Abtak Media Google News

એક માસ પહેલાં છુટાછેડા દેતા રોષે ભરાયેલા પતિએ કેટરર્સના કામે ગયેલી પૂર્વ પત્નીનું ઢીમઢાળી દીધું: રામનાથપરા પાસેથી પોલીસે દબોચી લીધો

શહેરના નાનામવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર પાસે ગતમોડી રાતે પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી રહેસી નાખતા સનસનાટી મચી ગઇ છે. એક માસ પહેલાં જ છુટાછેડા દેતા રોષે ભરાયેલા પતિએ ફરી પોતાની સાથે રહેવા આવવાનું કહી હત્યા કરી ફરાર થયેલા પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ રામનાથપરા વિસ્તારમાંથી ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાથોરાળા વિસ્તારમાં રહેતી દિપુબેન પરમાર નામની ૨૮ વર્ષની પરિણીતાને નાના મવા રોડ પર શાસ્ત્રીનગર પાસે જે.સી.પાર્ટી પ્લોટના દરવાજા પાસે પૂર્વ પતિ અશ્ર્વિન ડાયા પરમારે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મૃતક દિપુ અને અશ્ર્વિન પાંચેક વર્ષથી મૈત્રી કરાર કરી પતિ-પત્નીની જેમ રહેતા અને તેને સંતાનમાં એક પુત્રી રિધ્ધીનો જન્મ થયો હતો. દિપુ અને અશ્ર્વિન વચ્ચે મનદુ:ખ થતા એકાદ માસ પહેલાં બંનેએ મૈત્રી કરાર રદ કરી દિપુ વિજયનગરમાંથી નવા થોરાળા પોતાના માતા-પિતાને ત્યાં રહેવા આવી હતી.

અશ્ર્વિન પરમાર અવાર નવાર ફોન કરી પોતાને ત્યાં રહેવા આવવા દબાણ કરતો હતો ગઇકાલે દિપુ પરમાર પોતાની નાની બહેન આસ્થાની સાથે જે.સી.પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામે ગઇ હતી ત્યાં અશ્ર્વિન પરમાર આવ્યા બાદ ફોન કરી બહાર બોલાવી હતી. દિપુ પોતાની બહેન આસ્થાની સાથે બહાર ગઇ તે દરમિયાન અશ્ર્વિન પરમારે દિપુના પેટ અને પીઠ પર છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી દિપુ પરમારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જયાં તેણીનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

તાલુકા પોલીસને હત્યાના બનાવની જાણ થતા પી.આઇ. વણઝારા, હર્ષદસિંહ ચુડાસમા અને નયન વાઘેલા સહિતના સ્ટાફે હત્યા કરી ફરાર થયેલા અશ્ર્વિન પરમારને રામનાથપરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

મૃતક દિપુ પરમાર એક ભાઇ અને ત્રણ ભાઇમાં મોટી હોવાનું અને અશ્ર્વિન પરમાર મજુરી કામ કરતો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.