Abtak Media Google News
  • પીથલપૂર ગામ નજીક ગત મોડી રાત્રે કરાયો પથ્થરમારો : ઘોઘા પોલીસ સ્ટેશને અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

રાજ્યમાં અવાર – નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે. ભાવનગરમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના પીથલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. જો કે, આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઇવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે.

ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 30 માર્ચ 2024ની રાતે 10:45 વાગ્યાના સમયે મારી સાથે દિવ્યેશભાઈ સોલંકી તથા બુધેશબાઇ જાંબુચા ગાડી (જી.જે.-18-ઈબી-2528) લઇને ભાવનગરથી પીથલપુર (કુકડ) ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા. પીથલપુરથી આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પીથલપુરથી અડધો કિલોમીટર દૂર આવતા પીથલપુર ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા જ મોડી રાત્રે (31 માર્ચ 2024) લગભગ 12:15 વાગ્યાના સમયે અચાનક અમારી ગાડી ઉપર છૂટા પથ્થર ફેંકવામાં આવ્યા હતા

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અમારી ગાડીની ડ્રાઇવર સાઇડના આગળ તથા પાછળના દરવાજા પર છૂટા ઘા થવાનો અવાજ આવ્યો હતો. જેથી મેં તરત જ ગાડી ઊભી રાખી હતી. આ વખતે બીજા પણ ત્રણ-ચાર ઘા થયા હતા જે ગાડીની બાજુમાંથી પસાર થઈ ગયા હતા. બાદમાં આજુબાજુમાં મોબાઇલની તથા ગાડીની લાઇટથી તેમજ અમારી સાથેની બીજી ગાડીની લાઇટોથી તપાસ કરી હતી. તે દરમિયાન અમને ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ ગ્રે કલરની લાઇનિંગવાળો શર્ટ તેમજ ખભા ઉપર લાલ કલરનું કપડું રાખ્યું હતું. તેમજ બીજા વ્યક્તિએ કાળા તથા લીલા કલરની મોટી ચેક્સવાળો આખી બાયનો શર્ટ પહેર્યો હતો.

આ ઉપરાંત ત્રીજા વ્યક્તિએ ક્રીમ કલરનો આછી બ્લુ કલરની લાઇનિંગવાળો ચેક્સ શર્ટ પહેર્યો હતો અને માથા ઉપર ટોપી પહેરી હતી. આ વખતે ત્યાંથી બીજા મોટર સાઇકલ સવારો પસાર થયા હતા અને તેમણે જણાવ્યું હતું કે કોઇ ત્રણ જણા દોડી જતા જોયા હતા. અમે ચર્ચા કરતા હતા ત્યારે આ ભાગી ગયેલા શખ્સોમાંથી એક શખ્સ આવીને પૂછવા લાગ્યો હતો કે શું થયું. જેથી અમે તેને ઓળખી ગયા અને તેનું નામ પૂછતા તેણે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (રહે. ઓદરકા ગામ) જણાવ્યું હતું અને બાદમાં અમે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને ત્યાંથી નીકળી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.