Abtak Media Google News

બપોરના ૧ થી ૫ વાગ્યા સુધી બાળકોને આરામ કરાવો અથવા ઈન્ડોર ગેમ્સ રમાડો: ડો.જગદીશ કામાણી

બાળપણ શબ્દ સાંભળતા જ આપણે આપણા બાળપણની યાદોમાં ખોવાઈ જાય છીએ. મિત્રો સાથે કરેલી ધીંગામસ્તી, સ્કૂલમાં સૂતેલા મિત્રને ચાલુ પીરીયડે પાટુ મારી ઉઠાડવો, ઘરમાં સાથે વિતાવેલા એ ક્ષણ જેમાં તેઓને આપણી પાછળ દોડાવ્યા હોય અને પછી વ્હાલથી તેઓ જ આપણને પંપાળતા હોય, શેરીમાં રમેલી રમતો સંતાકુકડી, પકડમ પકડાઈ, દોરડા ખેંચ, લંગડી, કબ્બડીને અનેક એવી રમતો જેમાં પડયા હોય, લાગ્યું હોય તો પણ કયારેય આ રમતો રમવાનું ચુકતા નહીં અને મોટા થયા બાદ બચપણ તો ફરી જિંદગીમાં આવવાનું નથી પરંતુ ત્યારે કરેલી આખી જિંદગી યાદ આવે છે અને જયારે પણ યાદ આવે છે ત્યારે જ‚ર ચહેરા પર એક હસીની લહેરકી આવે છે. આમ જો આપણને આ બચપણની યાદો આવી મીઠી મધુરી લાગે છે તો આપણી આવનાર પેઢીને પણ આવુ જ કંઈક મસ્તી, તોફાન, એડવેન્ચર જેવુ બચપણ આવવું એ આપણી ફરજ નથી ?

Img 20170414 Wa0007વર્તમાન સમયમાં જોઈએ તો બાળકો કઈ રમતમાં વ્યસ્ત છે ? એવો સવાલ જયારે પણ પૂછવામાં આવે ત્યારે ૯૦% મા-બાપનો જવાબ માત્ર હશે કે અમારા બાળકોને ટીવી જોવુ ખુબ જ ગમે છે અથવા તો અમારા બાળકને લેપટોપ, ટેબલેટ કે મોબાઈલમાં ગેમ રમવી ખુબ ગમે છે. શું આમ જ બાળકોનું બચપણ ધીંગા-મસ્તી વગર સાહસ વગર માત્ર ટીવી, મોબાઈલની સ્ક્રીનમાં જ રમાઈ જશે ? અને ખાસ તો ત્યારે જયારે બાળકને શાળામાં વેકેશનનો સમય હોય છે ત્યારે, જયારે બાળકનો સંપુર્ણ સમય ઘરમાં પરિવાર સાથે રહેવાનો હોય છે ત્યારે બાળક સતત એક-બે કલાક સુધી ટીવી, ટેબલેટમાં ખોવાયેલું રહે છે. વેકેશન એક એવો સમય છે જયારે બાળકો ભણતરના નિયમોથી પર રહી કંઈક ભણતર સિવાયનું કશુક નવુ શીખે, કંઈક કલા અને સાહિત્યને જાણે ત્યારે તેવા સમયમાં જો બાળક માત્ર ગેમ્સ રમવામાં પોતાનો સમય વિતાવશે તો શું તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકશે ? આ ગંભીર બાબતે રાજકોટ શહેરના જાણીતા બાળ મનોચિકિત્સક ડો.જગદીશ કામાણી સાથે વાત કરતા તેમણે ખુબ જ સુંદર રીતે સમજાવ્યું કે કોઈપણ ચીજનો અતિરેક એ નુકસાનકર્તા છે. બાળકોને પણ નવી નવી ટેકનોલોજી અને ઈલેકટ્રોનિક ગેજેટસને સમજવાનો હકક છે પરંતુ જો તેને સમજવા કરતા તેના દુરુઉપયોગ વધી જાય તો તેની બાળમાનસ પર ખુબ ગહેરી અસર પણ પડે છે. જેના કારણે બાળક ભવિષ્યમાં આક્રમક પણ બને છે.

