Abtak Media Google News

પાચ દિવસ પહેલા આવેલા યુવાનનું પાચમાં માળેથી પટકાતાં મોત: પરિવારમાં આક્રંદ

મોરબીમાં મહેન્દ્રનગરમાં કામ કરતા પિતા પાસે આટો મારવા આવેલા પુત્રનું સાઈટ પર પાચમાં માળેથી પટકાતા મોત નિપજ્યું છે. પાચ દિવસ પહેલા જ પિતા પાસે આવેલા જુવાન જોધ પુત્રને કાળ આંબી જતાં પરિવારમાં આક્રંદ છવાયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ દાહોદ રહેતા અને હાલ છેલ્લા પખવાડિયાથી મોરબીમાં કડિયા કામ કરી રમણભાઈ બારૈયા પેટિયું રડતા હતા. તેમને સંતાનમાં ચાર પુત્રો છે જેમાંથી મોટો પુત્ર દશરથ બારૈયા (ઉ.વ.19) પાચ દિવસ પહેલા દાહોદથી પિતા પાસે આટો મારવા આવ્યો હતો.

ત્યારે ચાર-પાચ દિવસથી પિતા સાથે રહેતો જુવાન જોધ પુત્ર દશરથ બારૈયા ગઇ કાલે સવારે 10 વાગ્યાના અરસામાં પિતા રમણભાઈ જે સાઈટ પર કામ કરતા હતા ત્યાં હતો. તે દરમિયાન કોઈ કારણોસર તેનો પગ લપસતાં દશરથ પાચમાં માળેથી નીચે પટકાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાંથી વધુ સારવાર અર્થે દશરથને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં યુવાનને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું. પિતા પાસે આટો મારવા આવેલા જુવાન જોધ પુત્રના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.