ તો કદાપિ નહિ!

તેથી જ રિલાયન્સમાં દરિયાના પાણીને ડિસેલિનેશનની પ્રક્રિયાથી શુધ્ધ કરીને રિફાઇનરીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા બાદ આ વપરાયેલા પાણીને એફેલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇ.ટી.પી.)માં શુધ્ધિકરણ કરવામાં આવે છે અને કૂલિંગ ટાવરમાં, ફાયર વોટર તરીકે અને લેન્ડસ્કેપિંગમાંતેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

ધીરૂભાઈના આયોજન અને દૂરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા આ સંકુલમાં વરસાદી પાણીનો ખાસ અલગ અલગ સ્થળે નાનાં નાનાં તળાવો બનાવીને સંગ્રહ કરવામાં આવે છે, જેથી જરૂર મુજબ તેને ઉપયોગમાં લઇ શકાય. રિલાયન્સના રિફાઇનરી સંકુલમાં ધીરૂભાઈ અંબાણીના સ્વપ્ન સમાન ૨૯૬૮ એકર વિસ્તારમાં ૯.૫ મિલિયન પ્લાન્ટેશન ધરાવતા ગ્રીન બેલ્ટમાં પણ ડ્રીપ ઇરીગેશન જેવી પદ્ધતિના ઉપયોગથી પાણીનો બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરવામાં આવે છે.એટલું જ નહીં, રિલાયન્સની ટાઉનશીપમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા પાણીને પણ બિન-ફળાઉ ઝાડને સિંચાઇ તથા લેન્ડસ્કેપિંગ માટે પુન:ઉપયોગમાં લેવામાં આવે છે. ટૂંકમાં રિલાયન્સમાં પાણીના વપરાશની એક એવી જળચક્ર વ્યવસ્થા (Water Cycle System) છે જે પાણીને મહિમાવંત કરે છે.

ધીરૂભાઇની જળ વ્યવસ્થાપનની સૂઝબૂઝનો લાભ માત્ર રિફાઇનરી સંકુલને જ નહીં પરંતુ જામનગર શહેર અને જામખંભાળિયાને પણ મળ્યો છે. ૨૧મી સદીનાં પ્રારંભિક ત્રણ વર્ષોના ઉનાળા જામનગર જિલ્લા માટે અછત અને દુ:ષ્કાળનાં વર્ષો હતાં. ત્યારે ધીરૂભાઇએ વર્ષ ૨૦૦૦માં ૨૮ એપ્રિલથી ૬ જુલાઇ સુધીના ૭૦ દિવસો સુધી સતત દૈનિક ૧૬ લાખ ગેલન પાણી જામનગર શહેરની પ્રજાને પૂરૂં પાડ્યું હતું. તે માટે રિલાયન્સ સંકુલમાંથી જામનગર મહાનગરપાલિકાના એક જળાશય અને પમ્પ હાઉસ સુધી ૨૨ કિલોમીટર લાંબી ખાસ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી.વર્ષ ૨૦૦૧માં ૨૨ મેથી ૨૦ જૂન એમ ૩૦ દિવસ સુધી દૈનિક ૧૨ લાખ ગેલન લેખે અનેવર્ષ ૨૦૦૨માં ૧૬ માર્ચ થી ૧૭ જૂન સુધી એટલે કે લગાતાર ૯૪ દિવસ સુધી દૈનિક ૧૦ લાખ ગેલન પાણી જામનગર શહેરને પૂરૂં પાડ્યું હતું. કોઇ ઉદ્યોગ ગૃહ પોતાની જરૂરિયાતમાં કાપ મૂકી આટલા મોટા જથ્થામાં રોજે રોજ નગરજનો માટે પીવાનું પાણી પૂરૂં પાડે તે ભારતીય સમાજ સેવાના ઇતિહાસની વિરલ, અનન્ય અને અનુપમ ઘટના છે. આ સમયમાં ધીરૂભાઇએ જામનગર શહેર ઉપરાંત રિલાયન્સ  સંકુલની આજુ બાજુનાં અછત ગ્રસ્ત ગામો અને રાજસ્થાનનાં કેટલાંક ગામોમાં ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરૂં પાડ્યું હતું તે તો અલગ. વર્ષ ૨૦૦૨ની ૬ જુલાઇએ ધીરૂભાઇના અવસાન બાદ તેમની યાદગીરીમાં વર્ષ ૨૦૦૩માં જામ ખંભાળિયા નગરમાં પેદા થયેલા અભુતપૂર્વ જળ સંકટ સમયે પણ ૨૯ એપ્રિલથી ૭ જુલાઇ સુધી સતત ૭૦ દિવસ દૈનિક એકલાખ ગેલન પાણી પૂરૂં પાડવામાં આવ્યું હતું.

વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે નર્મદાનાં નીર સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પહોંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું પણ બહુ ઓછા લોકોને ખબર છે કે નર્મદા યોજના માટે સુપ્રિમ કોર્ટ સુધી ગુજરાતે આદરેલી લડતને ધીરૂભાઇ અંબાણીએ જબર્દસ્ત ટેકો કર્યો હતો. કારણ કે તેઓ માનતા કે જેમ નર્મદા ગુજરાતની જીવાદોરી છે તેવી રીતે જળ એ જ જીવન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.