Img 20170414 Wa0009બાળકોને આ પ્રકારના ઉપકરણોથી દુર રાખવા કરતા તેમને એક ટાઈમ લીમીટ આપવી યોગ્ય છે. જેના માટે ડો.જગદીશ કામાણીએ જણાવ્યું કે બાળકને ૩૦ મિનિટથી વધુ આ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરવા ન દેવો એ હિતાવહ છે. તેમજ બાળક માટે વેકેશનમાં જો સમયનો સદઉપયોગ કરતા શિખવવું હોય તો તેમને કોઈ સારી એવી ઈતર પ્રવૃતિમાં પ્રવૃત કરો. જે ખાસ બાળકને ખુદ પસંદ કરવા દો જેનાથી બાળકનો તેમા રસ કેળવાશે તેની કલ્પના શકિતને વેગ મળશે.

બાળકોમાં રહેલી સર્જનાત્મક શકિતને ખીલવવા તેમને પ્રવૃત રાખવા જ‚રી છે. બાળકોને તેમના દ્રષ્ટિકોણથી વસ્તુ, વ્યકિત કે કોઈપણ બાબતને જોવા કે સમજવા દેવાથી તેમની સર્જનાત્મક શકિતને ખીલવાનો મોકો મળશે. સાથે સાથે નાના ભુલકાઓને નવી નવી વાર્તા સાંભળવા તેમજ નવા નવા વાર્તા ચિત્રો જોવા માટે પ્રેરીત કરવાથી પણ તેમના વિચારો કેળવાય છે તેમજ તેમના શબ્દભંડોળમાં પણ વધારો થાય છે. આમ બાળ માનસએ ખુબ જટીલ વિષય છે પરંતુ તેને યોગ્ય રસ્તો ચીંધવાથી જ‚ર પ્રગતિ થશે તેવું ડો.જગદીશ કામાણીએ જણાવ્યું હતું.

વેકેશન એટલે બાળકો માટે મોજ મજા અને મસ્તીનો સમય. મામાના ઘરે રોકાવાનો સમય… શાળાના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ વેકેશનની આતુરતાથી રાહ જોતા હોય છે. એવા સમયે પરિવારમાં હવે સીંગલ ચાઈલ્ડનું મહત્વ વધી રહ્યું છે ત્યારે વેકેશનમાં બાળક ઘરમાં એકલુ પડી જાય છે અને કંટાળવા લાગે છે તેવા સમયે તેને મમ્મીઓ હાથમાં કાં તો મોબાઈલ કે ટેબલેટ થમાવી દે છે અથવા ટીવીમાં કાર્ટુન ચાલુ કરી ટીવી સામે બેસાડી દે છે પરંતુ આવુ કરવા કરતા ઘરમાં અંદર રહીને પણ બાળક અનેક પ્રવૃતિ કરી શકે જેનાથી બાળકમાં રહેલા કૌશલ્યો સામે આવે છે. બાળકોને વેકેશનમાં પ્રવૃત્ત રાખવા બાબતે જયારે રાજકોટમાં આવેલા પૂજા હોબી સેન્ટરના હેડ પૂષ્પાબેન રાઠોડ સાથે વાત કરતા તેમણે ખૂબ સારી વાત કરી કે બાળ માનસ એ ખૂબજ નાજૂક હોય છે. તેને સરળ રીતે સમજવામાં આવે તો ખૂબ સરળતાથી બાળકોને સમજી શકાય છે. ત્યારે આ પ્રકારનાં નાજુક બાળમાનસ પર જયારે મોબાઈલ કે લેપટોપની આક્રમક ગેમ્સની પણ નકારાત્મક અસરો જોવા મળી છે. બાળકોમાં કયારેક સુપરહિરો બનવાની હોડમાં બાળક બીજા પર હલ્લો પણ કરી શકે છે. અથવાતો તેમની જાતને પણ નુકશાન પહોચાડે છે. પૂષ્પાબેન રાઠોડનું કહેવું ચે કે અમે છેલ્લા ૨૫ વર્ષથી પૂજા હોબી સેન્ટર ચલાવીએ છીએ અને અનેક બાળકોને જુદી જુદી રીતે હેન્ડલ કરવામા આવે છે. ત્યારે એવા સમયે અમારે ખૂબ શાંતી અને સરળતાથી બાળકોને સમજવા અને સમજાવવાના રહે છે. અને તેનું પરિણામ બાળકોને કરાવવામા આવતી પ્રવૃત્તિમાં ખૂબ સકારાત્મક રીતે બહાર આવે છે. બાળકો પણ જુદી જુદી પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લ્યે છે. જો બાળકો વધુને વધુ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહે અને ઈલેકટ્રોનીકલ ગેજેપ્સથી દૂર રહે તો તેમનો શારીરીક અને માનસિક વિકાસ ખૂબજ સુંદર રીતે થશે અને તેના માટેનો યોગ્ય સમય એટલે વેકેશન છે. જયારે બાળકો તદન નવરાશનાં મૂડમાં હોય છે. એટલે ત્યારે બાળકોને નવી નવી પ્રવૃત્તિમાં જોડાવા માતા પિતાઓ પ્રોત્સાહિત કરવા જોઈએ તેવું પુષ્પાબેન રાઠોડએ સુચવ્યું હતુ.

