Abtak Media Google News

આજે જીએસટી કાઉન્સીલની ૪૨મી બેઠક: આવક વધારવા થઈ શકે છે બદલાવ

આજે જીએસટી કાઉન્સીલની ૪૨મી બેઠક યોજાવાની છે જેમાં રાજયોની અને દેશને જીએસટી મારફતે થતી આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તે અંગેના બદલાવો પણ જોવા મળી શકે છે. જીએસટી કાઉન્સીલ દ્વારા એક લાખ કરોડ રૂપિયાની આવકની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે હજુ સુધી શકય બની શકયું નથી તો બીજી તરફ કોરોનાકાળ માટે પણ આશરે ૧૨ લાખ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાંથી થોડી રકમ હાલ રાજયોને પણ ચુકવી દેવામાં આવી છે. કોરોના કાળમાં રાજયોને થયેલી આર્થિક મુશ્કેલી અને ઉદભવિત થયેલી ખાધને દુર કરવા માટે કેન્દ્ર સરકારે રાજયોને બે મહત્વપૂર્ણ વિકલ્પો પસંદ કરવા માટે જણાવ્યું હતું જે માટે સપ્ટેમ્બર મધ્ય સુધીનો સમય પણ આપવામાં આવ્યો હતો પરંતુ બિનભાજપ શાસિત રાજયોએ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા વિકલ્પની પસંદગી કરી ન હતી અને જણાવ્યું હતું કે, સરકાર રાજયોવતી આરબીઆઈ પાસે લોનની માંગણી કરે.

કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સીલે ઉદભવિત થયેલી ખાધને દુર કરવા માટે ૯૭ હજાર કરોડ રૂપિયા રાજયોને આપવા માટેનો નિર્ધાર કરેલો છે જેના જવાબમાં પશ્ર્ચિમ બંગાળ, પંજાબ, કેરેલા, તામિલનાડુ જેવા ૬ બિનભાજપશાસિત રાજયોએ સરકારના આ વિકલ્પને નાપસંદ કર્યો હતો તો બીજી તરફ ચાલુ નાણાકિય વર્ષમાં રાજયોને ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની ઘટ પણ જોવા મળી હતી. કમ્પેઝેશન સેસ પેટે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જીએસટી કે જે મોંઘી, સીંનગુડ ઉપર જે કર લગાવે છે તેની સમય મર્યાદા આગામી બે વર્ષ લંબાવવામાં આવી છે. કેન્દ્રનું માનવું છે કે જે કમ્પેઝેશન સેસ મળે છે તેનો પુરો હક રાજયનો હોય છે જેથી બિનભાજપ શાસિત રાજયો દ્વારા કરવામાં આવેલી માંગને જીએસટી કાઉન્સીલ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે નાણાકિય વર્ષ ૧૯-૨૦ માટે રાજયોને કુલ ૧.૬૫ લાખ કરોડ રૂપિયાનું વળતર ચુકવ્યું હતું જેમાં ૨૦૧૮-૧૯માં ૬૯,૨૭૫ કરોડ અને વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૧,૧૪૬ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે ત્યારે આજે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠક અનેકવિધ રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને દેશની આવકમાં કઈ રીતે વધારો કરી શકાય તે દિશામાં પણ મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.