Abtak Media Google News

Dsc 2658આંધ્ર પ્રદેશથી ગાંજો મગાવી, રાજકોટ, આણંદ, ડાલી અને ખંભાળીયામાં વેચાણ કર્યાની કબુલાત

જંગલેશ્વર વિસ્તારમાંથી પંદર દિવસ પહેલાં રૂ.૨૧.૪૫ લાખની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા બાદ ગઇકાલે ડીલીવરી કરવા આવેલા અર્ટીકાના ચાલકની ધરપકડ કર્યા બાદ સુરતના મુખ્ય સપ્લાયર સહિત બે શખ્સોને ઝડપી લેવામાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સફળતા મળી છે.

પોલીસે બંને શખ્સોની પૂછપરછ દરમિયાન આંધ્ર પ્રદેશ અને ઓડીસાથી ગાંજાનો જથ્થો મગાવ્યાની કબૂલાત આપી છે.

જંગલેશ્વરની અમીના નામની મહિલાને એકાદ માસ પહેલાં સવા કિલો ગાંજા સાથે ઝડપાયા બાદ તેની પુત્રી મદીના પણ ગાંજાનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે પંદર દિવસ પહેલાં દરોડો પાડી રૂ.૨૧.૪૫ લાખની કિંમતના ૩૫૭ કિલો ગાંજા સાથે પોલીસે મદીના ઉસ્માન જુણેજા, ઉસ્માન લઘર જુણેજા, અફસાના સલીમ કયડા અને અલ્ફાઝ ઇનાયત શેખ નામના શખ્સોની ધરપકડ કરી હતી.

ચારેયની પૂછપરછ દરમિયાન સુરતના વિજય ભૈયા નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મગાવ્યાની કબૂલાત આપી હતી. તે દરમિયાન ગત તા.૧૨ સપ્ટેમ્બરે કુવાડવા રોડથી જંગલેશ્વર સુધીના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કરતા એક ટ્રકમાંથી જી.જે.૩કેસી.૮૩૮૨ નંબરની અર્ટીકામાં ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યાનું ખુલતા સુખરામનગરમાં રહેતા અર્ટીકાના ચાલક ઘનશ્યમગીરી જગદીશગીરી ગોસાઇની એસઓજી સ્ટાફે ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી ગાંજાના મુખ્ય સપ્લાયરને ઝડપી લેવા તપાસ અર્થે સુરત મોકલી હતી અને મોબાઇલ લોકેશન મેળવવાની કાર્યવાહી કરી હતી.

ગાંજાનો જથ્થો સુરતના વિજય અસોક કુલપતીએ આણંદ તાલુકાના વીરસદના ડાલી ગામે ચેતનસિંહ ઉર્ફે રાજભા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મામા ગામ રાખ્યો હોવાનું અને ત્યાંથી જામ ખંભાળીયાના મુકેશગીરી જસવંતગીરીને મોકલ્યાનું પણ ત્યાં પકડાઇ જવાના ડરના કારણે રાજકોટની મદીનાને ગાંજાનો જથ્થો મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ સહિતના સ્ટાફે મોબાઇલ લોકેશનના આધારે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા પાસેથી વિજય અશોક કુલપતીને ખંભાળીયાના મુકેશગીરીની સાથે સ્કોડા કારમાં ઝડપી લીધા હતા. જ્યારે ચેતનસિંહ ઉર્ફે રાજભા ઝાલાને એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. સીસોદીયાએ ડાલી ગામેથી ઝડપી લીધો હતો.વિજય અશોક કુલપતીની પૂછપરછ દરમિયાન તે ખંભાળીયાના મુકેશગીરી ગૌસ્વામીને મોકલેલા ગાંજાનો હિસાબ લેવા જઇ રહ્યો હોવાની અને આંધ્ર પ્રદેશ તેમજ ઉડીસાથી ગાંજો લાવ્યાની કબુલાત આપી છે.

ખંભાળીયાના મુકેશગીરી જસવંતગીરી ગૌસ્વામીની જામનગર પોલીસે અગાઉ બે વખત ગાંજા સાથે ધરપકડ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.