Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી લાલ આંખ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ખાણ ખનિજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ આધુનિક ટેક્નોલોજી વિનિયોગને ‘ત્રિનેત્ર’ – ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર કોઇ પણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ-નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે.

વિજય રૂપાણીએ ખનિજ ચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખનિજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનિજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેક્નોલોજીનો ઉપયોગ, સુસજ્જ મેનપાવર અને પારદર્શિતા-સંવેદનશીલતા સાથે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો છે.

વિજય રૂપાણીએ પોલીસ દળને પોકેટકોપથી સજ્જ કરીને ગુનેગારોના ડેટા હાથવગા બનાવ્યા છે તેની વિગતો આપતા ઉમેર્યું કે હવે ત્રિનેત્ર ડ્રોન ટેક્નોલોજીથી આ જ પ્રકારે ખાણ ખનિજ વિભાગ પણ ગેરકાયદે ખનન-માફિયાઓને નશ્યત કરી શકશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત બે લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ખાણ-ખનિજ સંપદા ધરાવે છે તેના પર આ ત્રિનેત્રથી સતત વોચ રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં આ ડ્રોનનો ઉપયોગ અને રાજ્યસ્તરે કમાન્ડ કંટ્રોલ રૂમ, વિજિલન્સ સઘન બનાવવાની નેમ દર્શાવી હતી.

તેમણે રાજ્ય સરકારના અન્ય વિભાગો પાણી પૂરવઠા, માર્ગ-મકાન વગેરેને પણ આ ત્રિનેત્ર ડ્રોન ટેક્નોલોજીથી સાંકળી લેવાય તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતે કરેલી આ પહેલ દેશ માટે દિશા દર્શક બનશે. આ પાયલોટ પ્રોજેક્ટ તહેત પ્રારંભિક તબક્કે સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર જેવી મોટી નદીઓમાંથી થતી બિન અધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિઓ પર ત્રિનેત્ર ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની પણ તેમણે ભૂમિકા આપી હતી. ​ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના કમિશનર રૂપવંત સિંહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ઉપલબ્ધ છે.

​રાજ્યના તમામ ખનિજ વિસ્તારોમાં ઓનલાઇન હરાજીથી જ નિકાલ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે અને રાજ્ય સરકારે ખૂબ ઝડપથી આ અંગેની વ્યવસ્થા ઊભી કરીને સમગ્ર રાજ્યમાં ૬૮૬ જેટલા જુદા જુદા ખનિજોના બ્લોક હરાજી માટે તૈયાર કરી દીધા છે. આગામી સમયમાં આ બધા જ વિસ્તારો હરાજીથી નિકાલ થશે, જેના કારણે રાજ્યને રોયલ્ટીની મહત્તમ આવક પ્રાપ્ત થશે, રાજ્યનો વિકાસ આંક પણ માઇનીંગ સેક્ટરના કારણે આગળ આવશે એટલું જ નહિં, રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે.

​કચ્છ જિલ્લામાં લાઇમ સ્ટોન ખનિજના ત્રણ મોટા વિસ્તારોનો ગત વર્ષે હરાજીથી નિકાલ કરવામાં સફળતા મેળવી છે, જેના કારણે આવનારા ભવિષ્યમાં રાજ્યને નવ હજાર કરોડ જેટલી માતબર આવક રોયલ્ટી અને પ્રિમિયમના માધ્યમથી થશે.​ખનિજ ખોદકામ અને વહનમાં ગેરરીતિઓ નામશેષ કરવા માટે ખનિજ વિસ્તારોનું માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.

તદઉપરાંત ખનિજોનું કાયદેસર વહન થાય અને તેમાં કોઇ પણ ગેરરીતિને અવકાશ ન રહે તે માટે બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે. રૂપવંત સિંહે બિન અધિકૃત ખનનને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ ડ્રોન સર્વેલન્સ સિસ્ટમની વિસ્તૃત ટેકનિકલ જાણકારી નિદર્શન દ્વારા આપી હતી.

​આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ કમિશનર શ્રી મમતા વર્મા, શ્રી બેનીવાલ, અધિક કમિશનર શ્રી શ્વેતા તેવટિયા સહિત ઉદ્યોગ-ખાણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આભારવિધિ શ્રી ડી. એમ. શુક્લાએ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.