Img 20170414 Wa0010 1બાળકોનાં વેકેશન પ્લાનર વિશે બાલભવન સંસ્થા સાથે છેલ્લા ૩૫ વર્ષથી જોડાયેલા એવા પલ્લવી વ્યાસ જાની સાથે જયારે બાલભવનની વેકેશન માટેની ખાસ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી ત્યારે તેમણે પણ ખૂબજ રસપ્રદ વાતો કરી જેમાં બાળકો જયારે વેકેશનમાં મામાના ઘરે આવે છે. ત્યારે પોતાનો વેકેશન પ્લાન એ રીતે તૈયાર કરે છે જેમાં જયારેપણ આવે ત્યારે અચૂક બાલભવનમાં થતી વેકેશન લક્ષી પ્રવૃત્તિઓનો પોતાનો પિત્રાઈઓ સાથે લાભ લઈ શકે જેના માટે મમ્મીઓ પણ અગાઉથી પ્લાનરની માંગ કરે છે.

આમ વેકેશનના પાંચ અઠવાડીયામાં બાલભવન ત્યાં આવતા બાળકોને અનેકવિધ પ્રવૃત્તિમાં સામેલ કરે છે. અને વિવિધ કલા, રમત, સાહિત્ય સાથે બાળકોનો એક ગાઢ સંબંધ જોડે છે. જેની અસર એવી થ, છે કે હવે બહારગામથી મામા -કાકાના ઘરે વેકેશન માંણવા આવતા બાળકો પણ આ વેકેશન પ્રવૃત્િતને આધારે પોતાની રજાના દિવસોનું પ્લાનીંગ કરવા લાગ્યા કે આવી રસપ્રદ પ્રવૃત્તિને કયાંક ચૂકી ન જાય ખાસ તો પલ્લવીબેને જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિની અસર એવી તે જોવા મળી કે જે પિત્રાઈભાઈ બહેનો વર્ષમાં એક વાર મળતા હતા એ હવે એકબીજાના ખૂબજ નજીક આવ્યા છે અને તેઓમાં લાગણીનાં ગાઢ સંબંધો બંધાયા છે.

રાજકોટ શહેરમાં ઘણી એવી સંસ્થાઓ છે જે નજીવા દરે એટલે કે દરેક વર્ગનાં બાળકને પરવડે તેવા ફી ધોરણે ખૂબજ સારી એવી પ્રવૃત્તિઓ કરાવે છે એ સંસ્થાઓનો ઉદેશ માત્ર એ હોય છે કે દેશનું ભવિષ્ય એવા બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ભવિષ્યમાં તે બાળક કયાંય પાછુ ન પડે એવી સંસ્થામાંની એક એટલે રામકૃષ્ણ આશ્રમ જયાં બાળકો માટે ફ્રી ટોય લાયબ્રેરી છે. તેમજ દર રવિવારે સવાર તથા સાંજના સમયે બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તદન નિશુલ્ક કરાવે છે. શહેરના રેસકોર્ષમાં આવેલું લોક વિજ્ઞાન કેન્દ્ર પણ બાળકોનાં વિજ્ઞાન અને ગણીતને સરળ બનાવવા વેકેશન દરમિયાન અનેક વિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આમા બાળકનો સર્વાંગી વિકાસ દેશને એક તંદુરસ્ત નાગરીક પૂરો પાડે છે. જો અત્યારનું બાળક મોબાઈલ કે ટીવીની સ્ક્રીનમાં જ ઘુસ્યું રહેશે તો તેની માનસીકતા પર પણ તેની અસર જોવા મળશે માટે બાળકોને કયારેય નિષ્ક્રીય ન રહેવા દો તેમના ફ્રી સમયમાં તેમને નવી નવી ઈન્ડોર તેમજ આઉટ ડોર રમતો રમાડો, વાર્તાઓ સંભળાવો, પઝલસ રમાડો એ બધી ગેમ્સથી તેમનું મગજ પણ નવા નવા તર્ક વિચારતું થશે જે આગળ ભણવામાં પણ તેમને ખૂબજ ઉપયોગી સાબિત થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.