Abtak Media Google News

શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદ થનારી 20 હજાર સ્કૂલોમાં તબક્કાવાર અમલ કરાવાશે

નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 6થી10માં વૈદિક ગણિતનો અભ્યાસ કરવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદ થનારી 20 હજાર સ્કૂલોમાં તબક્કાવાર અમલ કરવામાં આવશે. અન્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ સ્થાનિક પરિસ્થિતિના આધારે સ્વૈચ્છિક અમલ કરાવાનો રહેશે. 2022-23માં ધોરણ 6-7 અને જમાં અમલ કરાશે. જ્યારે 2023-24માં ધોરણ 8 અને 10માં અમલ કરાવાનું આયોજન કરાવામાં આવશે. વૈદિક ગણતિને લઈને વિદ્યાર્થીઓને બ્રીજ કોર્સ પણ કરાવામાં આવશે.

Advertisement

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં શિક્ષણમાં જણાવેલી ભારતીય જ્ઞાન પ્રણાલી અન્વયે ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતમાં પ્રાચીન સમયથી ગણિત ક્ષેત્રે ઘણું કાર્ય થતું આવ્યું છે. આ કાર્યમાં વૈદિક ગણિત  આ વિષયનો વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બનાવામાં અને તેનું સરળીકરણ કરવામાં ઉપયોગી થાય છે.

વૈદિક ગણિતનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં આ વિષય પરત્વેનો ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસ વધારી શકાય છે. જેથી વૈદિક ગણિતનો પરિચય કરાવવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.દરમિયાન સરકારે વૈદિક ગણિતને અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત તબક્કાવાર પસંદ થનારી 20 હજાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વૈદિક ગણિતનો ફરજિયાત અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક ધોરણે અમલ કરવાનો રહેશે.

શૈક્ષણિક વર્ષ 2022-23થી વૈદિક ગણિતનું તબક્કાવાર અમલીકરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ6-7 અને 9માં વૈદિક ગણિતનો અભ્યાસ શરૂ કરાવાશે. જ્યારે બીજા તબક્કામાં એટલે કે શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8 અને 10માં વૈદિક ગણિત શીખવવાનું શરૂ કરાશે. આમ, બે વર્ષમાં 6-10 સુધીના તમામ ધોરણમાં વૈદિક ગણિતનો અમલ શરૂ કરવાનું આયોજન કરાયું છે.

શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રથમ તબક્કે ધોરણ 7 અને 9માં અને ત્યાર પછીના વર્ષોમાં જરૂરિયાત મુજબ અન્ય ધોરણોમાં પણ બ્રીજ કોર્સ શરૂ કરવાનો રહેશે. અભ્યાસક્રમ અંગેની જરૂરિયાત મુજબની તાલીમ શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા યોજવાની રહેશે. ધોરણ 6થી8 માટેનું સાહિત્ય જીસીઇઆરટી દ્વારા અને ધોરણ 9 અને 10 માટેનું સાહિત્ય ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.