Abtak Media Google News

આકરા ઉનાળા-લુ સામે  સુરક્ષીત કેમ રહેશો? આ રહી ગાઈડલાઈન

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તરફથી હિટવેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ, હિટવેવ દરમિયાન બહાર નિકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામા વિશેષ કાળજી લેવી જરૂરી છે. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછો અને વારંવાર ઠંડુ પાણી પીવું જોઈએ. લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓઆરએસ વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. હિટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. માથું દુ:ખવું, પગની પીંડિઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હિટવેવનાં લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.

કામના સ્થળે પીવાનું ઠંડુ પાણી પૂરું પાડવું અને તામામ કામદારો માટે આરામની વ્યવસ્થા, સ્વચ્છ પાણી, છાશ, આઈસ પેક સાથે ફર્સ્ટ એઇડ કીટ્સ અને ઘછજની વ્યવસ્થા કરવી જોઈએ. કામ કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું જોઈએ. શક્ય તેટલું ઘરની અંદર રહેવું હિતાવહ છે. વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત લેવું જોઇએ. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવાર અને બપોરે કરવો જોઈએ.

લૂ લાગેલ વ્યક્તિની સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા અસરગ્રસ્તના માથા પર પાણી રેડવું જોઈએ. જો શરીરનું તાપમાન સતત વધતું હોય તો એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો. હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી અને બિનજરૂરી ગરમી પેદા કરતા કમ્પ્યુટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું જોઈએ. મરઘા ઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા અને ખવડાવવાનું ટાળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.