વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાનારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં જોડાશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગામી 17મીએ રાજકોટમાં આવવાના છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાનારા  પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજકોટ ખાતેથી જોડાવાના છે.

દેશભરની પારંપરિક કલાના સંરક્ષણ માટેની “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના” અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં  કે.વી.મોરીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ યોજના અંગેની તમામ વિગતો રજુ કરી હતી. 18 પ્રકારના પારંપરિક કલાના કલાકારોને માત્ર ચાર ટકાના વ્યાજ દરે રૂ. એક લાખની લોન મળવાપાત્ર છે તથા  સરકાર દ્વારા 15 દિવસથી લઈને એક મહિના સુધીની તાલીમ આપવામાં આવે છે.

જે માટે પ્રતિદિન રૂ. 500 લેખે સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારને રૂ. 15 હજારની સરકાર દ્વારા વિના મૂલ્યે ટૂલ કીટ આપવામાં આવશે.

આગામી તા. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજકોટ ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સામેલ થશે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનોને કલેક્ટરે અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક નિયામક ધીમંત વ્યાસ, અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ તથા ધોબી, દરજી, લુહાર, સુથાર, મોચી, સોની, કડિયા, વાણંદ વગેરે જેવી કારીગર કોમના આગેવાનો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.