Abtak Media Google News

ખેડૂતો આઇ ખેડુત પોર્ટલ પર 26મી જુલાઇ સુધી અરજી કરી શકશે

રાજય સરકાર દ્વારા ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા સહાય પેેકેજનો સમય ગાળો લંબનાવવામાં આવ્યો છે.પેકેજનો લાભ મેળવવા ખેડુતો આગામી તા.ર6મી જુલાઇ 2023 સુધી આઇ.ખેડુતો પોર્ટલ ઉપર અરજી કરી શકશે.

Advertisement

આ અંગે કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

મંત્રી પટેલે ઉમેર્યું કે,આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. 14 ફેબ્રુઆરીથી 06 માર્ચ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.14/2 થી તા. 31/5 સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut. gujarat.gov.in/) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. 26 જુલાઇ સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.