Abtak Media Google News

કોરોનાનો નવો સ્ટ્રેઈન વધુ ઘાતક અને ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના કરતા પણ વધુ પડકારજનક સ્થિતિમાં કાચિંડાથી પણ વધુ ઝડપથી રંગ બદલી રહેલા કોરોનાનું સંક્રમણ લાગ્યું છે કે નહીં તેની કોઈ આગોતરી અણસાર આવતી નથી. જેને રોગના લક્ષણ દેખાય છે તેના રિપોર્ટ નેગેટીવ આવે છે અને સામાન્ય સ્વસ્થ વ્યક્તિ કે જેને તાવ, શરદી, ઉધરસ કે અગાઉ જણાતા હતા તેવા કોરોનાના એકપણ લક્ષણ બાહ્ય રીતે દેખાતા ન હોય તેવા વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. વળી મૃત્યુદર અને દર્દીઓની સંક્રમણની લાક્ષણીકતાઓમાં પણ ધડમુળથી ફેરફાર જોવા મળી રહ્યાં છે. ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર સહિતની બીમારી ધરાવતા દર્દીઓના પોઝિટિવ પેશન્ટ ઝડપથી રીકવર થઈ રહ્યાં છે. શ્ર્વાસ અને ફેફસાની સમસ્યાઓથી મૃત્યુ થવાની કોરોનાની મોડસ ઓપરેન્ડીમા પણ ફેરફાર થયો છે અને મોટાભાગના મૃત્યુ લોહી ગંઠાય જવાથી થાય છે. મોટી વયના દર્દીઓના બદલે 20 થી 35 વર્ષની વયજૂથના યુવા મૃત્યુદર વધી રહ્યો છે. સંક્રમણની ઝપટે પણ બહાર ફરવાવાળાઓ અને સંક્રમણથી સંક્રમીત થવાની શકયતાવાળા લોકો કરતા ઘરની બહાર ન નીકળનારા લોકો વધુ પોઝિટિવ આવી રહ્યાં છે. સાવચેત રહેનારા લોકો પણ સંક્રમીત થઈ રહ્યાં છે તેવા સંજોગોમાં કોરોનાની ગાઈડ લાઈન અને સંક્રમણથી બચવા માટેના તમામ સઘડા ઉપાયો હવે નવેસરથી વિચારવાના રહ્યાં. દરેક વ્યક્તિ, પરિવાર અને સમાજે પોત-પોતાની રીતે આ બીમારીથી બચવા માટે જ નહીં પરંતુ કોવિડ-19 વાયરસનો વ્યાપ વધુ ફેલાતો કેમ અટકે તેવા પ્રયાસો માટે સ્વયંમ જાગૃતિ કેળવવી આવશ્યક છે.

Advertisement

કોરોનાની પ્રારંભીક તબક્કાની પરિસ્થિતિ અને આજે સમગ્ર ચિત્ર બદલાઈ ચૂક્યું છે પરંતુ કોરોનાની એક વાત આજે પણ અડગ રહી છે તે કે આ વાયરસ માનવ જાતનો લાંબા સમય સુધી પીછો છોડે તેમ નથી. માનવજાતને કોરોના સાથે લાંબો સમય સુધી ઝઝુમવાની આદત કેળવવી પડશે. અત્યારે નવા રૂપરંગ અને લક્ષણો સાથે વધુ ઘાતક બનતું જતું કોરોનાને કાબુમાં લેવા માટે રસી, ઈલાજ, સારવારની સાથે સાથે કોરોનાનું સંક્રમણ જેમ બને તેમ ઓછુ ફેલાય અને સંક્રમીત દર્દીઓ વહેલાસર સાજા થઈ જાય તે માટે સામાજીક શિસ્ત અને સાવચેતી અનિવાર્ય બની છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.