Abtak Media Google News

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર કંપનીમાં ફસાયેલા રૂપિયા ઝડપથી મળે અને બાકી રહેલા આરોપીઓને ઝડપથી પકડવામાં આવે અને પકડાયેલા આરોપીઓને જામીન ન મળે તે માટે તેમજ એજન્ટોને સુરક્ષા આપવા અંગેની રજૂઆત માટે રાજકોટના રાજેશ પરમાર સહિતના એજન્ટોએ આજે મંગળવારે ગાંધીનગર દોડીને રાજ્ય મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

Advertisement

ગુજરાતમાંથી આશરે રૂા.375 કરોડનું ફૂલેકું ફેરવનાર વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીના ડીરેક્ટર 10 પૈકીના બે ડિરેક્ટરો મનોજકુમાર ચંદ અને તેમની પત્ની બંદનાચંદ આ બે આરોપીઓને ગુજરાત પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. હાલમાં આરોપીઓ અમદાવાદની સાબરમતી જેલમાં છે. વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધ ગુજરાતમાં રાજકોટ, જેતપુર સહિત 70 થી પણ વધારે એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સીઆઇડી ક્રાઇમ, જુનાગઢ સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ, સુરેન્દ્રનગર સીઆઇડી જેતપુર, ગોંડલ, મોરબી, હળવદ, મુળી અને ભાવનગર લોકલ પોલીસ સ્ટેશનમાં પણ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી છે.

375 કરોડનું ફુલેકુ ફેરવવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં સંડોવાયેલા ડીરેક્ટરોને તાકીદે પકડવા, જેલ હવાલે થયેલાઓને જામીન ન મળે અને એજન્ટોની સુરક્ષાની માંગ કરાઇ

વિશ્વામિત્ર કંપનીના આરોપીઓ કોર્ટમાં એવું જણાવે છે કે વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારની કંપનીની બધી પ્રોપર્ટી 2017માં સેબીએ જપ્ત કરેલી છે. પરંતુ  જો વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીની બધી પ્રોપર્ટી સીબીએ 2017માં જપ્ત કરેલી હોય તો મનોજકુમાર ચંદ અને પંકજકુમાર ચંદ દ્વારા જૂન 2020માં વિશ્વામિત્ર કંપનીની પ્રોપર્ટી વેચેલી હોવાની વિગતો બહાર આવી છે. મનોજકુમાર ચંદ અને તેમની પત્ની વંદનાચંદને જામીન ન મળે તેવો સેંકડો રોકાણકારો વતી માંગ કરી બંનેને જામીન મળશે તો ગુજરાતના હજારો લોકોને પૈસા પાછા મળવાની આશા પર પાણી ફરી વળી શકે તેમ હોવાની દહેશત વ્યક્ત કરાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારના કુલ 10 ડિરેક્ટરો સામે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને ભારતભરમાં પોલીસ સ્ટેશનમાં તેમજ કોર્ટમાં ફરિયાદો થઈ છે. પોલીસ તંત્ર દ્વારા બાકીના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તે જરૂરી છે. વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીના 10 ડિરેક્ટર હોય સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારત ભરના નાના તેમજ ગરીબ રોકાણકારોના કરોડો રૂપિયા ઉસેડીને કંપની બંધ કરી દીધી છે. નાની મોટી આવકની લાલચે આ કંપની સાથે જોડાયેલા અનેક એજન્ટો આજે ભયભીત બનીને આત્મહત્યા જેવા માર્ગો અપનાવા લાગ્યા છે.

આમ, વિશ્વામિત્ર ઈન્ડિયા પરિવારના એજન્ટો અને રોકાણકારોની મુખ્ય ત્રણ માંગણી ધ્યાને લેવા વિનંતી છે તેમાં એક વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારના બાકીના તમામ મુખ્ય ડિરેક્ટરોની ધરપકડ કરવામાં આવે.

બીજી હાલના દિવસોમાં આ કંપનીના પકડાયેલા બે ડિરેક્ટરોને કોઈપણ સંજોગોમાં જામીન ન મળે તેવી વ્યવસ્થા કરાવવા તેમજ આ કંપની સાથે જોડાયેલા અને કંપનીના ડિરેક્ટરો દ્વારા છેતરાયેલા ગરીબ તેમજ મધ્યમ વર્ગના એજન્ટોનો જાનનું જોખમ હોય તેઓને સુરક્ષા અપાવવાની જરૂરત હોવાનું રાજકોટના રાજેશ પરમાર સહિતના ગાંધીનગર દોડી ગયેલા અરજદારોએ જણાવ્યું છે.

કલેક્શન કરતા એજન્ટોને આપઘાત કરવો પડ્યો

એ સિવાય આ કંપનીમાં પૈસા રોકનાર ગ્રાહકો પોતપોતાના એજન્ટને ધાક ધમકીઓ આપીને ઘણી વખત મારી નાખવાની ધમકીઓ તેમજ હુમલા કરે તેવા બનાવો બની રહ્યા છે. જૂનાગઢના એજન્ટએ પૈસા ફસાતા આપઘાત કરી લીધો છે. ગ્રાહકોને વાસ્તવિકતા સમજાવવામાં આવે છે છતાં ગ્રાહકો સમજતા નથી અને એજન્ટો સાથે માથાકૂટ તેમજ હુમલાઓ કરે છે ત્યારે આ વાતને ધ્યાને લઈને સરકાર દ્વારા આવી કંપનીમાં નાણા ફસાઈ જતા હેરાન પરેશાન થઈ રહેલા એજન્ટોને સુરક્ષા આપવી જરૂરી છે.

સેબી તાત્કાલિક કંપનીની મિલકતની હરાજી કરે

સેબી દ્વારા વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર નામની કંપનીની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હોય તો આવી પ્રોપર્ટીનું તાકીદે લીલામ કરીને કે વેચીને તેમાંથી ઉપજતા પૈસા રોકાણકારોને મળે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. આ બાબતે ઘણી વખત અનેક જગ્યાએ રજૂઆતો કરી છે. પૈસા ફસાયા છે તે બાબતે અનેક વખત અખબારી અહેવાલો પણ આવી ચૂક્યા છે આમ છતાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારના હજુ ભાગતા ફરતા આઠ ડિરેક્ટરો એનકેન પ્રકારે પોલીસના હાથમાં આવતા નથી. ભાગતા ફરતા તમામ ડિરેક્ટરોની જો ધરપકડ કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ ભારત ભરના ગરીબ રોકાણકારોના પૈસાનું શું થયું તેમને પૈસા પરત મેળવવામાં ગ્રાહકોને શું કરવું તે અંગે અનેક સવાલ થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.