Abtak Media Google News

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ભાજપના ૧પ લાખ જેટલા પેજ પ્રમુખને શુભેચ્છા પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પક્ષ, ગુજરાત પ્રદેશ દ્વારા આરંભાયેલા ‘પેજ કમિટી’ મહા જનસંપર્ક અભિયાન લોકસંપર્કનો એક પ્રશસનીય પ્રયાસ છે, સમગ્ર અભિયાનને મારી ખૂબ ખૂબ શુભકામના. કોઇપણ વટવૃક્ષ માટે બીજ અને મૂળિયાં જરૂરી બાબત છે એ જ રીતે કોઇ પણ પક્ષ માટે સમર્પિત જમીની કાર્યકર એ પાયારૂપ મૂડી કાર્યકર દ્વારા હાથ ધરવામાં આવતો જનસંપર્ક જનસેવામાં પરિણમે છે.

ભારતીય જનતા પક્ષ કેળવ રાજકીય પક્ષ નથી પરંતુ એક વિચારધારાને વરેલું અગણિત કાર્યકરોનું સંગઠન છે. પક્ષનો આ કાર્યકર જ પક્ષની નીતિ, રીતિ અને કાર્યક્રમને જન જન સુધી પહોચાડવાનું દૂતકાર્ય કરે છે અને એ રીતે એક એક કાર્યકર વિશાળ જનસમુહની વાચા બને છે.

પેજ પ્રમુખએ પક્ષ પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરુપે છે. ચુંટણી એ જન-ગણના મન સુધી પહોચવાનું નિમિતે છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જોડવાનો અવસર પ્રાપ્ત થાય છે,. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ ખેડૂતો, વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના સુદ્રઢ થાય છે. લોકોની સમસ્યા અને પ્રશ્ર્નોને સમજવા લોકો વચ્ચે જવું અને વિવિધ પ્રશ્ર્નો તેમજ સમસ્યાઓના ઉકેલ માટે રજુઆત કરવાની પ્રક્રિયા  આ કડીને મજબુત બનાવે છે અને વિકાસગાથાના નવા નવા પ્રકરણો ઉમેરી શકાય છે. ૧પ લાખ પેજ સમિતિ દ્વારા ૨.૨૫ કરોડ મતદારો સુધી પહોચવાનું ભગીરથ કાર્ય એક એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે એવું અભિયાન છે.

લોકશાહીનો ધબકાર મતદાર હોય છે. પેજ કમિટી, મહા જનસંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારું છે. અને આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા, અપેક્ષાઓને સમજવી અને એના પર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.

ગુજરાત અને ભારતીય જનતા પક્ષનો આરંભથી જ અતુટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર સદૈવ માતૃવત નિ:સ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે, ‘ગુજરાત મકક, ભાજપ અડીખમ’ એ માત્ર સૂત્ર જ નહિ ભાજપ ગુજરાતના સંબંધની હ્રદય છબી છે. મને ખાતરી છે કે પરસ્પર વિશ્ર્વાસની આ ગંગા નિરંતર વહેંચી રહેશે., મહાભારતમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણા માટે છેવાડાના માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવું લક્ષ્ય હોવું જોઇએ.

મહાનગરપાલિકા પંચાયતની રાજની ચુંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વ નિમિતે શુભકામના સંકલ્પબઘ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે આપણે સૌ ન્યુ ઇન્ડિયાની યાત્રાઆમાં સહભાગી થઇએ. પુન: સૌ કાર્યકર મિત્રોનું અભિવાદન કરું છું અને ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.